Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

જામનગરનું આ મંદિર છે સૌથી અનેરૂઃ તળાવ કાંઠે પ્રેમભિક્ષુજી મહારાજે સ્‍થાપના કરેલા બાલા હનુમાન મંદિરમાં પ૪ વર્ષથી ગુંજે છે અખંડ રામધૂન

અમદાવાદ: જામનગરમાં આવેલું બાલા હનુમાન મંદિર અખંડ રામધૂનના કારણે દેશભરમાં જાણીતું બન્યું છે. બિહારના એક નાનકડા ગામમાં 1912માં જન્મેલા પ્રેમભિક્ષુક મહારાજે આ મંદિરની સ્થાપના કરી હતી. તેઓએ યુવાનીમાં જ ભગવો ધારણ કરી લીધો હતો. તેઓ 1960માં જામનગરમાં આવ્યા હતા અને તળાવના કાંઠે આ મંદિર બંધાવ્યું હતું.

બાલા હનુમાન મંદિરની સ્થાપના પ્રેમભિક્ષુજી મહારાજે 1963-64માં કરી હતી. છેલ્લા 54 વર્ષથી અહીં અખંડ રામધૂન ચાલે છે. જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. આ મંદિરનાં આકર્ષણના કેન્દ્રની વાત કરીએ તો મોટા ઉત્સવોના દિવસે આ ધૂન ઘણી વાર ખૂબ જ ઊર્જા સાથે બોલાય છે. તો રાતના સમયે આ ધૂન સાંભળીને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે.

જે સ્વયંસેવકો આ ધૂનમાં સહભાગી થાય છે તેઓ એટલું ચુસ્ત સમયપત્રક પાળે છે કે, ક્યારે પણ આ ધૂન ખંડિત થવાની ચિંતા ઉપસ્થિત થતી નથી. બાલા હનુમાન મંદિર અહીંના જાણીતા લાખોટા તળાવ કે રણમલ તળાવની પાસે જ  આવેલું છે. પહેલી ઓગસ્ટ, 1964થી આ મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. એટલા દઢ ભક્તિભાવ સાથે કે 2001માં આખું ગુજરાત ભૂકંપથી ધણધણી ઊઠ્યું અને તારાજી સર્જાઇ તો પણ રામધૂન બંધ નોહતી કરવામાં આવી.

હનુમાનજીને આમતો કળયુગના દેવ માનવામાં આવે છે. અને તેમના મંદિરે શનિવારે અથવા તો મંગળવારે મોટી માત્રા ભીડ જોવા મળતી હોય છે. પરંતુ જામનગર પાસે આવેલા મંદિરમાં ચોવીસ કલાક લોકો હોય છે. અને અખંડ રામધૂન ચાલુ રાખીને વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યા છે. અહિ લોકોની ઇચ્છાઓ પૂર્ણ થાય છે.

હનુમાન જયંતિ અને તથા દર શનિવારના દિવસે આ મંદિરે મેળા જેવો માહોલ જોવા મળે છે. મોટીં સંખ્યામાં લોકો આ મંદિરે હનુમાનજીને આકડાની માળા અને તેલ ચડાવે છે. અહિં જામનગરની આસપાસના લોકો અવાર નવાર દર્શન કરવા આવીને ધન્યતાનો અનુભવ કરે છે.

(5:46 pm IST)