Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

વિસાવદરનાં પ્રેમપરામાં પતિએ પત્‍નીની કરી હત્‍યા કરી લાશ દાટી દીધીઃ ધરપકડ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮: વિસાવદરનાં પ્રેમપરા ગામનાં એક શખ્‍સે પોતાની પત્‍નીની હત્‍યા કરી બાદમાં લાશને દાટી દીધી હોવાનું સામે આવતાં પોલીસે લાશને બખોલમાંથી કાઢી પી.એમ. માટે મોકલી આપી હતી.

આ બનાવમાં પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદનાં આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

પ્રેમપરાનાં જીવરાજ જોગાભાઇ માથાસુરીયાએ ગીર સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાનાં અંબાળા ગામની લક્ષ્મીબેન કરમશીભાઇ વાઘેલા સાથે લગ્ન કરેલ.

પરંતુ મહિલાનાં પિતા કરમશીભાઇને તેની પુત્રીને જોવાની ઇચ્‍છા થતાં તેઓ પ્રેમપરા આવેલ પણ જમાઇનાં ઘરે દિકરી જોવા મળેલ નહિં અને જીવરાજે ગોળ ગોળ જવાબ આપતાં પોલીસને અરજી આપી હતી.

આથી વિસાવદરનાં પી.આઇ. નિરવ શાહ તથા પી.એસ.આઇ. સુમરાએ જીવરાજને પકડી પુછપરછ હાથ ધરતાં પોલીસને આડી અવળી માહિતી આપી હતી.

પી.આઇ. શાહે આકરી પુછપરછ કરતાં પતિ જીવરાજે પત્‍ની લક્ષ્મીની હત્‍યા કરી તેની લાશ દાટી દીધી હોવાની કબુલાત આપી હતી.

આથી પોલીસે શુક્રવારની રાત્રે પ્રેમપરા ગામનાં રામપરા વિસ્‍તારની સીમમાં બખોલમાંથી લાશ મેળવી હતી.

આરોપીએ બે માસ અગાઉ લક્ષ્મીબેનને મારી નાંખી બખોલમાં લાશ દાટી દઇ ઉપર રેતી માટી નાંખી દીધી હતી.

આ અંગે મોડી રાત્રે મૃતક મહિલાનાં પિતા કરમશીભાઇ વાઘેલાએ તેની દિકરી લક્ષ્મીની હત્‍યા અંગે જમાઇ જીવરાજને અન્‍ય મહિલા સાથે અનૈતિક સંબંધ હોય અને તેની સાથે રહેવું હોય આથી લક્ષ્મીબેનની હત્‍યા કરી લાશ દાટી દીધી હોવાની ફરિયાદ કરતાં વિસાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

તપાસનીશ પી.આઇ. નિરવ શાહે અકિલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવેલ કે લક્ષ્મીબેનનો લગ્ન ગાળા ૧૦ વર્ષનો હતો. તેની લાશ હાડપિંજર થઇ જતાં પોસ્‍ટ મોર્ટમ માટે જામનગર ખાતે મોકલવામાં આવેલ છે.

મૃતક મહિલાનાં પિતાની ફરિયાદનાં આધારે જીવરાજની ધરપકડ કરીને તેની વધુ તપાસ-પુછપરછ હાથ ધરવામાં આવી છે.

(12:52 pm IST)