Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

જુનાગઢમાં ઓડ-ઇવન જાહેરનામાનો ૧૦ વેપારીઓએ કર્યો ભંગ : ધરપકડ

જૂનાગઢ,તા.૨૯ : ––જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક  સૌરભસિંઘ દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી,  લોકોની સુરક્ષા માટે એક પછી એક પગલાંઓ લેવાનું શરૂ જ રાખવામાં આવેલ છે. હવે પછી ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરનાર વેપારીઓ વિરૂધ્ધ પણ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવશે, જો અન્વયે આ જાહેરનામાનો ભંગ બદલ ૧૦ વેપારીઓએ જાહેરનામાનો ભંગ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહીતી મુજબ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  સૌરભ સિંઘની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં નાગરિકોને લોક ડાઉનનું પાલન કરાવવામાં આવે છે. હાલમાં સરકારશ્રીના જાહેરનામા મુજબ બજારમાં વેપારીઓ માટે ઓડ ઇવન પ્રથા અમલમાં લાવેલ છે તેમજ આ બાબતે જિલ્લા પોલીસ વડા   સૌરભ સિંઘ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, સહિતના અધિકારીઓએ માંગનાથ, પંચ હાટડી, દીવાન ચોક, ઢાલ રોડ, વિગેરે જગ્યા વિઝીટ કરી, વેપારીઓની સાથે ચર્ચા સમજાવટ કરી, એકી બેકી દુકાનોના ખુલ્લી બંધ રાખવા સહમતી સાધવામાં આવેલ હતી. ઉપરાંત છેલ્લા અઠવાડિયાથી પોલીસ દ્વારા શહેર વિસ્તારોમાં પોલીસ દ્વારા ઓડ ઇવન નો અમલ કરવા અવાર નવાર સુચનાઓ આપવા છતાં, અમુક વેપારીઓ અમુક વિસ્તારમાં પોતાની દુકાનો દરરોજ ખોલતા હોવાની તથા લોકડાઉનનું ઉલ્લંઘન કરતા હોવાની માહિતી પોલીસને મળતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પીઆઇ આર.બી.સોલંકી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. જે.પી.ગોસાઈ, પીએસઆઇ જે.એચ.કચોટ, વી.આર.ચાવડા, એ.કે.પરમાર, ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, એ.એસ.આઈ. રવિરાજસિંહ, હે.કો. વિક્રમસિંહ, અનકભાઈ, વનરાજસિંહ, દિનેશભાઈ, સુભાષભાઈ, સહિતની ટીમ દ્વારા કાળવા ચોક, મંગનાથ, પાંચ હાટડી, દીવાન ચોક, ચોકસી બજાર, છાયા બજાર, માલિવાળા રોડ, એમ.જી.રોડ, ઝલોરા પા, માંડવી ચોક, સર્કલ ચોક, ઢાલ રોડ, ઝાંઝરડા રોડ, ગાંધી ચોક, વિગેરે જગ્યા આજ રોજ બેકી નંબર ની દુકાન ધરાવતા વેપારીઓનો ખુલ્લી રાખવાની હોઈ, એકી તારીખવાળા વેપારીઓએ પણ ખુલ્લી રાખતા, તમામ આઠ થી દશ વેપારીઓને પોલીસ સ્ટેશન લાવવામા આવેલ હતા. ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરતા તમામ વેપારીઓ વિરુદ્ઘ જાહેરનામા ભંગ ની ફરિયાદો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરવામાં આવેલ હતી. વેપારીઓ દ્વારા હવેથી ઓડ ઇવન પ્રથાનો અમલ કરવાની ખાતરી આપેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા પણ આ બાબત જાહેર જનતા તથા વેપારીઓની સુખાકારી માટે હોઈ, ઓડ ઇવન પ્રથાનું પાલન કરવા હિમાયત કરવામાં આવેલ હતી.

(1:13 pm IST)