Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ૨૦ હજાર લીટરની લિકવીડ ઓકિસજન ટેંક

ભાવનગર તા.૨૯ : ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધવાં સાથે શહેરની સર ટી. હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓનું દાખલ થવાનું ચાલું રહ્યું છે. કોરોનાની આ બીજી લહેરમાં દર્દીઓને ઓકિસજનની વધુ જરૂરિયાત પડવાં લાગતાં સર ટી. હોસ્પિટલમાં ઉપલબ્ધ ઓકિસજન ટેંકોને દરરોજ રિફિલિંગ કરાવવી પડતી હતી.

આથી સર ટી. હોસ્પિટલના તંત્રએ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો. જયેશ બ્રમ્હભટ્ટના નેતૃત્વમાં આ સગવડ વધારવાં માટે નિર્ણય લીધો અને રાજય સરકારે પણ પળવારનો વિલંબ કર્યા વગર આ માટેની તાત્કાલિક મંજૂરી આપતાં માત્ર એક જ અઠવાડિયામાં મંજૂરી મળવાં સાથે આવતાં ગુરૂવાર સુધીમાં હોસ્પિટલના કેમ્પસમાં ૨૦ હજાર લીટરની ક્ષમતાની લિકવીડ ઓકિસજન ટેંક સ્થાપિત કરવામાં આવનાર હતી, તેને બદલે તાત્કાલિક ધોરણે ગઇકાલે જ તેને સ્થાપિત કરી દેવામાં આવી છે.

સર ટી. હોસ્પિટલમાં એક- એક દર્દીનો પ્રાણ બચાવવાં માટે હોસ્પિટલ તંત્ર અડગ અને અવિચલ કામગીરી કરી રહ્યું છે. તેના પરિણામે દાખલ દર્દીઓને પૂરતાં પ્રમાણમાં ઓકિસજનનો પર્યાપ્ત જથ્થો નિર્વિઘ્ને ઉપલબ્ધ થાય તે માટે સિવિલ તંત્ર અથાગ પ્રયાસો કરી રહ્યું છે.

કોરોનાની બીજી લહેર વચ્ચે ઓકિસજનની જરૂરિયાત ધરાવતાં દર્દીઓની સંખ્યા વધવાના કારણે ઓકિસજનનો વપરાશ થઈ વધી રહ્યો છે ત્યારે અગાઉની ૧૦ હજાર લીટરની ક્ષમતાની લિકવીડ ઓકિસજન ટેંક, ૫ હજાર લિટરની ક્ષમતાની ક્રાયો લિકિવડ ઓકિસજન ટેંક, ઉપરાંત વધારાની ૨૦ હજાર લીટરની ક્ષમતાની લિકવીડ ઓકિસજન ટેંક સ્થાપિત કરવાથી હોસ્પિટલની ક્ષમતા ૩૫ હજાર લીટરની ક્ષમતાની થઇ ગઇ છે.

આ રીતે સર ટી. હોસ્પિટલમાં ઓકિસજનનો સતત અને નિયમિત પુરવઠો જળવાઇ રહ્યો છે. તેની સ્થાપિત ક્ષમતા વધવાથી હવે ફ્લોલેસ ઓકિસજનની વ્યવસ્થા ઉપલબ્ધ થતાં કોરોનાગ્રસ્ત કોરોનાના દર્દીઓને વધુ સારી સેવા આપી શકાશે.

કોરોનાની બીજી લહેરમાં પણ વહીવટી તંત્ર દ્વારા કોરોના દર્દીઓને ઉત્ત્।મ સારવાર મળી રહે તે માટેના તમામ પ્રયાસો થઇ રહયા છે. અત્યારે ઓકિસજનની માંગ વધવાથી જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાના નેતૃત્વમાં અથાગ પ્રયાસોથી સર ટી. હોસ્પિટલને ઓકિસજનની કોઇ ઉણપ ન રહે તે રીતે વિકસિત કરવાના ભાગરૂપે આ નવી સુવિધા તાત્કાલિક ઉભી કરવાનું નકકી કરાયું છે અને યુધ્ધના ધોરણે તે ગઇકાલે સ્થાપિત પણ કરી દેવામાં આવી છે.

(11:37 am IST)