Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વરસાદ વચ્ચે કચ્છ આશાપુરા માંના દર્શન માટે ભારે ધસારો

માં આશાપુરા મઢ તરફ જતાં માર્ગો હાઉસફુલ :મેઘરાજા ભારે વરસાદ વરસાવી જાણે શ્રદ્ધાળુઓની કસોટી કરી રહ્યા હોય પણ ભકત ભકિતના માર્ગમાં આગળ વધ્યા

અમદાવાદ, તા.૨૮ : આવતીકાલથી માં આદ્યશકિતના નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી, કચ્છના આશાપુરા માતાના મઢ સહિતના માતાજીના યાત્રાધામોમાં લાખો શ્રધ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટશે. નવરાત્રિનો પ્રારંભ થવાને આડે ગણતરીની ઘડીઓ બાકી છે તેમછતાં આ વખતે મેઘરાજાએ તેમની મહેર ચાલુ રાખી છે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના રાજયના મોટાભાગના પંથકોમાં મેઘરાજાની અવિરત સવારી જારી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ લાખો માંઇ ભકતો કચ્છના સુપ્રસિધ્ધ આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરવા પહોંચી રહ્યા છે. મેઘરાજા વરસાદ વરસાવી જાણે શ્રધ્ધાળુઓની કસોટી કરી રહ્યા હોય પરંતુ ભકતો પણ દ્રઢ મનોબળ અને માં આશાપુરાની ભકિતના સહારે તેમના ભકિતમાર્ગમાં સતત આગળ વધી રહ્યા છે, જેને લઇ આશાપુરા મઢના સમગ્ર માર્ગ પર પગપાળા યાત્રિકોને લઇ જાણે ભકિતનો માહોલ છવાયો છે. માંઇ ભકતો પરંપરા મુજબ, નવલા નોરતા-નવરાત્રી આવે એટલે માતાના મઢ ના દર્શન કરવા લોકો પગપાળા માને મસ્તક નમાવવા નીકળી પડયા છે.

               આ વર્ષે કચ્છમાં વરસાદ સારો પડ્યો છે અને હજુ પણ વરસાદ કેડો મૂકતો નથી. હાલ પદયાત્રીઓ પગપાળા માતાના મઢમાં આશાપુરાના દર્શને ત્રણ દિવસ થયા નીકળ્યા છે પણ વરસાદ ચાલુ જ છે. પદયાત્રાળુઓનો પ્રવાહ પણ અવિરત છે. સવારના ભાગે ગરમી જેવો માહોલ અને બપોર પછી વરસાદ ચાલુ થઈ જાય છે. પણ માતાના મઢ જતા યાત્રાળુઓ કહે છે કે ટાઢ હોયકે તડકો કે હોય વરસાદ અમારે માતાના મઢ જવું છે. ભુજથી બંને બાજુએ હાઇવે પરથી જતા પદયાત્રાળુને બપોર પછી વરસાદ નડતરરૂપ થઈ રહ્યો છે. યાત્રાળુઓ પોતાની શ્રધ્ધા અતુટ રાખીને આગળ વધી રહ્યા છે. આજે પણ વરસાદ પડ્યો હતો પરંતુ વરસતા વરસાદમાં પણ શ્રધ્ધાળુ ભકતો ભકિત સાથે ચાલી રહ્યા છે. ગઇકાલે બપોર બાદ અચાનક ભુજ તાલુકાની આહિરપટ્ટીમાં મેઘો ધોધમાર વરસી પડતા ભુજ-ભચાઉ ધોરીમાર્ગના આશાપુરા માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રિકોના સેવાકેમ્પોમાં રીતસરના પાણી ભરાયા હતા. કેમ્પમાં પાણી ભરાતા મોટરથી પાણી ઉલેચાયા હતા, છતાંય સેવા અવિરત ચાલુ જ રહી હતી.

                  પદયાત્રીઓની સેવા માટે રાધનપુરથી કચ્છ આવેલા કરશનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, પગપાળા નીકળેલા આસ્થળુઓને વરસાદનું વિધ્ન નહિ નડે. કદાચ ઠંડી પડવાથી બીમાર પણ પડ્યા તો તેમની આરોગ્યની ચિંતા કરવાની અમારી જવાબદારી છે. મઢવાળી મા બધાને દર્શન આપશે. ધ્રાંગધ્રાથી પરિવાર સાથે પગપાળા બુધવારે નીકળેલા દેવજીભાઈએ જણાવ્યું કે, અમને રસ્તામાં કોઈ તકલીફ નથી પડી. ભુજમાં બપોરે ભારે વરસાદમાં પલળ્યા પણ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના કેમ્પમાં તાવ અને ઉધરસની દવા લઈ લેતા, એકદમ સારૂ લાગે છે. મઢના રસ્તે ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમે છે, જેને પગલે રસ્તો કયાં કપાઈ ગયો તે ખબર જ ન પડી. અન્ય પદયાત્રીઓ નો પણ સૂર એ જ હતો કે, રક્ષા કરવાવાળી મા બેઠી છે, પછી શું ચિંતા હોય. કચ્છ બહારથી આવતા અનેક પદયાત્રીઓ હતા કે જેઓ વરસાદમાં ભીંજાવા સામે કોઈ તૈયારી નહોતી, પણ મજબૂત મનોબળ અને અડગ આસ્થા થકી કોઈ પણ હવામાનના પલટાથી ચિંતિત નહોતો. શ્રધ્ધાળુ ભકતોની માં આશાપુરા પ્રત્યેની ભકિત અને આસ્થાને લઇ હાલ તો સમગ્ર માર્ગ પર માંઇ ભકિતનો માહોલ જાણે છવાઇ ગયો છે.

(8:55 pm IST)