Gujarati News

Gujarati News

News of Monday, 28th May 2018

ભાજપના કાર્યકરો દ્વારા પોતાના ઘર પાસે જ પોતાનું પુતળાનું દહન કરાતા વિરજીભાઇ ઠુમ્મરની ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ

અમરેલીઃ ધ્રાંગધ્રાના માલવણ ખાતે પાસના નેતા હાર્દિક પટેલની અધ્‍યક્ષતામાં આયોજીત કાર્યક્રમ દરમિયાન લાઠીના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે જીતુભાઇ વાઘાણી અંગે આપેલા વિવાદાસ્‍પદ નિવેદન બાદ અમરેલીમાં વિરજીભાઇ ઠુમ્‍મરના ઘર પાસે તેમના જ પુતળાનું દહન કરતા વિરજીભાઇ ઠુમ્‍મરે ભાજપના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ કરી છે.

પરેશ ધાનાણીએ પણ ભાજપનાં કાર્યકરો સામે પગલા લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે જીતુભાઇ વાઘાણી પર વિવાદીત નિવેદન આપ્યા બાદ ભાજપનાં કાર્યકર્તાઓએ વિરજીભાઇ ઠુમ્મરનાં પૂતળાનું દહન કર્યું હતું. વિરજીભાઇ ઠુમ્મર અને પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં.

મહત્વનું છે કે કોંગ્રેસનાં ધારાસભ્ય વીરજીભાઇ ઠુમ્મરે કરેલા ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અંગે આપેલાં વિવાદાસ્પદ નિવેદનને લઇ ગઇ કાલે અમદાવાદ સ્થિત કોંગ્રેસ ભવન ખાતે વીરજીભાઇ ઠુમ્મરનાં નિવેદનનો વિરોધ કરવા માટે ભાજપનાં અનેક કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતાં. ભાજપનાં આ કાર્યકર્તાઓએ ત્યાં ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.

ભાજપનાં આ વિરોધ પ્રદર્શન વખતે મહત્વની બાબત તો એ હતી કે એવાં સમયે ઘટના સ્થળે ભાજપ અને કોંગ્રેસનાં અનેક કાર્યકર્તાઓ આમને સામને આવી ગયાં હતાં. પરિણામે કોંગ્રેસ ભવન એક પ્રકારે સમરાંગણ બની ગયું હતું.

બંને પક્ષનાં કાર્યકર્તાઓ આમને સામને આવી જતા ઝપાઝપી પણ થઇ હતી જેને લઇને ઘટના સ્થળે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. આ કાર્યકર્તાઓને છોડાવવા માટે પોલીસે દરમ્યાનગીરી કરવાની ફરજ પડી હતી. જો કે હવે ભાજપે એવી માંગણી કરી છે કે વીરજી ઠુમ્મર જીતુ વાઘાણીની માફી માંગે.

મહત્વનું છે કે વિરજીભાઇ ઠુમ્મરનાં પૂતળાનું દહન કરાયું હોવાંની પણ ઘટના સામે આવી હતી. જેથી વિરજીભાઇ ઠુમ્મરે ભાજપનાં કાર્યકરો વિરૂદ્ધ SPને આ મામલે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.

(6:45 pm IST)