Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ખનિજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જી.જી.હોસ્પિટલ જામનગરને ૨ એમ્બ્યુલન્સ અર્પણ

'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન'નો લોચિંગ કાર્યક્રમ યોજાયો

જામનગર તા.૨૬: એમ.પી. શાહ મેડીકલ કોલેજ ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને એમ્બ્યુલન્સ લોકાર્પણ, પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન લોંચિંગ અને રિલાયન્સ ફાઉંડેશન નિર્મિત નવી ૨૦૦ બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલની અને તેનાં ન્યુમોકોકલ વેકિસનેશન સેંટરની મુલાકાત જેવા ત્રિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીનો 'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન' થકી સમગ્ર દેશના નાગરિકોને પ્રાથમિક સારવાર, અર્લી ડિટેકશન અને વેલનેસ સંદર્ભે આંતરમાળખાકીય સુવિધાઓના વિકાસને વેગ આપવાનો હેતુ છે. કોવિડ દરમ્યાન આરોગ્યલક્ષી આંતરમાળખાની જરૂરિયાત સર્વે સમજી શકયા છે ત્યારે પ્રધાનમંત્રીશ્રીએ કોવિડ દરમ્યાન તત્કાલ વિકસાવેલું આંતરમાળખું હોય, પ્રિવેંટીવ કેર કે ૧૦૦ કરોડ વેકિસન હોય હરહંમેશ આરોગ્ય આંતરમાળખાને પ્રાધાન્ય આપી આજે ફરી આ યોજના થકી આરોગ્યલક્ષી સર્વગ્રાહી પગલું લીધુ છે.

આગામી ૫ વર્ષમાં દરેક જિલ્લા બ્લોકમાં થઇ રાષ્ટ્રીય સ્તરે ૪૦૦૦થી વધુ લેબ, રિસર્ચ માટેનાં કેન્દ્રો, નવા વાયરોલોજી ઇંસ્ટિટ્યુટ થકી આવનારી મહામારી વિશે આગોતરી જાણકારી વગેરે માટે સુદ્રઢ માળખુ તૈયાર કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરના નાના સબ સેન્ટરથી મોટા શહેરોની સિવિલ હોસ્પિટલ કક્ષા સુધી આરોગ્ય સુખાકારી માટે વધુ સુવિધાઓને વિકસાવવામાં આવશે. દેશમાં વિવિધ હોસ્પિટલોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે જેમાં જામનગર અને દેવભૂમિ દ્રારકાની હોસ્પિટલોને પણ આવરી લેવામાં આવી છે. જેના થકી જામનગરમાં આરોગ્ય સુખાકારીમાં વધારો થશે.       

સાંસદશ્રી પુનમબેન માડમનાં વરદ હસ્તે ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગરને પ્રવર્તમાન વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાને લઇ પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરની કોવીડ-૧૯ની ગ્રાન્ટમાંથી ૨ એમ્બ્યુલન્સ લોકસેવા અર્થે અર્પણ કરવામાં આવી હતી.

વડાપ્રધાનશ્રીનાં નરેન્દ્રભાઇ મોદીના હસ્તે 'પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચર મિશન'નું વારાણસી ઉત્ત્।રપ્રદેશથી રાષ્ટ્રવ્યાપી લોન્ચિંગ કરવામાં આવેલ હતું. જેનું એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજ તેમજ ગુરુ ગોબિંદસિંદ્ય સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે જીવંત પ્રસારણ સાંસદ શ્રી પુનમબેન માડમનાં અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું તેમજ સાંસદશ્રીએ રિલાયન્સ ફાઉંડેશન નિર્મિત નવી ૨૦૦ બેડની પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલની અને તેનાં વેકિસનેશન સેંટરની મુલાકાત લઇ ન્યુમોકોકલ રસી આપવાની કામગીરીની સમીક્ષા કરી હતી. સાંસદશ્રીએ પિડીયાટ્રીક હોસ્પિટલ ખાતે બાળકોની મુલાકાત લઇ તેના વાલીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે મેયરશ્રી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા, ડેપ્યુટી મેયરશ્રી તપનભાઇ પરમાર, સ્ટેંડીંગ કમિટી ચેરમેનશ્રી મનીશ કટારીયા, શાસક પક્ષના નેતાશ્રી કુસુમબેન પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રમેશભાઇ મુંગરા, શહેર ભાજપ પ્રમુખશ્રી વિમલભાઇ કગથરા, મહામંત્રીશ્રીઓ પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ડિમ્પલબેન રાવલ, કોર્પોરેટરશ્રીઓ, મ્યુનીસીપલ કમિશ્નરશ્રી વિજય ખરાડી, ડીનશ્રી નંદિની દેસાઇ, તબીબી અધિક્ષકશ્રી દિપક તિવારી, આસિ. સુપ્રિટેન્ડન્ટ શ્રી ધર્મેશ વસાવડા, અધિક ડિન શ્રી એસ.એસ.ચેટરજી, ડીસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન જામનગરનાં પ્રતિનિધિશ્રી તથા હોસ્પિટલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(12:43 pm IST)