Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

નાવદ્રામાં વણકર સમાજના ૬૦૦ મતદારાએ મતદાનનો બહિષ્કાર

ઠેરઠેર લોકોએ મતદાનનો બહિષ્કાર : વણકરવાસના રહેવાસીનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમના રોડ રસ્તા, લાઇટ પાણીની સુવિધા આપવામાં આવતી નથી

ગીરસોમનાથ,તા.૨૮ :રાજ્યના અનેક ગામોમાં આજે મતદાન બહિષ્કારની ઘટનાઓ સામે આવી છે. ઠેરઠેર લોકોએ મતદાનનો બહિષ્કાર કરી અને પોતાનો રોષ ઠાલવ્યો છે. કેટલાય જિલ્લાના ગામોમાં મતદાન બહિષ્કાર થઈ રહ્યા છે ત્યારે ગીરસોમનાના એકમ ગામમાં વણકરસમાજ રોષમાં છે અને સમગ્ર સમાજ દ્વાતા બેનરો લગાડીને મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગીરસોમનાથના વેરાવળ તાલુકામાં નાવદ્રા ગામ આવેલું છે. આ ગામના વણકરવાસના રહેવાસીનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમના રોડ રસ્તા, લાઇટ પાણીની સુવિધા આપવામાં આવતી નથી અને તેની અનેક વખત રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. મતદાન બહિષ્કાર કરનારા વણકર સમાજના ૬૦૦ મતદારો છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તેમની દરકાર લેવામાં આવી નથી. વણકર સમાજે બેનરો લગાડી અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બપોર સુધી એક પણ મત નાખ્યો નથી ત્યારે તંત્ર માટે આ ઘટના શરમજનક છે. જોકે, ગીરસોમના જ નહીં પરંતુ રાજ્યમાં અનેક ઠેકાણે આવા દૃશ્યો સામે આવ્યા છે જ્યાં મતદાન બહિષ્કારની ઘટના ઘટી છે ત્યારે મતદાન બહિષ્કારના મુદ્દે સરકાર દ્વારા હજુ પણ સમય છે ત્યાં સુધીમાં નિવડો લાવવામાં આવે તો સાંજ સુધી આ મતદારોને લોકશાહીની પ્રક્રિયામાં જોડી શકાય છે.

(7:25 pm IST)