Gujarati News

Gujarati News

News of Wednesday, 28th April 2021

ઉપવાસ ઉપર બેસે તે પહેલા લલિત વસોયાની અટકાયત

કોરોના મહામારી વચ્ચે દવા - ઇન્જેકશન અને ઓકિસજનનો પૂરતો જથ્થો ન મળતા ભાજપ સરકાર સામે આક્રોશ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૮ :લલિત વસોયા કોરોનાની દવાની માગ લઈને આમરણાંત ઉપવાસ ઉપર બેસવાના હતા પરંતુ ધોરાજી ડેપ્યુટી કલેકટરની ઓફિસ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસે તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરવામાં આવી છે.

ધોરાજીને ૧૧૦૦ રેમડીસીવીર ઈન્જેકશનની માગ સામે ૬૬ જ આપવામાં આવે છે. ધોરાજીને ઓકસીઝનનો પૂરતો જથ્થો આપવામાં નથી આવતો. રેમડીસીવીર ઈન્જેકશન અને ઓકસીજનની સપ્લાય ના મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસની ચીમકી આપેલ હતી.

લલિત વસોયા પોતાની કાર સાથે ચાલીને શહેર કોંગ્રેસના પ્રમુખ અરવિંદ વોરા સાથે તેમના કાર્યકર્તાઓની ફોજ સાથે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ગયા હતા અને ત્યાં ઓફિસમાં બાકડા બહાર જમીન ઉપર બેસી જતા અને ઉપવાસ આંદોલન શરૂ કરે એ પહેલાં જ ધોરાજીના પોલીસ ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા તેમજ તેમનો સ્ટાફ તેમજ શહેર પોલીસ જવાને લલિત વસોયાની અટકાયત કરી તાત્કાલિક અસરથી પોલીસ વાનમાં બેસાડી ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગયા હતા.

કોરોના મહામારી વચ્ચે ધોરાજી ઉપલેટા વિસ્તારમાં ઓકિસજન અને ઇન્જેકશનની તંગીને લઈને જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. લોકો પોતાના સ્વજનોના જીવ બચાવવા ભિખારી માફક દવાઓ, ઇંજેકશન અને ઓકિસજન મેળવવા ઠેર ઠેર ભટકી રહ્યા છે. આવા સંજોગોમાં મેડિકલ ચીજ વસ્તુઓની તંગીને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે.

ધોરાજી સરકારી હોસ્પીટલ અને ખાનગી હોસ્પિટલમાં ડોકટરો અને સ્ટાફ ખડે પગે સેવા કરી રહ્યાં છે. પરંતું ઓકિસજન અને રેમડેસીવરની તંગીથી તેમના હાથ બંધાઈ ગયા છે.

ધોરાજીમાં ડિમાન્ડનાં ૧૦% ઇંજેકશન ફાળવતા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ આક્રોશભેર જિલ્લા કલેકટરને પત્ર લખીને જણાવ્યું છે કે ધોરાજીમાં ઇન્જેકશન ફાળવણી મામલે તંત્રની વ્હાલા દવલાની નીતિ ? તંત્ર ધોરાજીની હોસ્પીટલમાં માગણીના ૧૦% જ ઇન્જેકશન ફાળવે છેમાગણી મુજબનાં ઇંજેકશનનો જથ્થો ૫૦% નહી ફાળવવા મા આવે તો પ્રાંત અધિકારી ની કચેરી બહાર ઉપવાસ આંદોલન પર બેસીસ આજે ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસવા ગયા હતા પરંતુ પોલીસે તાત્કાલીક અસરથી અટકાયત કરી હતી. આ દરમિયાન જો પોલીસ અટકાયત કરશે તો પણ ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ..

ધારાસભ્ય વસોયાને હાઇપર ડાયાબિટીસ છે. અને હાલમાં કોરોનાની સારવારમાંથી બહાર આવ્યા હતા. છતાં લોકો પર આવેલી આફત સામે હવે ઇન્જેકશન અને ઓકિસજનનાં મુદ્દે સરકાર સામે આંદોલન છેડવા શસ્ત્ર ઉગામ્યું છે.

(1:18 pm IST)