Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગામઠાણ મોજણી યોજના : મોરબી જિલ્લાના ૭ ગામોમાં માપણી પૂરી

૪૨ ગામોમાં પ્રોપર્ટીકાર્ડ અપાશે, જે મિલ્કતના ટાઇટલ કલીયરનો મહત્વનો સરકારી પૂરાવો ગણાશે

 

(ભાવિન સેજપાલ દ્વારા) ટંકારા તા. ૨૭ : ગુજરાત સરકારે રાજયના મહત્તમ ગામડાઓને આવરી લઈ ગામઠાણ મોજણી યોજના અમલમા મુકી છે. જે અંતર્ગત મોરબી જીલ્લાના ૪૨ ગામો પ્રાથમિક તબક્કે સમાવીને ખાનગી એજન્સી નિમી દઈ ગામતળમા આવતા મકાનોની માપણી કામગીરી શરૂ કરી છે. જેમા,સાતેક ગામોમા માપણી કામગીરી પૂર્ણ કરી લેવાયી છે. બાકીના ગામોમા એજન્સીએ કામગીરી હાથ ધરી છે. લોકોને યોજનાનો લાભ લઈ સહકાર આપવા તંત્ર દ્વારા અપીલ કરવામા આવી છે. રાજયમા સરકારે મેગા શહેરોની જેમ ગ્રામ્ય વિસ્તારોમા સીટી સર્વે યોજના અમલમા મુકવા ગામઠાણ મોજણી યોજના શરૂ કરી છે. જે અંતર્ગત મોરબી જીલ્લામા ૨૦૧૬ થી યોજનાનો પ્રારંભ થયો છે. અહી પ્રાથમિક તબક્કે જીલ્લા ના ૪૨ ગામોનો સમાવેશ કરી કામગીરી હાથ ધરવામાં આવી છે. નક્કી થયેલા ગામોની તમામ મિલકતો જેવી કે, મકાન, દુકાન, ફલેટ, ખાનગી માલિકીની તમામ પ્રોપર્ટી ની પ્રાથમિક માપણી કામગીરી માટે મોરબી જીલ્લામા વાપ્કોસ લીમીટેડ અને કાર્વિ નામની બે ખાનગી એજન્સી હાલ કામ કરી રહી છે. જેમા, ટંંકારા તાલુકાના ટંંકારા, નેકનામ, સજનપર અને હડમતીયામાં ગામતળ મિલકતોની માપણી કામગીરી પૂર્ણ કરી લેવાઇ છે. એવી રીતે વાંકાનેર તાલુકાના હસનપર અને જોધપર ઉપરાંત, મોરબીના રાજપર ગામે એજન્સીએ માપણી પૂર્ણ કરી છે. બાકીના તમામ ગામોમા તબક્કાવાર માપણી કામગીરી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. લોકોને યોજના સમજી એજન્સીના નિયત કરેલા કર્મચારીઓ મિલ્કત માપણી માટે આવે તો સહકાર આપવા મોરબી જીલ્લાના ડીઆઈએલઆર એન.કે. પટેલે અપીલ કરી છે. તેમજ માપણી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા ચકાસણી કરવામા આવશે.મિલકતના માલિકીપણાના દસ્તાવેજી પુરાવાઓ જેવા કે, મિલ્કતના વીલ, બક્ષીસ, વેચાણ દસ્તાવેજો, મંજુર થયેલ પ્લાન,નકશા, સનંદ,કબજા પાવતી, વાડા પત્રક,આકારણી પત્રક સહિતના પુરાવા એજન્સીને પુરા પાડવા નમુનો-૨ થી નોટીસ કબજેદારને ઈસ્યુ થશે. એજન્સી તમામ દસ્તાવેજી પુરાવાનુ કલેકશન પૂર્ણ કરી પ્રોપર્ટી કાર્ડ દરેક મિલકત ધારકોને તેમના ઘરે પહોંચાડશે.ગામડામા ઘરે ઘરે દસ્તાવેજી પુરાવા એકત્ર કરનાર એજન્સીના કર્મચારીઓને ખાસ ઓળખપત્ર ઈસ્યુ કરાયુ હોય ખાત્રી કરી સહકાર આપવા જીલ્લા નિરીક્ષક જમીન દફતર દ્વારા અનુરોધ કરાયો છે. મોરબી જીલ્લાના ચાર તાલુકામાથી મોરબીના ચાંચાપર, ઘુનડા (સ), ખાખરાળા,લાલપર,લખધીરનગર,નીચી માંડલ, લીલાપર, પંચાસર, પાનેલી, રાજપર, રંગપર અને ઝીકીયારી, અમરેલી, ટીંબડી, ધરમપુર,નાની વાવડી, મહેન્દ્રનગર, પીપળી, ઘુંટુ, શકત સનાળા, રવાપર, વિરપરડા સહિતના ૨૨ ગામો ઉપરાંત, ટંંકારા તાલુકાના ટંંકારા,નેકનામ, વિરપર, સજનપર, હડમતીયા, ઓટાળા, મિતાણા, જબલપુર અને હરબટીયાળી સહિત નવ ગામો, વાંકાનેર તાલુકાના ઢુવા, હસનપર, કેરાળા, જોધપર, ખીજડીયા સહિત પાંચ ગામો, માળીયાના ખાખરેચી, માળીયા, ઘાંટીલા, વવાણીયા, મોટા દહિસરા અને સરવડ સહિત છ ગામ મળી કુલ ૪૨ ગામોમા ગામઠાણ યોજના દાખલ કરી પ્રોપર્ટી કાર્ડ એનાયત કરાશે. પ્રોપર્ટી કાર્ડ મિલ્કતના ટાઈટલ કલીઅરનો મહત્વનો પુરાવો ગણાશે.

(11:44 am IST)