Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

માણાવદર પાસે બાઇક સ્લીપ થઇ જતાં ચિકલોદરા ગામના રાજશીભાઇ ભેટારીયાનું મોતઃ પત્નિને ઇજા

માંડવા ગામે માતાજીના દર્શન કરી પરત પોતાના ગામ જતી વખતે રસ્તામાં બનાવઃ ૬૪ વર્ષના આહિર વૃધ્ધે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૮: માણાવદર નજીક બાઇક સ્લીપ થઇ જતાં નજીકના ચિકલોદરા ગામના વૃધ્ધ આહિર દંપતિ ફંગોળાઇ જતાં ઇજા થઇ હતી. જેમાં પતિને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ ચિકલોદરા રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં રાજશીભાઇ અળશીભાઇ ભેટારીયા (ઉ.વ.૬૪) ગઇકાલે મોટર સાઇકલમાં પત્નિ જેતનીબેનને બેસાડી નજીકના માંડવા ગામે માતાજીના દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી પરત પોતાન ગામ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં બાઇક સ્લીપ થઇ જતાં બંનેને ઇજા થઇ હતી.

રાજશીભાઇને માણવદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ બાટવા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર સાત ભાઇ અને બે બહેનમાં વચેટ હતા. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

(1:02 pm IST)