Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

બોટાદના સરવા ગામે માનસિક દિવ્‍યાંગ નિર્વષા હાલતમાં અને બંધક એવા 22 વર્ષીય યુવાનને મુક્‍ત કરી સારવાર માટે હોસ્‍પિટલમાં દાખલ કરતા ખજુરભાઇ

ગરીબ ખેડૂત પરિવારને પાણીના બોર અને મકાનની વ્‍યવસ્‍થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ

બોટાદઃ બોટાદના છેવાડાના સરવા ગામે ખેતી કરી ગુજરાત ચલાવતા પ્રાગજીભાઇનો 22 વર્ષીય પુત્ર મહેશ માનસિક દિવ્‍યાંગ હોવાથી છેલ્લા 6 વર્ષથી નિર્વસ્ર હાલતમાં બાવળના ઝાડ સાથે બાંધેલો હોઇ તેવી જાણ ખજુરભાઇ (નીતિન જાની)ને થતા તેઓ સ્‍થળ પર જઇ યુવાનને મુક્‍ત કરી સારવાર માટે ભાવનગર સિવિલમાં દાખલ કર્યો અને ગરીબ ખેડૂત પીરવાર માટે પાણીનો બોર અને મકાનની વ્‍યવસ્‍થા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયુ હતું.

૬ વર્ષ થી ઝાડ નીચે નિર્વસ્ત્ર હાલતમાં જીવતા પિડિત યુવકની સારવાર અને મકાન આપી મૂઠ્ઠી ઉચેરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ ખજુર ભાઇએ પુરૂ પાડ્યું હતું. નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈની મહેનત રંગ લાવી રહી છે. સરવા ગામે ખેત મજૂર પરિવારની વ્હારે ખજૂરભાઈ અને તેની ટિમ કામગીરી કરી રહી છે. ખેતમજુરનો ૨૨ વર્ષના પુત્ર જે અસ્થિર મગજનો હોય જેથી ૬ વર્ષથી બાવળ સાથે બાંધેલો હતો તેને મુકત કરી અને પાણી માટે બોર કરાવી યુવાન માટે સુવિધા વાળો રુમ બનાવીને મહેશને નવરાવી હેર કટીગ કરી કપડાં પહેરાવી નાસ્તો કરાવ્યો ત્યારે ૬ વર્ષથી બંધક મહેશ નોર્મલ લાગી રહ્યો છે. મહેશને સારવાર માટે ભાવનગર લઈ ગયા ત્યારે પરીવારમા આનંદ જોવા મળ્યો. આમ ખજૂરભાઈ ની મહેનત રંગ લાવી હતી.

બોટાદ તાલુકાના છેવાડે આવેલા સરવા ગામે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા પ્રાગજીભાઈ અણીયાળીયા બે દીકરા અને પત્ની સાથે વાડીએ રહીને જીવન ગુજારો ચલાવી રહ્યા છે. પ્રાગજીભાઈનો પુત્ર મહેશ 22 વર્ષ જે પ્રાગજીભાઈના કહેવા મુજબ છેલ્લા ૬ વર્ષથી માનસિક અસ્થિર હોવાથી બાંધીને રાખવો પડે તેવી સ્થિતિમાં જીવી રહ્યો છે. છેલ્લા ૬ વર્ષ ઉપરાંત સમયથી મહેશ નગ્ન અવસ્થામાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં રહે છે. આ કિસ્સામાં માહિતી અને જ્ઞાનના અભાવે ધાર્મિક વિધિ વિધાન સુધી સિમિત રહી જરૂરી કોઈ તબીબી સારવારથી વંચિત રહેલા આ માનસિક અસ્થિર રહેલા પિડિતની જનાવર કરતા પણ બદતર હાલત હોવાનું જીગલી એન્ડ ખજૂર ફેઈમ નિતિન જાની સુધી સમગ્ર વાત પહોંચતા માનવીય અભિગમ સાથે સ્થળ ઉપર પહોંચી ગરીબ પરિવાર સાથે જરૂરી ચર્ચા સમજાવટ કરી વર્ષોથી બંધક જીવન જીવતા મહેશને બંધન મુક્ત કરી રહેવા છત સહિતની પ્રાથમિક સુવિધાઓ પણ આપીને ખજૂરભાઈએ મૂઠ્ઠી ઉચેરૂ માનવીય કાર્ય કરી લોકોના હદયને સ્પર્શી પ્રશંસા પામેલ છે.

નાગરિક તરીકે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને પોતાનાથી શકય બને તેટલી મદદ કરવાના મિશન સાથે સક્રીય બનેલા નીતિન જાની એટલે ખજૂરભાઈ હાલ ગરીબ લોકો માટે જાણે ભગવાન હોય તેમ લોકોની મુશ્કેલીની  માહિતી મળતા જ મદદ કરવા માટે ટિમ સાથે પહોંચી જાય છે. ત્યારે તેમના ઓફિશ્યલ સોસીયલ મીડિયા ઉપર ખજૂરભાઈના ચાહક દ્વારા સરવા ગામની બંધક યુવક અને પરિવારની ઘટના પહોંચાડી હતી. આ ઘટનાની જાણ થતા જ એકશન મોડમાં આવીને રૂબરૂ સ્થળ મુલાકાત કરી હતી.

સમાજની પરિસ્થિતિ નિહાળી દુઃખ વ્યક્ત કરી પોતાનાથી બનતા પ્રયાસો હાથ ધર્યા હતા. ખજૂરભાઈએ પાણી માટે તાત્કાલિક બોર કરાવ્યો અને ૯૦ ફુટે પાણી આવ્યું હતું તેમજ વીજળીની વ્યવસ્થા કરાવી અને બંધક મહેશને મુકત કરી તેને હેર કટીગ કરાવીને નવરાવીયો હતો અને કપડા પહેરાવીયા તેમજ ખજૂરભાઈએ મહેશ માટે તાત્કાલિક એર કુલર, પંખાની સુવિધાઓ વાળો રુમ તૈયાર કરી મહેશને રુમમા પ્રવેશ કરાવ્યો હતો. મહેશને નાસ્તો કરાવો હતો. ૬ વર્ષથી ઝાડ સાથે બંધક મહેશ ૪ દિવસમાં નોર્મલ સ્થિતિમાં આવ્યો હતો. ત્યારે ખજૂરભાઈએ મહેશને હાલ ભાવનગર મગજના ડોકટર પાસે સારવાર માટે લઈ ગયા છે.

આ કામગીરી અને નીતિનભાઈ ઉર્ફે ખજૂરભાઈને જોવા માટે પણ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ખજૂરભાઈએ સમાજમાં રહેતા સક્ષમ લોકોએ જરૂરિયાત મંદ લોકોની સેવા માટે આગળ આવવા અને ઈશ્વરે આપેલા ઐશ્વર્યનો સદુપયોગ કરવાની ઉમદા ભાવના દાખવવા અનુરોધ કર્યો હતો. છેલ્લા ૬ વર્ષ થી ઝાડ સાથે બંધક રહેલ મહેશને ખજૂરભાઈ દ્વારા મુકત કરી તેના માટેની તમામ વ્યવસ્થા કરતા મહેશના પરીવારમાં આનંદ છવાયો અને ખજૂરભાઈ ની આ માનવ સેવાને બીરદાવી હતી.

(5:00 pm IST)