Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ગણતંત્ર દિવસ પર દિનદયાળ પોર્ટે કોવિડ-19માં મૃત્યુ પામેલા પરિવારને 12.5 કરોડની સહાય કરી

ફરજ દરમ્યાન કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 21 અધિકારી અને કર્મચારીઓના પરિવારોને મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ બંદર પરથી રૂપિયા 50 લાખનું વળતર અપાયું

સમગ્ર દેશમાં આજે 73માં ગણતંત્રની ઉજવણી થઇ છે. કચ્છમાં જીલ્લાકક્ષાનુ ધ્વજવંદન ભુજ લાલન કોલેજ ખાતે યોજાયુ હતુ. જોકે કચ્છ જ નહીં પરંતુ દેશના અગ્રણીય બંદર કંડલા પોર્ટે ગણતંત્ર દિવસની  ઉજવણી સાથે કોવીડમાં  મૃત્યુ પામેલા કર્મચારીઓને આર્થીક સહાય કરી હતી. દિનદયાળ પોર્ટ ખાતે આયોજીત આ સમારંભમાં ફરજ દરમ્યાન કોવિડ-19ના કારણે જીવ ગુમાવનારા 21 અધિકારી અને કર્મચારીઓના પરિવારોને મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બંદર પરથી રૂપિયા 50 લાખનું વળતર આપીને આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. ગયા વર્ષે ચાર પરિવારોને 50-50 લાખ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવી હતી. આજે વધુ 21 પરિવારોને સાડા દસ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આમ કુલ 12.5 કરોડની રકમ આપીને શોકગ્રસ્ત પરિવારોને આર્થિક સહાય કંડલા દિનદયાળ પોર્ટ દ્વારા આપવામાં આવી હતી.

કંડલા પોર્ટના અધ્યક્ષ એસ.કે. મહેતાએ પોતાના સંબોધનમાં ગણતંત્ર દિવસ પર શુભકામનાઓ આપી. અને બંદરની વિવિધ ઉપલબ્ધિઓ, પુરસ્કારો, સન્માન, વિકાસ યોજનાઓ વિશે માહિતી આપી. તેમણે કાર્ગો હેન્ડલિંગમાં 100 એમએમટીનો આંક પાર કરવા અને આજદિન સુધી સતત ચૌદમાં વર્ષે પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખવા માટે આ બંદર પરનાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ, હિતધારકો, બંદરનાં વપરાશકારો અને ટ્રેડ યુનિયનોને અભિનંદન પાઠવ્યાં હતાં.

 

આ કાર્યક્રમ દરમ્યાન બંદર પર ચાલી રહેલા વિવિધ વિકાસ પ્રોજેક્ટો ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. અને તે સમયસર પૂર્ણ થશે. તેવા આશાવદ સાથે બંદરમાં વહાણવટાની હિલચાલને પ્રોત્સાહન આપવાના અને ઉત્પાદકતામાં વધારો કરવાના હેતુથી બે સિંગલ-સ્ક્રૂ સ્ટીલ-હોલ-મૂરિંગ લોંચને અમલમાં મૂકવામાં આવ્યા છે. એમઆઇવી (મેરિટાઇમ ઇન્ડિયા વિઝન) – 2030 હેઠળ સ્વચ્છ ભારત મિશન અને ક્લીન પોર્ટ ઇનિશિયેટિવના ભાગરૂપે અદ્યતન મિકેનિકલ સ્વીપિંગ ટેકનોલોજીના આધારે દર કલાકે 30,000 ચોરસ મીટર પ્રતિ મશીનની વ્યાપક ક્ષમતા સાથે અને બે ઓલ-વેધર ઓપરેશન્સ માટે સક્ષમ ટ્રક માઉન્ટેડ રોડ સ્વીપર મશીન અને બે ટ્રક માઉન્ટેડ તોપ ઝાકળ મશીનની સેવા શરૂ કરાઇ છે.

કંડલા અને ગાંધીધામ ખાતે આવેલી કચેરીઓ વચ્ચે સંચાર વ્યવસ્થાને વધુ મજબૂત અને એકબીજા સાથે જોડવા, તથા ઇઆરપી, આરએફઆઇડી, સીસીટીવી નેટવર્ક, ડિજિટલ ઇન્ડિયા, સ્માર્ટ પોર્ટ ઇનિશિયેટિવ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પ્રોજેક્ટ્સના અમલીકરણને સુવ્યવસ્થિત અને સક્ષમ બનાવવા માટે અમારા કમ્પ્યુટર્સને અત્યાધુનિક સમર્પિત 48 કોર ગીગાબાઇટ ક્ષમતાવાળા ફાઇબર ઓપ્ટિક નેટવર્ક સિસ્ટમ સ્થાપિત કરીને તેની સાથે જોડવામાં આવી હોવાનું ચેરમેનએ જણાવ્યું હતું. પોર્ટ દ્વારા કાર્ગો બર્થ નંબર-10 પર લગભગ 292 મીટર એલઓએના કેપ્સાઇઝ વેસલને બર્થ કરીને ઇતિહાસ પણ રચવામાં આવ્યો હોવાની વાત કરી પોર્ટના વિકાસની રૂપરેખા રજુ કરી હજુ વધુ વિકાસ માટે પોર્ટ પ્રશાસને નેમ વ્યક્ત કરી હતી.

(12:25 am IST)