Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બીલખાના ઉમરાળામાં બરડીયાના આધેડની હત્યામાં મોણીયાના ભૂપત કોળીની શોધખોળ

વાડ કાપવાના કામ બાબતે બોલાચાલી થતા ખૂન કરી નાખ્યુ

જૂનાગઢ, તા. ૨૭ :. બીલખાના ઉમરાળામાં બરડીયાના આધેડની થયેલી હત્યામાં પોલીસે મોણીયા ગામના ભૂપત કોળીની શોધખોળ હાથ ધરી છે.

વિસાવદર તાલુકાના બરડીયા ગામના બિપીનભાઈ કાળુભાઈ રાઠોડે વિસાવદરના જ ભૂપત ભીખા કોળી સાથે બીલખા નજીકના ઉમરાળા ગામની સીમમાં ખેતરની વાડ કાપવાનું કામ રાખેલ.

બન્ને વચ્ચે વાડ કાપતા - કાપતા અવારનવાર બોલાચાલી થતી, ગઈકાલે બપોરે બિપીન અને ભૂપત બાખડી પડયા હતા. જેમાં ભૂપતે કુહાડાનો ઘા ઝીંકી બિપીનભાઈની હત્યા કરી નાખી હતી. ખૂની ખેલ ખેલીને આ શખ્સ નાસી ગયો હતો.

આ અંગે મૃતકના પિતા કાળુભાઈ બીજલભાઈ રાઠોડની ફરીયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બીલખાના પી.એસ.આઈ. વી.યુ. સોલંકીએ આધેડની હત્યા કરી ફરાર થયેલ ભૂપત કોળીની શોધખોળ આદરી છે

(1:19 pm IST)