Gujarati News

Gujarati News

News of Saturday, 28th May 2022

કચ્છમાં એક જ દિ'માં બબ્બે પ્રેમી પંખીડાઓએ જીવ દીધો

બન્ને બનાવમાં પરિણીત પ્રેમિકાઓએ લગ્ન બાદ અપરિણીત પ્રેમી સાથે મોતને વ્હાલું કર્યું

(વિનોદ ગાલા દ્વારા)ભુજતા.૨૮

કચ્છના રાપર મધ્યે તકિયાવાસમાં બંધ મકાનમાં એક યુવક અને યુવતીની મળી આવેલી લાશે ચકચાર સર્જ્યા બાદ આ પ્રકરણમાં પ્રેમી પંખીડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કર્યાનું ખુલ્યું છે. બન્ને લાશ અંગે મકાનમાલિક બાબુભાઈ મૂળજીએ જાણ કર્યા બાદ પોલીસે હાથ ધરેલી તપાસમાં લાશ રાપરના નવીન રામજી પઢીયાર અને ભૂટકિયા ગામની વનિતા બાબુભાઈ સોલંકીની હોવાની ઓળખ થઈ હતી. પોલીસ તપાસ અનુસાર બન્ને પ્રેમીઓ પૈકી યુવતી વનિતા પરિણીત હતી જ્યારે યુવાન નવીન અપરિણીત હતો. વનિતાના લગ્ન હમણાં જ તા/૧૨/૫ ના થયા હતા. કૌટુંબિક મરજીથી થયેલા લગ્ન બાદ પ્રેમીઓ એક ન થઈ શકતા અંતે બન્ને પ્રેમી પંખીડાઓએ જીવ દઈ દીધો હતો. બીજો બનાવ ભચાઉના ચોપડવા અને ચિરઈ ગામ પાસે વાડી વિસ્તારમાં બન્યો હતો. જેમાં પોતાના સબંધીના ઘેર આવેલા પંચમહાલના પ્રેમી યુગલે અહીં કચ્છમાં જ સજોડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવ દઈ દીધો હતો. મોરા ગામ (પંચમહાલ)ના દિનેશ બાબુભાઈ ભેદી અને કાજલ રમણભાઈ ઉમા નામના પ્રેમી પંખીડા પોતાને વતનથી ભચાઉ સબંધીના ઘેર આવ્યા હતા. અહીં બન્નેએ ગળે ફાંસો ખાઈ સજોડે જીવ દઈ દીધો હતો. પોલીસને જાણ કરાયા બાદ મળેલી માહિતી અનુસાર મૃતક યુવતી કાજલના ચાર દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. જ્યારે પ્રેમી દિનેશ અપરિણીત હતો. પરિવારે કરેલા લગ્ન મંજૂર ન હોઈ પરિણીત કાજલ અને અપરિણીત પ્રેમી દિનેશ સાથે પંચમહાલ થી ભાગીને કચ્છ આવ્યા હતા. પણ, બન્ને પ્રેમીઓને એક થાય એવું ન લાગતાં બન્નેએ મોતને વ્હાલું કર્યું હતું.

(10:49 am IST)