Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પોરબંદરથી હાથલા પદયાત્રાઃ શનિ જયંતીએ સોબર ગ્રુપ દ્વારા આયોજનઃ નામ નોંધણી

પદયાત્રા દરમિયાન સર્પ વિશે ખોટી માન્યતા દુર કરવા અભિયાન

પોરબંદર તા. ર૭ :.. સોબર ગ્રુપ દ્વારા શનિ જયંતિ નિમિતે સતત ૧૬મી વખત સુદામાપુરીથી શનિધામ હાથલા સુધીની પદયાત્રા યોજાશે. પદયાત્રાની સાથે જનજાગૃતિનું આયોજનમાં સાપ અંગેની માન્યતાઓ અંગે જનજાગૃતિ હાથ ધરવામાં આવશે.

હાથલા ગામે ભગવાન શનિદેવનું જન્મ સ્થાન મનાય છે ત્યારે શનિ જયંતિ તા. ૩ ને સોમવારના હોય રવિવાર તા. ર જુન ના રાત્રે ઉજવણી કરનાર હોય પોરબંદર સોબર ગ્રુપ દ્વારા ૧૬મી વખત પોરબંદરથી હાથલા સુધીની ર૭ કિ.મી.ની રાત્રી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પદયાત્રામાં જોડાવવા માટેના ફોર્મ તા. ર૭ આજે થી ગાત્રાળ પબ્લીસીટી, કોંગ્રેસ કાર્યાલય સામે, સુદામા કોમ્લેક્ષ, પહેલા માળે, દિલીપભાઇ ધામેચાની ઓફીસ ખાતેથી તેમજ શિવ પાન, સુતારવાડા, હિતેશભાઇ ચંદારાણા પાસેથી મેળવી લેવાના રહેશે જે ફોર્મ મોડામાં મોડા તા. ૩૧ સુધીમાં ભરીને પરત આપી દેવાના રહેશે. પદયાત્રા રામ મંદિર, લોહાણા મહાજન વાડી પાસેથી પ્રસાદી લઇ પ્રસ્થાન કરાવવામાં આવશે તેમજ પદયાત્રીઓ માટે રાત્રીના ચા અને નાસ્તા સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. પદયાત્રીઓને કોઇપણ મુશ્કેલી પડે નહીં તે માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ સેવાના ભાગરૂપે કરી આપવામાં આવી છે. ત્યારે ભાઇચારો ધાર્મિક ભાવનાથી થયેલ આ આયોજનમાં જોડાવવા અને વિશેષ વિગત માટે સંસ્થાના ચેરમેન દિલીપભાઇ ધામેચા ના મો. નં. ૯૮રપ૪ ર૬૭૧૭ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

સોબર ગ્રુપના ચેરમેન દિલીપભાઇ ધામેચાએ જણાવ્યું હતું કે, સર્પદંશથી ભારતમાં વર્ષે અનેક લોકો મૃત્યુ પામે છે તેની પાછળનું મોટું કારણ એ છે કે, વ્યકિતને સર્પદંશ પછીના તત્કાલીન પ્રાથમિક ઉપાયની જાણકારી નથી હોતી અને ઉપરથી ભય એની માથે હાવી થઇ જાય છે. સર્પદંશથી ગભરાવવાની કે ખોટા હાંફળા - ફાંફળા થવાની જરૂર નથી, અને બદલે વહેલી તકે પીડીત વ્યકિતને પ્રાથમિક ઉપચાર આપવો જોઇએ, આ માટે સૌથી પહેલા સાપના ઝેરને ફેલાતું અટકાવવું જઇએ અને દર્દીને ભુવા ભરાડ કે અન્ય જગ્યાએ લઇ જવાને બદલે ત્વરીત દવાખાને પહોંચાડવો જોઇએ. આ અંગેની જાગૃતિ માટે શનિ જયંતિ નિમિતે યોજાનાર પદયાત્રામાં લોકોને માહિતી આપીને પુરતી જાણકારી મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.

(12:06 pm IST)