Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

બોટાદમાં ચોમાસમાં સંભવિત આફતોને પહોંચી વળવા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

સબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ ૧ લી જુન થી શરૂ કરાશે :વોકળા, નાળા, ગટર અને કેનાલની સફાઇ અને પાણીના નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવા સૂચન

બોટાદ :આગામી વર્ષાઋુતુ દરમ્યાન બોટાદ જિલ્લામાં સંભવિત કુદરતી આફતો પૂર-વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અને ચર્ચા માટે જિલ્લા કલેકટર આશીષકુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

  આ બેઠકમાં પ્રિમોનસુન અને ડ્યુરીંગ મોનસુન બાબતે જિલ્લાનાં અધિકારી સાથે સમીક્ષા કરી હતી. કલેકટરશ્રીએ જણાવ્યુ કે, જિલ્લામાં આવેલ ડેમ, ચેકડેમ, ગામ તળાવ, સીમ તળાવની, ડેમના દરવાજા તથા તેની સાઇડોની ચકાસણી કરવી, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો નિકાલ સમયસર અને ઝડપી થાય તે માટે વોકળા, નાળા, ગટર અને કેનાલની સફાઇ કરાવવી, પાણીના નિકાલ માટેના સાધન સામગ્રી તૈયાર રાખવી, ગ્રામ્યકક્ષાએ નદી અને વોકળા, કોઝવે અને પુલ ઉપર પાણીના લેવલની જાણકારી માટેના સાઇનીંગ બોર્ડ તથા ઇન્ડીકેટરો મુકવા તાકીદ કરી હતી.

  આ ઉપરાંત રસ્તામાં પડેલ ઝાડ તથા વાહનોને દુર કરવા અને રસ્તાઓનુ સમયસર રીપેરીંગ કરી વાહન વ્યવહાર ઝડપી શરૂ થાય તે માટે ભારે વાહનો, ડમ્પર, જે.સી.બી, ક્રેઇન જેવા સાધનો ઉપલબ્ધ રાખવા, તાલુકા તથા શહેરી લેવલે સબંધિત કચેરીઓએ કંટ્રોલરૂમ ૧ લી જુન થી શરૂ કરવામાં આવશે.

 આ બેઠકમાં અધિક કલેકટર બી.વી.લીંબાસીયા, જિલ્લા આયોજન અધિકારી જોષી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ગોહિલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, નગરપાલીકાના ચીફ ઓફિસરઓ અને વિવિધ કચેરીનાંઅધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:12 pm IST)