Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સાવજનું કાળજુ’ પૂસ્તક બનશે ખેડૂતનેતાની લોકસંવેદનાનો દસ્તાવેજ વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવન ચરિત્રને ઉજાગર કરતા પૂસ્તકનું કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં ખાસ કાર્યક્રમ સૌરાષ્ટ્રના જુજારુ ખેડૂતનેતા અને પૂર્વ સાંસદ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના જાજરમાન વ્યકિતત્વની આભાને ઉજાગર કરતા પૂસ્તક ‘સાવજનું કાળજુ’નું તેમની દ્વિતિય પૂણ્યતિથિ નિમિત્તે આવતીકાલ તા.29મીને ગુરૂવારે બપોરે 3 કલાકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિમોચન કરવામાં આવનાર છે.
 આ પૂસ્તક વિમોચન માટે સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાના મત વિસ્તાર જેતપુર ખાતે તેમના દ્વારા જ નિર્મિત લેઉવા પટેલ સમાજ પાર્ટી પ્લોટમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાની ઉપસ્થિતીમાં ખાસ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવેલ છે.
  જાણીતા લેખક અને ગેસ કેડરના અધિકારી રવજીભાઈ ગાબાણીએ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની રાજકારણ સાથે સમાજસેવાની જીવનશૈલીને પોતાની કલમ દ્વારા પૂસ્તકમાં ઉભરી છે અને આ પૂસ્તકમાં સ્વ.વિઠ્ઠલભાઈના જીવનની અનેક એવી હૃદયસ્પર્શી ઘટનાઓ, લોકસેવા માટેનો સંઘર્ષ અને ખેડૂતો માટેની તેમની પીડાને વાચા આપી છે.
‘સાવજનું કાળજુ’ પૂસ્તક ખેડૂતનેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રજાના હૃદયમાં પડેલી અમીટ સંવેદનાઓનો લેખિત દસ્તાવેજ બની રહેશે તેવું લેખક રવજીભાઈ ગાબાણીએ જણાવ્યું હતું.
 તેમણે જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ રાદડીયાના રાજકિય અને સામાજિક જીવનમાં એવી અનેક ઘટનાઓ બની છે કે જેના કારણે લોકો તેમને સિંહના કાળજા વાળો માણસ માનતા હતા. લોકોની આ જ સંવેદનાને મેં કલમ થકી પૂસ્તકમાં ઉતારી છે આ પૂસ્તકમાં અનેક એવા પ્રસંગો પણ ઉજાગર કર્યા છે કે, વિઠ્ઠલભાઈના વિશાળ વ્યકિતત્વથી અજાણ લોકો પણ પૂસ્તક વાંચ્યા બાદ તેમના વ્યકિતત્વને કાયમ યાદ રાખશે.
જેતપુર ખાતે ગુરૂવારે યોજાયેલા આ પૂસ્તક વિમોચનના કાર્યક્રમમાં જયેશભાઈ રાદડીયા સાથે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, ગોવિંદભાઈ રાણપરીયા, રાજુભાઈ હિરપરા, જયંતિભાઈ રામોલીયા, દિનેશભાઈ ભુવા, જશુબેન કોરાટ, ભુપતભાઈ સોલંકી, વેલજીભાઇ સરવૈયા, ખીમજીભાઈ બગડા વિગેરે ઉપસ્થિત રહેનાર છે.

(10:58 pm IST)