Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પ્રાણીઓના શરીરમાંથી લોહી ચુસીને નભનારી એક જીવાત કરડવાથી બિમાર પડેલા સાસણ ગીરના ૬માંથી ૪ સિંહ બાળને વન વિભાગની ટીમે બચાવી લીધાઃ ટૂંક સમયમાં જ જંગલમાં છોડી દેવાશે

માંગરોળઃ જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં જ જન્મના થોડા સમય બાદ 4 સિંહ બાળને જીવલેણ બેક્ટેરિયાનું ઈન્ફેક્શન થયું હતું. આ કેસ દુર્લભ હોવાનાં બે કારણ છે, સિંહણ ભાગ્યે જ એકસાથે 6 બચ્ચાંને જન્મ આપતી હોય છે અને બીજું કારણ એ છે કે બીમારી હોવા છતાં 6માંથી 4 સિંહ બાળને બચાવી લેવામાં આવ્યાં છે. બહુ જલદી ચારેય સિંહ બાળને જંગલમાં છોડી મૂકવામાં આવશે.

જૂનમાં માંગરોળ રિઝર્વ ફોરેસ્ટના બાબરા વીડી ખાતે સિંહણે 6 બચ્ચાંને જન્મ આપ્યો હતો. પહેલી વખત અહીં જોવા મળ્યું કે અધિકારીઓ 6 સિંહ બાળ અને સિંહણને લઈને અહીં આવ્યા હોય. જો કે 24 કલાકના નિરીક્ષણ બાદ પ્રારંભિક ઉત્સાહ ચિંતા ફેરવાતો ગયો જ્યારે માલુમ પડ્યું કે 6માંથી એક સિંહ બાળ બિલકુલ ચાલી નથી રહ્યું.

વહેલી સવારે 2 વાગ્યે સિંહ બાળના લોહીનો નમૂનો લેવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે તે બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે થતા ઍનાપ્લાઝમિસથી પીડાઈ રહ્યું હતું. ત્યારે ફોરેસ્ટ અધિકારીઓ સિંહ બાળનો ઈલાજ કરવાનું વિચારી જ રહ્યા હતા કે સિંહણે બીમાર સિંહ બાળ સહિત અન્ય સિંહ બાળને ત્યજીને અધિકારીઓને વધુ એક પડકાર આપ્યો હતો.

પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસીને નભનારી એક પ્રકારની જીવાત કરડવાથી એનાપ્લાઝમિસ થાય છે. જેને કારણે એનિમિયા અને શ્વસન સમસ્યાઓ થતી હોય છે. ડેપ્યૂટી સંરક્ષક ડૉ. સુનિલ બેરવાલે કહ્યું કે, “સિંહ બાળને તેની માતાની બાજુમાં જ સારવાર આપવાનું વિચાર્યું જેથી કરીને તેમનો સામાજિક વ્યવહાર ન બદલાય.સારવાર દરમિયાન પશુ ચિકિત્સકને જાણવા મળ્યું કે સિંહ બાળને ગંભીર રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો.

ડૉ. સુનિલ બેરવાલે જણાવ્યું કે બે સિંહ બાળની હાલત બહુ ગંભીર હતી, સારવાર દરમિયાન બે સિંહ બાળ મૃત્યુ પામ્યાં હતાં જ્યારે અન્ય 4 સિંહ બાળને બચાવી લેવામાં આવ્યાં હતાં. મૃત સિંહ બાળનો પોસ્ટમોર્ટમ કરતાં ઍનાપ્લાઝમિસના કારણે મૃત્યુ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. લોહીના નમૂનાની તપાસ કરવા માટે વિવિધ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ પ્રિયવ્રત ગઢવીએ જણાવ્યું કે, ‘સામાન્ય રીતે સિંહ બાળનો મૃત્યુદર 60 ટકાની આસપાસ છે. આ એક દુર્લભ કેસ છે કે બીમાર હોવા છતાં સાથે જન્મેલા 6 બાળકોમાંથી 4ને જીવનદાન આપી શકાયું હોય.ફોરેસ્ટ અધિકારીએ કહ્યું કે, ‘સિંહણ જ્યારે એકસાથે 6 બાળકોને જન્મ આપતી હોય છે ત્યારે તેમાંનાં કેટલાંક સિંહ બાળ જન્મજાત જ નબળાં હોય છે.ઈલાજ બાદ 4 સિંહબાળને બચાવી લેવામાં આવ્યાં છે અને હવે તેમને દૂધ અને ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે.

(5:46 pm IST)