Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ છવાયો : સાસણગીરમાં છ ઇંચ

સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા લોકપ્રિય માધવરાય મંદિર ડૂબ્યું : મોરબીના નવલખી બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું : ભારે વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ : સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ, તા.૨૮ : છેલ્લા એક સપ્તાહથી સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોરદાર રીતે છવાયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના પંથકોમાં પણ આજે જોરદાર મેઘમહેર જારી રહી હતી. રાજકોટ, અમરેલી, વેરાવળ, સાસણગીર, જામનગર, જૂનાગઢ સહિતના પંથકોમાં આજે પણ વરસાદી માહોલ છવાયો હતો. સાસણગીરમાં છ ઇંચથી વધુ વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સાસણગીરમાં ધોધમાર છ ઇંચથી વધુ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું. સ્થાનિક સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવતા માધવરાય મંદિર છઠ્ઠી વખત ડૂબ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં આજે પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. બાબરામાં ગત રાત્રે દોઢથી બે ઇઁચ સુધીનો વરસાદ નોંધાયો હતો અને આજે ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યારે વેરાવળ પંથકમાં પણ આજે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી પાકને નુકસાન જવાની ભીતિ સેવાતા ખેડૂતોમાં ચિંતાનુ મોજુ પ્રસરી ગયું છે.

                    મોરબીના નવલખી બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે. જસદણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીરમાં ભારે વરસાદને કારણે હિરણ નદીના ૩ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વેરાવળના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ, ભેરાળા, મંડોર, સવની, ઇશ્વરીયા, સોનારીયા, મીઠાપુર, કાજલી, બાદલપરા, ઇન્દ્રોય, નાવદ્રા અને પ્રભાસ પાટણ એલર્ટ કરાયા હતા. અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી હતી. ઉનાના કાંઠાળના ગામોમાં રાવલ અને શાહી નદીમાં પૂર આવ્યું હતું. ખત્રીવાડ ગામના વિદ્યાર્થીઓ પાણી ફસાયા હતા.

                      કોઝવે પર ભારે પાણી આવી જતા વિદ્યાર્થીઓ સ્કૂલમાં ફસાયા હતા. પરંતુ ગ્રામજનોએ તેઓને બચાવ્યા હતા. અમેરલીના ખાંભામાં પવન સાથે વરસાદ પડતા તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા ખાંભા-ઉના સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. ખાંભામાં રાત્રિથી અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. ખાંભામાં આજે બેથી ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે રોડ-રસ્તા સહિત સમગ્ર પંથકમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં કાનાભાઇ ગભાઇ ચૌહાણ નામના રહીશની દિવાલ ધરાશાયી થઇ હતી. જો કે, દિવાલ પડવાના કારણે કોઇ જાનહાનિ સર્જાઇ નહોતી. તો, સરધારમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

(9:30 pm IST)