Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

ગોંડલના પૂર્વ ભાજપના ધારાસભ્ય દ્વારા આંદોલનની ચીમકીને પગલે કલેકટરે મધ્યસ્થી કરી

ગોંડલ સહિત રાજકોટ જિલ્લાભરને ઓકિસજન સિલિન્ડર અને રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો મળશે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૨૯: ગોંડલ શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં અવારનવાર ઓકિસજનનો જથ્થો ખૂટી રહ્યો હોય તેમજ રેમડેસીવીર ઇન્જેકશન જરૂરિયાત પ્રમાણે મળતા ન હોય જેને કારણે કોરોના દર્દીઓની હાલત કફોડી બની રહી હોય ભાજપના જ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા જિલ્લા વહીવટીતંત્રને આડે હાથ લઈ રાજકોટ કલેકટર કચેરી સામે આમરણાંત ઉપવાસ આંદોલનની ચિમકી આપવામાં આવતા તંત્ર ધણધણી ઊઠયું હતું જિલ્લા કલેકટર દ્વારા તાકિદે પૂર્વ ધારાસભ્ય અને અધિક કલેકટરની મીટીંગ બોલાવી મધ્યસ્થી કરી ગોંડલ શહેર તેમજ જિલ્લામાં જરૂરિયાત પ્રમાણે ઓકિસજનનો જથ્થો અને રેમડેસીવીર ઇન્જેકશન મળતા રહેશે તેવી ખાતરી આપતા આંદોલન મોકૂફ રહ્યું હતું.

જયરાજસિંહ જાડેજા દ્વારા રાજકોટ જિલ્લા ઓકિસજન નોડલ ઓફિસર અધિક કલેકટર જે. કે.પટેલ ની બેદરકારીને લઇ ભારે નારાજગી વ્યકત કરી રાજકોટ કલેકટર કચેરી સમક્ષ ઉપવાસ આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.જેને પગલે પ્રત્યાઘાતો ગાંધીનગર સુધી પડ્યા હતા બનાવને પગલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી કલેકટર તંત્રને મુખ્યમંત્રી દ્વારા યોગ્ય કરવા સુચના અપાઇ હતી બાદમાં કલેકટરે જયરાજસિંહ જાડેજા અને અધિક કલેકટર જે કે પટેલની મીટીંગ બોલાવી સમયસર ઓકિસજન અને ઇન્જેકશનના જથ્થો મળતો રહેશે તેવી ખાતરી અપાતા આંદોલન મોકૂફ રાખ્યું હતું.જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે હાલ કોરોના બેફામ બન્યો છે ત્યારે તંત્ર દ્વારા ભવિષ્યમાં પણ દિલદાગડાઈ દાખવાશે તો હું ફરી લોકો માટે લડત આપીશ.

(11:35 am IST)