Gujarati News

Gujarati News

News of Sunday, 27th December 2020

ટંકારામાં "દસ ગામ દીઠ હરતું ફરતું પશુ દવાખાનું" વાનની ફાળવણી

લાભ લેવા પશુ પાલકોએ સરકાર ના ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવાનો રહેશે

 ટંકારા :રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા "દસ ગામ દીઠ હરતું ફરતું પશુ દવાખાનું" યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના દસ ગામ એટલે કે નેકનામ, સખપર, વાછકપર બેડી, હમિરપર, ધ્રોલિયા, વિરવાવ, રોહિશાળા, જોધપર ઝાલા, બંગાવડી અને ખાખરા સહિતના દસ ગામ વચ્ચે એક હરતું ફરતું પશુ દવાખાનાની વાનની ફાળવણી કરવામાં આવી છે. આજે આ વાન નેકનામ ગ્રામ પંચાયત કચરીએ આવી પહોંચી હતી. હરતું ફરતું પશુ દવાખાના વાન ના સ્વાગત માટે  સરપંચ અરુનાબા કનકસિંહ ઝાલા, ઉપસરપંચ રૂપાબા ઝાલા, તલાટીમંત્રી બીજલ આલ તથા ગામના પશુપાલકો તથા પ્રબુદ્ધ નાગરિકોએ હાજરી આપેલ હતી. 

આ તકે પશુ ડોકટર  ડૉ. જોધરાજસિંહ એ આપેલ માહિતી અનુસાર  હરતું ફરતું પશુ દવાખાનું ઉપર મુજબના દસ ગામ વચ્ચે ફ્રી ઓફ કોસ્ટ (નિશુલ્ક) સવારે 7 વાગ્યા થી સાંજના 7 વાગ્યા સુધી સેવા આપવામાં આવશે. આ સેવાનો લાભ લેવા પશુ પાલકોએ સરકાર ના ટોલ ફ્રી નંબર 1962 પર ફોન કરવાનો રહેશે અને ફોન પર જિલ્લા, તાલુકો,  ગામ અને પશુ પાલકનું નામની માહિતી આપવાની રહેશે. ત્યારબાદ થોડા સમયમાં આ વાન દ્વારા જે તે પશુ પાલકનો સંપર્ક કરવામાં આવશે. ગુજરાત સરકારની આ યોજનાનો લાભ દસ ગામના દરેક પશુપાલકો મહત્તમ પ્રમાણમાં લે તેવી અપિલ કરેલ હતી.

અંતમાં છેલ્લે સરપંચ, ઉપસરપંચ, તલાટીમંત્રી, ગ્રામજનો તથા પશુ પાલકો એ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલ તથા પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા નો અંતકરણ પૂર્વક આભાર માન્યો હતો

(6:38 pm IST)