Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

આલેલે આ નવું: દેવભુમિ દ્વારકાધીશ મંદિર-નાગેશ્વર મંદિરમાં હોળી-ધૂળેટી પર્વમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ જ્‍યારે નજીકના શિવરાજપુર બિચ ઉપર કોઇ પ્રતિબંધ નહીં

દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લાનું તીર્થ સ્થાન દ્વારકાનું જગત મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બેટ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને નાગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે દર વર્ષે લાખો લોકો આવે છે. ખાસ કરીન હોળી પર દ્વારકાધીશના દર્શને કરનારા પ્રવાસીઓનું પ્રમાણ વધી જતુ હોય છે. આવામાં કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને આજથી ત્રણ દિવસ દ્વારકાધીશ મંદિર બંધ રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ, શિવરાજપુર બીચ લોકો માટે ખુલ્લું મૂકાયું છે. એક તરફ, મંદિરોને કોરોના ફેલાવાની શક્યતાના આધારે બંધ રાખવામા આવ્યું છે. જ્યારે બીજી તરફ, બીચને કોરોના ફેલાવવા માટે ખુલ્લો મૂકાયો છે. તો શું બીચ પર આવતા લોકોથી કોરોના સંક્રમણ નથી ફેલાતો તે મોટો સવાલ છે.

આજથી ત્રણ દિવર દ્વારકા મંદિર બંધ

યાત્રાધામ દ્વારકાના જગત મંદિરમાં આજથી ત્રણ દિવસ માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવાયો છે. હોળી અને ફુલડોલ ઉત્સવ પર દર વર્ષે હજારો યાત્રિકો પદયાત્રીઓ દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોના કાળ ચાલી રહ્યો છે. ત્યારે ભક્તો દર્શન કરવા મંદિરમાં અંદર પ્રવેશ નહિ કરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. હોળી પર હજારોની સંખ્યામાં જે મંદિર પરિસરમાં યાત્રિકો ભક્તો ઉપસ્થિત રહેતા હોય છે, તે જ મંદિર પરિસર અને પટાંગણ આજે સૂમસામ ભાળી રહ્યું છે. દ્વારકાના જગત મંદિરના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. જોકે દ્વારકાધીશ મંદિરમાં શિખર પર ચડાવવામાં આવતા ધ્વજા માટે 10 લોકોને પરમિશન અપાઈ છે અને ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે તે રીતે પણ ખાસ પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોનાકાળ ચાલી રહ્યો છે તેથી દ્વારકાધીશનું મંદિર બંધ કરાયું છે. જ્યારે કે, તેની સાવ નજીક આવેલ શિવરાજપુર બીચ પર લોકો માટે કોઈ જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. જેના કારણે લોકો બહોળી સંખ્યામાં બીચ પર ન્હાવા અને મોજ મસ્તી કરવા પહોંચી રહ્યા છે. એક તરફ દ્વારકાનું જગત મંદિર બંધ છે અને ભક્તો દ્વારકાધીશના દર્શન કરી નથી શકતા. જ્યારે કે, શિવરાજપુર ખાતે બ્લ્યુ ફ્લેગ બીચ પર લોકો અવર જવર કરી રહ્યા છે. સાથે જ બીચ પર કોરોનાની ગાઈડલાઈનનું સરેઆમ ભંગ જોવા મળી રહ્યું છે. લોકોએ માસ્ક પણ નથી પહેર્યા અને સામાજિક અંતરનું પણ ભાન લોકો ભૂલી રહ્યા છે.

ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે લોકો પહોંચે તો કોરોના ફેલાય છે. જ્યારે બીજી તરફ દ્વારકાના શિવરાજપુર ખાતે લોકો આવી રહ્યા છે. તો શું અહી આવેલ વ્યક્તિ દ્વારા કોરોના ફેલાતો નથી તે પણ એક મોટો સવાલ છે. ત્યારે સરકારી તંત્રની બેવડી નીતિ પર સવાલો ઉઠ્યા છે.

(6:41 pm IST)