Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

દર બુધવારે ચાલતી મહુવા -સુરત સુપરફાસ્ટ ટ્રેન ૧૪ એપ્રિલથી દૈનિક દોડશે

સાંસદ નારણભાઇ કાછડીયા, સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશના પ્રયાસોથી

અમરેલી,તા. ૨૭: અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશના સતત પ્રયાસોથી અઠવાડીયામાં એક દિવસ ચાલતી મહુવા–સુરત સુરપફાસ્ટ ટ્રેન આગામી ૧૪ એપ્રીલ, ર૦ર૧ થી દૈનિક ચલાવવા અંગે રેલ્વે મંત્રાલય તરફથી મંજુરી આપવામાં આવેલ છે.

લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારશ્રી દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બંધ કરવામાં આવેલ હતા. જે પૈકી અમરેલી જીલ્લા માંથી પસાર થતી અઠવાડીયામાં એક વાર (દર બુધવારે) ચાલતી મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેન  પણ બંધ કરી દેવામાં આવેલ હતી.

કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતામુજબ ચાલુ થતા લોકોની વર્ષો જૂની માંગ મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેનને દૈનિક ચલાવવા કેન્દ્રીય રેલ્વે મંત્ર પિયુષ ગોયલજીને સતત રજૂઆતો કરવામાં આવેલ હતી.

બંને સાંસદશ્રીઓના સહીયારા પ્રયાસોના પરીણામ સ્વરૂપે અગામી ૧૪ એપ્રીલ, ર૦ર૧ થી મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેન દૈનિક દોડશે અને આ ટ્રેન દૈનિક ચાલુ થતા અમરેલી જીલ્લા ઉપરાંત ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જીલ્લાના લોકો, યાત્રીઓ અને ધંધાર્થીઓને સીધો જ લાભ મળશે.

(1:10 pm IST)