Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સોરઠની ધરતી પર ગુનાખોરીને ડામવા 'ગુજસીટોક' કાયદાનું પાલન કરાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી

જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની રજુઆત રંગ લાવી : ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ 'ગુજસીટોક' કાયદાનું પાલન કરાવી સાબિત કરી બતાવ્યુ કે કાયદો જ સર્વોપરી છે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮: થોડા સમય પહેલા વિસાવદરમાં બનેલ ખૂબ જ નિંદનીય ઘટનામાં અસામાજીક તત્વોની ટોળકી દ્વારા વિસાવદરમાં નાના વેપારીઓ પાસે આતંક ફેલાવી ધાક-ધમકી આપી ડરનો માહોલ ઉભો કરી ખડણી માગવામાં આવી હતી અને લોકો ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો.આ દ્યટનાથી સમગ્ર વિસાવદરના જનતામાં ભય નો માહોલ સર્જાયો હતો.જે બાબતે આવા ગુંડા આવારા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય અને વિસવાદર શહેર અને તાલુકાની જનતા સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાના બને તે માટે શહેરના આગેવાનો અને સામાજિક સંગઠનો દ્વારા કિરીટ પટેલને રજૂઆત કરવામાં આવી હતી.જે રજૂઆતને ધ્યાને લઇ આ ગંભીર બનાવ નો પ્રજાહિત વહેલી તકે નિર્ણય લઈ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને માન્ય ગૃહરાજયમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આવારાતત્વો સામે 'ગુજસી ટોક' કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે. અને સાબિત કરી બતાવ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નો ના નિરાકરણ માટે તત્પર છે.વિસાવદરના બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા 'ગુજસી ટોક' અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રજાના હિતમાં ગુજરાત સરકાર અને ગુહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ 'ગુજસી ટોક' કાયદા હેઠળ આવારાતત્વો સામે લાલ આંખ કરી છે તે બદલ વિસાવદરની જનતા આભાર માને છે. જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે 'ગુજસી ટોક' કાયદો લાગુ કરવામાં આવ્યો છે.સમગ્ર સોરઠ પંથકમાં સરકારના નિર્ણયથી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો અને સાબિત થઈ ગયું છે કે કાયદો જ સર્વોપરી છે.

(1:12 pm IST)