Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ત્રણ કરોડના એટીએમ ઉચાપત પ્રકરણમાં કચ્છના સિનિયર વકીલ દિલીપ જોશીની ધરપકડ

આરોપીઓને આશરો આપી મદદ કર્યાનો આરોપ : અલગ અલગ બેંકોના એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરતી રાઇટર્સ સેફગાર્ડ કંપનીના ૧૨ જણાએ ગાંધીધામ ભચાઉના ૪૪ એટીએમમાં ઓછા રૂપિયા નાખી ૩ કરોડની ઉચાપત કરી હતી : ૮ વર્ષ પહેલાના ચકચારી બનાવમાં ડીએસપી દિવ્ય મિશ્ર અને એએસપી વિરેન્દ્રસિંહ યાદવે કરી હતી તપાસ

 ભુજ તા. ૨૭ : એટીએસ દ્વારા ૨૦૧૨ ના એક કેસ સંદર્ભે ગાંધીધામના સિનિયર વકીલ દિલીપ જોશીની ધરપકડ કરાઈ છે. અલગ અલગ બેંકના એટીએમમાં રૂપિયા નાખવાનું કામ કરનાર રાઈટર્સ સેફગાર્ડ કંપનીના ૧૨ જેટલા કર્મચારીઓએ ગાંધીધામ ભચાઉના વિવિધ ૪૪ જેટલા એટીએમમાં રોકડ રૂપિયા નાખતી વખતે એક સંપ કરી ૩ કરોડ રૂપિયા કાઢી લઈને ઉચાપત કરી હતી. જે અંગે સેફગાર્ડ કંપની દ્વારા ભચાઉ ગાંધીધામમાં કરાયેલા અલગ અલગ પાંચ જેટલા પોલીસ કેસ બાદ સેફગાર્ડ કમ્પનીના કર્મચારીઓ ફરાર થઈ હતા.

પોલીસનો આરોપ છે કે, એટીએમમાં પૈસા નહીં નાખીને ૩ કરોડ રૂપિયાની ઉચાપત કરનારા આ આરોપીઓ ફરાર હોવા છતાંએ તેમનો કેસ લડતા વકીલ દિલીપ જોશી તેમને રાજસ્થાન જઈને મળ્યા હતા. તેમ જ આરોપીઓ ના પુરાવાઓ જેમાં હતા તે કોમ્પ્યુટરના સીપીયુનો નાશ કરી અને પુરાવાનો નાશ કરવામાં તેમની મદદ કરી હતી.

આ અંગેની તપાસ કરતી એટીએસ દ્વારા વકીલ દિલીપ જોશીની ધરપકડ કરાઈ છે. સિનિયર વકીલ દિલીપ જોશીની ધરપકડના સમાચારે કચ્છમાં ખળભળાટ સજર્યો છે. આ ગુનામાં નોંધાયેલી અલગ અલગ પાંચ પોલીસ ફરિયાદોમાં અત્યાર સુધી ૮ આરોપીઓ ઝડપાઇ ચુકયા છે.

જયારે વકીલ દિલીપ જોશી સહિત પાંચ આરોપીઓને પકડવાના બાકી હતા. પોલીસ ફરિયાદમાં નિલેશ નાગજી ચૌહાણ, આકાશ નલિન આશર, રાજેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, નૈનેશ પોપટ પંચાલ, જયદીપસિંહ જેઠુભા જાડેજા, ફેનીલ બિંદુ હડિયા, શાલીન વિમલ મહેતા, જયેન્દ્રસિંહ ઉર્ફે પિન્ટુ મહેન્દ્રસિંહ જાડેજા સહિત ૧૨ વિરૂદ્ઘ ફરિયાદ નોંધાઇ હતી. જે તે સમયે ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં શકદાર તરીકે વકીલ દિલીપ જોશીનું નામ દર્શાવાયું હતું. તો, અન્ય આરોપીઓમાં પાંચ જેટલા પોલીસ પુત્રો હોવાનું પણ હોવાનું બનાવ સમયે ચર્ચામાં રહ્યું હતું.

જોકે, ૮ વર્ષે આ બનાવમાં ફરી શરૂ કરાયેલા ધરપકડના દોરે ચકચાર સર્જી છે. જે તે સમયે ૨૦૧૨ માં ડીએસપી દિવ્ય મિશ્ર અને એએસપી વિરેન્દ્રસિંહ યાદવે તપાસ કરી હતી. પછી આ તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને હવે એટીએસના હાથમાં છે. એટીએસ દ્વારા રાજસ્થાનની હોટલમાં વકીલ દ્વારા રૂમ બુક કરવાના અને ભાગેડુ આરોપીઓને મળવાના સીસી ટીવીના પુરાવા છે. આજે વકીલ દિલીપ જોશીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેમની વધુ પૂછપરછ શરૂ કરાશે.

(10:25 am IST)