Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

જુનાગઢ જીલ્લામાં મગફળીના પાકમા મુંડાના ઉપદ્રવને અટકાવવાના ઉપાયો

જૂનાગઢ, તા.૨૮:જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જિલ્લા પંચાયત જૂનાગઢની યાદીમાં જણાવાયુ છે કે ચાલુ ખરીફ સીઝનમાં જૂનાગઢ જિલ્લાનાં મોટા ભાગનાં વિસ્‍તારોમાં મગફળીનું વાવેતર થનાર હોય, મગફળીના પાકમાં સફેદધૈણા નામની જીવાતનો ઉપદ્રવ સામાન્‍ય રીતે જોવા મળવાના અહેવાલો છે. આ ધૈણની ઈયળો પહેલા તંતુમુળને અને ત્‍યાર બાદ મુખ્‍યમુળને કાપીને નુકશાન કરે છે. તેનું નુકશાન ચાસમાં આગળ વધતા મગફળીનાં છોડ સુકાવાથી ખેતરમાં મોટાખાલા પડે છે. અને મોટા પ્રમાણમાં નુકશાન કરે છે. જો સફેધૈણનો ઉપદ્રવ વધુ પડતો જોવા મળે તો સંકલીત જીવાત નિયંત્રણ અંતર્ગત પાક અને જીવાતની પરિસ્‍થિતી અનુસાર જરૂરી પગલા લેવા સંબંધિત ખેડુતોને ભલામણ કરવામાં આવે છે.  અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાનાં ઘણા વિસ્‍તારનાં ખેતરોમાં છેલ્લા થોડા વર્ષોથી મગફળીના પાકમાં સફેદ ધૈણ કે જે ‘મુંડા' જીવાત તરીકે ઓળખાય છે. તેનો ઉપદ્રવ વધ્‍યો છે.

જૂનાગઢ કૃષિ યુનિ.ના સંશોધનમાં ધૈણની ૧૪ જાત મગફળીના પાકને નુક્‍સાન કરતી જણાઈ છે. આ તમામ જીવાતમાંથી જામનગર અને સૌરાષ્ટ્રમાં એપોગોનિયા રૌકા નામની જીવાત મગફળીના પાકને વધુ નુક્‍સાન કરતી હોવાનું સંશોધન પછી જણાયું છે. આથી આ જીવાતના નિયંત્રણ માટે સામૂહિક પગલાં અનિવાર્ય છે. ધૈણ જીવાતનો જીવનક્રમ તથા નુક્‍સાન કરવાની ચોક્કસ પ્રકારની ખાસિયતને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ ફક્‍ત જંતુનાશક દવાઓથી થઈ શકે તેથી તેના અસરકારક નિયંત્રણ માટે ઉપદ્રવવાળા વિસ્‍તારમાં નિયંત્રણ માટે વિવિધ પદ્ધતિઓનું સંકલન કરી સામૂહિક ધોરણે પગલાં લેવા જરૃરી છે. જેમાં શરૂઆતનો સારો વરસાદ થયા પછી ખેતરના સેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કાર્બારીલ દવાના (૧૦ લી. પાણીમાં ૪૦ ગ્રામ દવા) મિશ્રણનો છંટકાવ કરવાથી ઝાડ ઉપર એકઠા થયેલા ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી જોઈએ. સાંજના સમયે ખેતરના શેઢાપાળા પરના ઝાડને હલાવી તેના પર બેઠેલો ઢાલિયાને નીચે પાડી કેરોસીનવાળા વાસણમાં ભેગા કરી નાશ કરો. ઉનાળામાં ઊંડી ખેડ કરવાથી જમીનમાં રહેલા કેશોટા તથા સષુપ્ત અવસ્‍થામાં રહેલા પુખ્‍ત કીટકો (ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થશે. ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમિયાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગા કરી તેનો નાશ કરવો. ક્‍લોરપાયરીફોસ ર૦ ટકા ઈ.સી. અથવા ક્‍વીનાલફસ રપ ટકા ઈ.સી. દવાનો ૧ કિ. બીજ દીઠ રપ મી.લી. દવા પ્રમાણે બેજને પટ આપી, બે-ત્રણ કલાક બીજને છાંયડામાં સૂકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો. લિન્‍ડેન ૦.૬પ ટકા ભુક્કીરૂપ દવા હેક્‍ટર દીઠ ૧રપ કિલોગ્રામ પ્રમાણે અથવા ફોરેટ-૧૦-જી દાણાદાર દવા હેક્‍ટરે રપ કિ. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવી.

 એરંડીનો ખોળ હેક્‍ટરે પ૦૦ કિ.ના હિસાબે વાવેતર પહેલા ચાસમાં આપવાથી ધૈણ ઉપરાંત મગફળીના પાકમાં ડોડવાને નુક્‍સાન કરતી જીવાતો જેવીકે કાળા જીવડા પિયોળિયો જેવી જીવાતો સામે પણ રક્ષણ મળે છે. ઊભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ક્‍લોરપાયરીફોસ હેક્‍ટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી નિયંત્રણ મળે છે. જો પિયતની સગવડ ન હોય તો પંપ દ્વારા, નોઝલ કાઢી ક્‍લોરપાયરીફોસ (૧૦ લીટર પાણીમાં રપ મી.લી. દવા) દવાનું પ્રવાહી મિશ્રણ મગફળીના મૂળ પાસે પડે અને જમીનમાં ઉતરે તે રીતે રેડવાથી નિયંત્રણ મેળવી શકાય છે અથવા ક્‍લોરપાયરીફોસ ચાર લીટર દવા પાંચ લીટર પાણીમાં ઓગાળી આ મિશ્રણને ૧૦૦ કિલો રેતીમાં ભેળવી ત્‍યારપછી રેતી સૂકવી, આ રેતી એક હેક્‍ટર વિસ્‍તારમાં છોડના થડ પાસે પુખવી, ત્‍યારપછી જો વરસાદ ન હોય તો હળવું પિયત આપવું. મગફળીના ઊભા પાકમાં આ જાતના ઢાલિયા કીટકો પાન ખાયને પણ નુક્‍સાન કરતા હોય છે. તેથી તેના નિયંત્રણ માટે મોનોકોટોફોસ દવા (૧૦ લીટર પાણીમાં ૧૦ મી.લી. દવા)નો છંટકાવ કરવો તેમ યાદીમાં જણાવાયુ છે.

(11:25 am IST)