Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ખેડૂતોની સુખાકારી અને યોગ્ય જળસંગ્રહણ માટે જયસુખભાઇ પટેલે કચ્છના પ્રતિનિધિ ખેડૂતોને 'ચાંચાપર' ગામની મુલાકાત કરાવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૮ : કહેવાય છે ત્રીજુ વિશ્વયુદ્ઘ પાણી માટે જ થશે જો પાણીને બચાવી અને યોગ્ય રીતે સંગ્રહ નહીં કરીએ તો આપણી આવનારી પેઢીઓ એ પાણી માટે વલખા મારવા પડશે તેમાં કોઈ બેમત નથી.

કચ્છ જીલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતારવા માટે નું એક અભિયાન 'ગ્લોબલ કચ્છ' દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં માં કચ્છના અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના ૧૫૦ થી વધારે ગામડામાં પાણી ના સંગ્રહ કરવાની ઝુંબેસ ચાલુ કરેલ છે. જે અભિયાન પર ૨૬ જાન્યુઆરી થી ૩૦ મેં દરમ્યાન કાર્યો અને પ્રયાસો કરાશે જેમાં તળાવો ઉંડા કરવા, ચેક ડેમ બનાવવા કુવા રીર્ચાજ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવેલ છે.ઙ્ગ

આજથી આશરે ૧૫ વર્ષ પહેલા પાટીદાર ભામાશા શ્રી ઓધવજીભાઈ પટેલ દ્વારા મોરબી જિલ્લાના ચાચાપર ગામ ખાતે કરોડો રૂપિયાના ખર્ચ થકી ૬ થી ૭ ચેકડેમ અને ત્રણ થી ચાર તળાવો તથા કુવા રીચાર્જ પર કામ થયેલ હતું પરિણામ સ્વરૂપ ભૂગર્ભ તળ ઊંચા આવેલ છે. જળસંચયના સચોટ પ્રયાસ થકી ચાચાપર ગામના ખેડૂતોની ઉત્પાદકતા અને સુખાકારીમાં ખૂબ જ મોટો વધારો થયેલ છે.

ઓરેવા ગ્રુપ ના દીપકભાઈ પારેખ પાસેથી મળેલી માહિતી મુજબ આ જ રીતે કચ્છના દરેક ખેડૂતોની કાર્યદક્ષતામાં વધારો થાય તેવા ઉન્નત વિચારથી અજંતા-ઓરેવા ગ્રુપ ના સુપ્રિમો જયસુખભાઇઅ ગ્લોબલ કચ્છના અભિયાન સાથે જોડાયેલા ત્રણ તાલુકાના આશરે ૧૫૦ ગામના પ્રતિનિધિઓને તારીખ ૨૭-૧-૨૦૨૨ ના રોજ ચાચાપર ગામ ની પ્રત્યક્ષ વિઝીટ કરાવી. સમાજલક્ષી આ પ્રવાસનો સંપૂર્ણ ખર્ચ ઓરેવા ગ્રુપ દ્વારા કરાયો.

આ વિઝીટ દરમિયાન જયસુખભાઈ તરફ થી 'જળ સંગ્રહ' તથા ભુર્ગભ જળ'ની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતા માં કેવી રીતે વૃદ્ઘિ લાવી શકાય તેમની વિસ્તૃત ચર્ચા અને નોલેજ ખેડૂતો સાથે શેર કરેલ હતું. લાખો લોકોને ફાયદારૂપ અને કલ્યાણકારી એવી જયસુખભાઇ પટેલની રણ સરોવર રૂપિ અદભુત પહેલની દરેક ખેડૂતોએ અત્યંત પ્રશંસા કરી હતી. રણ સરોવર રૂપી અદ્બુત વિચાર અને પહેલ બદલ કચ્છના ખેડૂત પ્રતિનિધિઓએ જયસુખભાઇ ને સન્માનિત કર્યા હતાઙ્ગ

આયોજન બદ્ઘ વોટર મેનેજમેન્ટ ખેત ઉત્પાદકતા માટે ખૂબ જ ફાયદાકારક બનતું હોય છે માટે અજંતા-ઓરેવા ગ્રુપ ના સુપ્રીમો પાટીદાર રત્ન શ્રી જયશુખભાઈએ દરેક ખેડૂતોને ચાચાપર ગામની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને તેમના ઉત્સાહ અને કાર્યશકિત માં ખૂબ જ વધારો કર્યો જે ખુબ જ સરાહનીય છે. જળસંગ્રહના મોડલ સ્વરૂપ મોરબીના ચાચાપર ગામની દરેક ખેડૂતોએ પ્રશંસા કરી. યોગ્ય જળસંગ્રહ કરીને ખેત ઉત્પાદકતા વધારવા માટેની ચાચાપર ગામ ની આ પ્રત્યક્ષ મુલાકાત દરેક ખેડૂતને ખુબ જ ઉપયોગી બનશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવીને ગ્લોબલ કચ્છ અને આવેલ દરેક ખેડૂત પ્રતિનિધિઓએ પાટીદાર રત્ન શ્રી જયશુખભાઈનો વિશેષ આભાર વ્યકત કર્યો હતો.

(1:01 pm IST)