Gujarati News

Gujarati News

News of Friday, 29th June 2018

ભાજપના નેતાઓને આજે દલિતોની ચિંતા થવા માંડી કારણ કે, ૨૦૧૯ ની ચૂંટણી આવે છેઃવિંઝુડા

ઉપલેટા, તા.૨૯: સામાજિક કાર્યકર અને દલિત હકક રક્ષક સમિતિના કન્વીનર કેશુભાઇ વિંઝુડા એક યાદીમાં જણાવે છે કે, તાજેતરમાં બે દિવસની ભાજપની ચૂંટણીલક્ષી ચિંતન શિબીરમાં દલિતો પરના હુમલાની ઘટનાઓને ચિંતાનો મુખ્ય મુદો બનાવ્યો છે. ગુજરાતમાં બાવીસ વર્ષથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપનું શાસન છે. તો આજે ગુજરાતમાં બાવીસ વર્ષમાં દલિતો પર અસંખ્ય અત્યાચાર થયા છે. તેમજ દલિતોની હત્યાઓ થાય છે. ડો.બાબા સાહેબ આંબેડકરના બંધારણના કારણે દલિતો સ્વમાનભેર જીવન જીવી રહ્યાં છે. તો આજે ભાજપના રાજમાં દલિતો પર અત્યાચાર કરનારાઓને છાવરે છે. જેના કારણે આજે સામંતશાહી પરિબળોને ખુલ્લોદર મળી ગયો છે. તેથી જ થાન અને ઉનાની ઘટના બની છે. ગૌરીલંકેશની હત્યા જુદો વિચાર વ્યકત કરનારને ગોળીએ દેવાએ ભારત જેવા લોકશાહી દેશ માટે શરમજનક છે. તેમજ અમરેલીના વરસડા ગામના યુવાન દલિત સરપંચની હત્યા થઇ, આણંદ જીલ્લાના ભાદરણિયા ગામે ગરબા જોવા ગયેલ દલિત યુવાનની જાહેરમાં હત્યા થઇ, ગાંધીનગરના લીંબોદર ગામમાં મુછો રાખવા બદલ બે દલિતો અત્યાચારનો ભોગ બન્યા છે. તાજેતરમાં રાજકોટના શાપરમાં દલિત યુવાનની હત્યા થઇ છે. તો આ મનુવાદી લોકોને દલિતો ઘોડી પર  બેસે તે ગમતું નથી, મુછો રાખે તે ગમતું નથી, દલિતો શુટબુટમાં ફરે તે ગમતું નથી. આવા અસંખ્ય બનાવો ભાજપની સરકારમાં બને છે. પરંતુ આજ દિન સુધી દલિતોને ન્યાય મળ્યો નથી.

અંતમાં શ્રી કેશુભાઇ વિંઝુડાએ જણાવ્યું છે કે, આવા ભાજપના નેતાઓ ખોટી ચિંતા કરવા વાળાઓને દલિતો ઓળખી લેવાના છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં દલિતોની ચિંતા કરનારા ભાજપના નેતાઓને ચિંતામુકત કરવા છે.

(11:25 am IST)