Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

૨ જ્વેલર્સની દુકાનમાંથી ૩ અજાણ્યા ઈસમોએ ચોરી કરી

લાખો રૂપિયાના સોનાચાંદીના ઘરેણાંની ચોરી : દુકાનની નજીક આવેલી ભરવાડ શેરીમાં ભીમજી નાથા પરમારનું શેરીમાં પાર્ક કરેલું બાઈક પણ ચોરી ગયા

ભાવનગર, તા.૨૮ :  ભાવનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કોળિયાક ગામે ગતરાત્રીના ત્રણ અજાણ્યા ઈસમોએ ૨ જ્વેલર્સની દુકાનમાંથી લાખો રૂપિયાના સોનાચાંદીના ઘરેણાંની ચોરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જે અંગે ઘોઘા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘોઘા તાલુકાના કોળિયાક ગામે રહેતા રાજેશકુમાર મનસુખલાલ નાંઢાએ કોઈ ત્રણ જેટલા અજાણ્યા ઈસમોએ પોતાની શ્રી તુલજા ભવાની જ્વેલર્સ નામની દુકાનમાં ચોરી કર્યાની ફરિયાદ ઘોઘા પોલીસ મથકમાં નોંધાવી હતી.

ગત મોડીરાત્રીના દોઢથી ત્રણના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમની દુકાનનું શટર તોડીને દુકાનમાં પ્રવેશ કરી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને ડીવીઆરની ચોરી કરી હતી. તેમજ તેમની દુકાનની નજીક આવેલી ભરવાડ શેરીમાં ભીમજી નાથા પરમારનું શેરીમાં પાર્ક કરેલું બાઈકની ચોરી કરી હતી. પોલીસે હાલ તો કુલ રૂપિયા ૩,૭૧,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી છે.

દુકાન માલિક રાજેશભાઈને આ અંગે સવારે જાણ થતાં તેમની બાજુની દુકાનના સીસીટીવી ચેક કરતા રાત્રીના પોણા બે થી ત્રણ વાગ્યા વચ્ચે મોઢે કપડું બાંધેલા અજાણ્યા બુકાનીધારી ત્રણ ઈસમો દુકાનમાં પ્રવેશતા સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું. દુકાન માલિકના જણાવ્યા મુજબ રોકડ અને સોનાચાંદીના ઘરેણાં મળી ૧૦ લાખથી વધુની ચોરી થવા પામી છે પરંતુ આ અંગે ઘોઘા પોલીસે ૩.૭૧ લાખની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(7:24 pm IST)