Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગીર સોમનાથમાં રાષ્‍ટ્રિય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ થકી ગીરગઢડાની રૂતિકાને મળ્‍યું નવજીવન

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણ,તા.૨૭ :   ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના છેવાડાના અને અતિ દુર્ગમ વિસ્‍તારના નાનકડા સનવાવ ગામમાં ખેતીકામ કરતા ઘેલાભાઈ ડોડિયાના પરિવારમાં રાષ્‍ટ્રિય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ થકી ખુશીનો સંચાર થયો છે. આ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ અંતર્ગત ઘેલાભાઈ ડોડિયાની દીકરી રુતિકાની હૃદયની જન્‍મજાત ખામી ઓપરેશનથી દૂર કરવામાં આવી. જેથી તેને નવજીવન મળ્‍યું.રૂતિકાને જન્‍મથી જ સ્‍વાસ્‍થ્‍ય અંગે તકલીફ હતી. તેના સ્‍વાસ્‍થ્‍યને લઈ પરિવાર ચિંતાતુર હતો. આ દરમિયાનમાં ગીરગઢડા તાલુકાની રાષ્‍ટ્રીય બાળ સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમ (આર.બી.એસ.કે.) અંતર્ગતની ટીમે ઘેલાભાઈના ઘરે જઈ આ બાળકીની  પ્રાથમિક તપાસ કરી હતી.

 પ્રાથમિક તપાસમાં આયુષ તબીબી અધિકારી ડો. હરેશ દાહિમાને જાણ થઈ કે રૂતિકાને હૃદયને લગતી કોઈ જન્‍મજાત તકલીફ છે. પરિવારજનોને આ વાતની જાણ થતા ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભું થયું પરંતુ આરબીએસકે ટીમના સભ્‍યો દ્વારા રુતિકાના માતા-પિતાને આશ્વાસન આપી આ બાળકીને સઘન તપાસ માટે અમદાવાદ યુ.એન. મહેતા હોસ્‍પિટલમાં લઈ જવા સલાહ આપવામાં આવી.

આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા રુતિકાને અમદાવાદ ખાતે હૃદયરોગની સારવાર આપતી યુ.એન.મહેતા હોસ્‍પિટલમાં લાવવામાં આવી. અહીં હૃદયરોગના તજજ્ઞ તબીબોની ટીમ દ્વારા રુતિકાની હૃદયની જન્‍મજાત ખામી ઓપરેશનથી દૂર કરવામાં આવી. હાલ રૂતિકા એકદમ તંદુરસ્‍ત છે. રૂતિકાના પિતા ઘેલાભાઈએ સરકારની યોજનાનો અને ગીરગઢડા આરબીએસકે ટીમના સભ્‍યો સહિત યુએન મહેતા હોસ્‍પિટલનો આભાર વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું હતું કે, અમારો પરિવાર ચિંતાતુર હતો પરંતુ એકપણ રૂપિયાના ખર્ચ વગર મારી દીકરીને નવજીવન મળ્‍યું છે. સરકાર અને આરોગ્‍યખાતું અમારી મદદે આવ્‍યા છે અને દીકરીનું જટીલ અને સફળ ઓપરેશન કરાવી આપી ફરી અમારા પરિવારમાં આનંદ-ઉમંગનું વાતાવરણ ઉભું કર્યું છે. જે બદલ હું સરકાર તેમજ આરોગ્‍યખાતાનો ખૂબ-ખૂબ આભાર માનું છું.

(12:10 pm IST)