Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

પોરબંદરમાં પૂ. લાલબાપુની ઉપસ્થિતિમાં ધર્મોત્સવનો પ્રારંભઃ શોભાયાત્રા નીકળી

રિવરફ્રન્ટ ખાતે પૂ. લાલબાપુનું દબદબાભેર સ્વાગતઃ શોભાયાત્રામાં ભજનો અને મણિયારો રાસની રમઝટ બોલીઃ આવતીકાલે પૂ. લાલબાપુ અને પૂ. રમેશભાઈ ઓઝા સહિત સંતો ધર્મસભાને સંબોધશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૭ :. પોરબંદરના આંગણે પધારેલા ગધેથળ આશ્રમના પૂ. લાલબાપુનું રિવરફ્રન્ટ ખાતે દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યુ હતું. સ્વાગત કાર્યક્રમ બાદ નીકળેલી શોભાયાત્રામાં ભજનો તથા મણિયારો રાસની રમઝટ બોલી હતી. પૂ. લાલબાપુની ઉપસ્થિતિમાં બે દિવસીય ધર્મોત્સવમાં આવતીકાલે સાંજે ૫ વાગ્યે રાજવી પ્લોટ ખાતે ધર્મસભાનું આયોજન કરેલ છે. આ ધર્મસભામાં પૂ. લાલબાપુ અને પૂ. રમેશભાઈ ઓઝા સહિત સંતો સંબોધન કરશે.

વિશ્વમાં સુદામાપુરી તરીકે જાણીતા પોરબંદરની આ પાવન ભૂમિ ઉપર ગાયત્રી માતાના પરમ ઉપાસક અને ગધેથળ આશ્રમના પૂજ્ય લાલબાપુ પધારતા શહેરમાં ધર્મ ઉત્સવ માહોલમાં શહેરીજનોમાં ઉત્સાહ ઉમંગ જોવા મળી રહ્યો છે. પોરબંદર રાજપૂત સમાજના પ્રમુખ અને જીટીપીએલના સૌરાષ્ટ્ર-કચ્છના ડાયરેકટર રાજભા જેઠવાના નિમંત્રણને માન આપી અને પૂજ્ય લાલબાપુ પોરબંદરના આંગણે પધાર્યા છે. તેમના કાર્યક્રમનું આયોજન જેઠવા રાજપૂત સમાજ અને રાજશાખા દ્વારા કરવામાં આવ્યુ છે. આ ધાર્મિક કાર્યક્રમ દરેક સમાજ, સંસ્થાઓને જોડી અને આ ધર્મ ઉત્સવનું દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના આ ધર્મ ઉત્સવ ઉજવવામાં આવી રહેલ છે.

રિવરફ્રન્ટ ખાતે પૂ. લાલબાપુનું ભકિતરસ સાથે સ્વાગત બાદ રિવરફ્રન્ટ ખાતેથી પૂજ્ય લાલબાપુ રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝા સહિતના સંતો, મહંતો સાથેની એક શોભાયાત્રા નીકળી હતી. શહેરના રાજમાર્ગો પરથી પસાર થયેલ શોભાયાત્રા રૂટમાં અનેક સ્થળોએ સંતોનું સ્વાગત કરવામાં આવેલ. મોટી સંખ્યામાં બાઈક અને કાર સાથેની આ શોભાયાત્રામાં મહેર મણિયારો રાસ તેમજ ભજનની રમઝટ બોલી હતી.

આ શોભાયાત્રા છાંયા દરબારગઢ ખાતે પહોંચશે જ્યાં વિરામ પામશે અને પૂજ્ય લાલબાપુ સહિતના સંતો, મહંતો દરબારગઢમાં બિરાજતા વિંધ્યવાસીની માતાજીના દર્શન કરશે. ત્યાર પછી સાંજે ૫ કલાકે વાડી પ્લોટ ખાતે નવનિર્મિત રાજપૂત સમાજની વાડીનું લોકાર્પણ પૂ. લાલબાપુના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજપૂત સમાજ દ્વારા પૂ. લાલબાપુનું સ્વાગત કરવામાં આવશે. આવતીકાલે તા. ૨૮મીના રોજ સાંજે ૫ કલાકે ઓડદર રોડ ઉપર આવેલા રાજવી પાર્ટી પ્લોટ ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા પૂજ્ય લાલબાપુ ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતના સંતો ધર્મસભાને સંબોધશે. આ અવસરે પોરબંદરના દરેક હિન્દુ ધર્મના દરેક સમાજ અને મુસ્લિમ સમાજ તેમજ સંસ્થા દ્વારા પૂજ્ય લાલબાપુનું સ્વાગત કરવામાં આવશે. ધર્મસભાના પ્રારંભે રાજશાખા દ્વારા તિલકવિધિ કરવામાં આવશે.

આ ધર્મસભાનું લાઈવ પ્રસારણ જીટીપીએલની લોકલ ચેનલ-૯૮૩ તેમજ જીટીપીએલની રીઝીનલ ચેનલ-૫૫૫ ઉપર લાઈવ પ્રસારણ સાંજના ૫ વાગ્યાથી કરવામાં આવશે. આ ધર્મસભાનો દરેક લોકો ઘરબેઠા લાભ લઈ શકશે. આ ઉપરાંત આ ધર્મસભા માટે સુદામા ચોકથી રાજવી પાર્ટીપ્લોટ સુધી ખાસ બસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પૂ. લાલબાપુને આવકારવા શહેરના માર્ગો ઉપર બેનર અને હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે.

(12:28 pm IST)