Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

કોઈ પરીક્ષા ક્‍યારેય આખરી હોતી નથી,હતાશા હટાવી વિજેતાની જેમ વિચારો

દરેક વ્‍યકિત કોઈને કોઈ કામમાં તો શ્રેષ્‍ઠ હોય જ છે

રાજકોટ :. હાલમાં પરીક્ષાનાં પરિણામ આવી રહ્યા છે ત્‍યારે ઘણા વિદ્યાર્થીઓ ધાર્યા પ્રમાણેનું પરિણામ મળ્‍યાતી ખૂશ હશે, તો ઘણા વિદ્યાર્થીઓને પોતાની ધારણા પ્રમાણેનું પરિણામ ન મળતા દુઃખી હશે. ક્‍યારેક કોઈ વિદ્યાર્થીએ પરીક્ષાનાં પરિણામ પછી આત્‍મહત્‍યા કરી હોય તેવા સમાચાર પણ વાંચવાનું ભાગમાં આવે છે ત્‍યારે ખૂબ દુઃખી થઈ જવાય છે. મનમાં પ્રશ્ન થાય છે કે, ‘શું ક્‍યારેય કોઈ પરીક્ષા આખરી હોય છે ?' જવાબ ખૂબ જ સ્‍પષ્‍ટ છે... ‘ના. ક્‍યારેય કોઈ પરીક્ષા આખરી નથી હોતી.' જે રીતે ક્‍યારેય કોઈ સફળતા કે નિષ્‍ફળતા કાયમી નથી હોતી, એ રીતે કોઈ પરીક્ષા પણ ક્‍યારેય આખરી નથી હોતી. દરેક નિષ્‍ફળતા માણસને કંઈક ને કંઈક શીખવી જાય છે. સાથે દરેક સફળતા પણ કંઈકને કંઈક નવા પડકાર લઈને આવે છે. કહેવાની વાત માત્ર એ છે કે પરિણામ ગમે તે હોય, સહર્ષ સ્‍વીકારી લેવું. આદિકવિ નરસિંહ મહેતાની જેમ ᅠ‘હરિ કરે તે ખરી' જેવા એટીટયુડથી મોટાભાગનાં દુઃખ  દૂર થઈ જતા હોય છે.

ક્‍યારેક નાની એવી નિષ્‍ફળતા પણ કોઈ એક વ્‍યકિતને અંદરથી હલબલાવી મુકે છે, એ જ પરિસ્‍થિતિમાં આવી નાનકડી નિષ્‍ફળતામાં બીજી વ્‍યકિત એમ વિચારે છે કે મારા માટે ભગવાને બીજી કોઈ સારી વ્‍યવસ્‍થા બનાવી રાખી હશે. તફાવત માત્ર અભિગમનો છે. સ્‍કૂલ પરીક્ષાનું પરિણામ જ તમારૂ ભવિષ્‍ય નક્કી નથી કરતું. તમારો ધ્‍યેય, અભિગમ, મહેનત, ધગશ, નિષ્‍ઠા, સ્‍માર્ટવર્ક, પરિણામ માટેની ધીરજ અને સાહસવૃતિ જેવા ગુણો તમારૂં ભવિષ્‍ય નક્કી કરતા હોય છે. એક પરીક્ષામાં ઓછા-વત્તા માર્કસ મળવાથી કોઈ આભ નથી તૂટી પડવાનું., શકય છે તમે વિજ્ઞાન વિષયમાં નબળા હશો, તેનો મતલબ એવો નથી કે તમે બધા વિષયમાં નબળા હશો. તમે સારા ચિત્રકાર, સારા કલાકાર કે સારા અભિનેતા પણ હોય શકો. એક વ્‍યકિત દરેક કાર્યમાં પારંગત નથી હોતી, પરંતુ યાદ રાખજો દરેક વ્‍યકિત એક કાર્યમાં તો શ્રેષ્‍ઠ હોય જ છે. આપણે આપણું એ શ્રેષ્‍ઠ કાર્ય શોધી કાઢવાનું છે કારણ કે કુદરતે દરેકને એક ખાસ મિશન સાથે આ સૃષ્‍ટિ પર મોકલ્‍યા છે.

માત્ર વકીલ કે ડોકટર બનવું જ સફળતા નથી. આપણી સૌથી મોટી સમસ્‍યા એ છે કે યુવાનો ‘જોબ' મળી ગઈ એટલે સફળ કહેવાય એવી માનસિકતાનો શિકાર બન્‍યા છે. આપણે આપણા સફળતાના માપદંડો બદલવા પડશે. પૂજ્‍ય મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, શહીદ ભગતસિંહ, અમિતાભ બચ્‍ચન, સચિન તેંડુલકર, મહેન્‍દ્રસિંહ ધોની, પી.ટી. ઉષા, મેરી કોમ, લતા મંગેશકર, એ.આર. રહેમાન, ધીરૂભાઈ અંબાણી, રતન ટાટા જેવા શ્રેષ્‍ઠીઓ નોકરી લઈને ઠરીઠામ થઈ જવામાં માન્‍યા હોત તો આ દેશનું નામ વિશ્વમાં રોશન કરે તેવા નેતા, ક્રાંતિકારીઓ, કલાકાર, ખેલાડી કે ઉદ્યોગપતિ મળ્‍યા હોત ? સાહસવૃતિ અને અભિગમના જોરે મોટામાં મોટા સંઘર્ષમાંથી બહાર આવીને કોઈપણ માણસ ઉચ્‍ચત્તમ પરિણામ હાંસલ કરી શકે છે. ક્‍યારેક આપણી ધારણા મુજબ પરિણામ ન મળે તો સમજવું કે ભગવાને આપણા માટે કંઈક સારૂ વિચારી રાખેલ છે. સવાલ છે, સ્‍વામી વિવેકાનંદજીએ કહ્યું ચે તમે ‘ઊઠો, જાગો અને ધ્‍યેય પ્રાપ્‍તિ સુધી મંડયા રહો' મંત્ર મુજબ ચાલવાનો.

અહીં એ પણ પ્રશ્ન થાય કે, ‘તો શું શિક્ષણની જરૂર નથી ?' તેનો અનુભવગત જવાબ છે કે, શિક્ષણની પણ એટલી જ જરૂર છે. શિક્ષણતી માણસ ‘વિવેકી' બને છે. શિક્ષણ મેળવ્‍યા વિના પૈસા કમાઈ શકાય છે, પરંતુ તેને સમજદારીપૂર્વક વાપરવા શિક્ષણ અનિવાર્ય છે. તમે પૈસાથી કાર ખરીદી શકશો, પરંતુ તેને શિસ્‍તબદ્ધ રીતે ચલાવવી, ટ્રાફીકના કાયદાનું પાલન કરવું, આપણી અને સામેવાળાની સલામતી જાળવવી જેવી સમજદારી તો શિક્ષણ અને પ્રશિક્ષણથી જ મળે છે.

શિક્ષણથી એ સમજ કેળવાય છે કે, ‘પૈસા કમાવા એજ માત્ર સફળતા નથી.' સરદાર વલ્લભભાઈ પટેલના મૃત્‍યુ સમયે તેની સંપત્તિમાં રૂા. ૨૫૦ પણ પૂરા ન હતા, તો શું તેઓ સફળ ન હતા ? પ્રસિદ્ધ શરણાઈ વાદક બિસ્‍મીલ્લાહખાન પાસે જતી જીંદગીએ સારવાર કરાવવા પૈસા ન હતા, તો શું તેઓ સફળ ન હતા ? આવા તો હજ્‍જારો ઉદાહરણ આપણી આસપાસ હશે, જેઓ જીવનપર્યત પોતાની જાત ઘસીને સમાજને કલા, સંસ્‍કૃતિ, રમતગમત, માનવસેવા, સામાજિક ઉત્‍થાન, કેળવણી જેવા વિવિધ ક્ષેત્રે ચિરકાલીન પ્રદાન આપીને ગયા હોય. માનવીનું મૂલ્‍ય તેના ‘પ્રદાન'માં રહેલું છે એ વાત આપણે સૌએ યાદ રાખવી પડશે અને તેથી સફળતાનો માપદંડ પણ ‘પ્રદાન' જ હોઈ શકે. આપણે સતત સજાગ રહીને વિચારવું પડશે ‘મારૂ પ્રદાન શું ?'

પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્ર મોદીએ દેશનાં ‘પદ્મ પુરસ્‍કાર' આપવાની પદ્ધતિ બદલી છે. કોઈ નેતાની ચિઠ્ઠી નહીં, પરંતુ જનતાના અભિપ્રાયથી ઉમદા પ્રદાન કરનાર વ્‍યકિતને ‘પદ્મ પુરસ્‍કાર' અપાય છે. મારે તમામ વાચકને હોમવર્ક આપવું છે કે આધુનિક યુગના દેવતા ‘ગૂગલ' પર જઈ છેલ્લા ચાર વર્ષોના ‘પદ્મ પુરસ્‍કૃત વ્‍યકિતઓ અને તેમના પ્રદાન' અંગે વાંચજો, જીવન પ્રત્‍યેની તમારી દ્રષ્‍ટિ અને દિશા બદલાઈ જશે.

અને છેલ્લે, સફળતાને એટીટયુડ સાથે લેવા દેવા નથી, નહીં કે માત્ર તમારી માર્કશીટ સાથે. સફળતા માટે કમ્‍ફર્ટ ઝોનમાંથી બહાર આવીને સંઘર્ષ અને સાહસ સાથે આગળ વધવુ પડશે. ભગવાન બુદ્ધની વાત જે આપણે સૌએ લખી રાખવા જેવી છે, ‘જેવું વિચારશો, તેવા બનશો.' માટે હતાશા, નકારાત્‍મકતા અને ભવિષ્‍યના ડરને ખંખેરી નાખી વિજેતાની જેમ વિચારવાનુ ચાલુ કરો, જોત જોતામાં તમારી સહી ‘ઓટોગ્રાફ' બની જશે.

- શ્રી મનસુખ માંડવિયા

કેન્‍દ્રીય મંત્રી - મો. ૯૪૨૬૨ ૧૧૬૭૦

(10:19 am IST)