Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અંગદાન મહાદાન : હું મારી ઓળખ મોનાલીસાના પતિ તરીકે આપીશ : મોરબીમાં પત્નીના અંગોનું દાન કર્યું

(પ્રવિણ વ્યાસ-દિપક જાની દ્વારા) મોરબી-હળવદ,તા. ૨૬ : મોરબી શહેરમાં સનહાર્ટ સીરામીકમાં એન્જિનયર તરીકે ફરજ બજાવતા અલકેશભાઈ માહોતાના ધર્મપત્ની મોનાલીસાબેન ઉંમર વર્ષ ૪૨ ની તારીખ ૧૩ નવેમ્બરની સાંજે પુત્રી અનુપમા સાથે ખરીદી કરી દ્યર પરત આવતા થોડી તબિયત બગડી. મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ રાજકોટ વોકહાર્ટ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ૧૦૮ મારફતે પહોંચ્યા ડો. જોગણી સરે વધુ તપાસ કરતાં માલુમ થયું કે તેઓને બ્રેઈન હેમરેજ થઈ ગયું છે. બે દિવસની સઘન સારવાર કરવા છતાં કોઈ સુધારો ન થયો અને અંતે ન્યુરોફિઝિશ્યન ડો. કેતન ચુડાસમા, ન્યુરોસર્જન ડો કાર્તિક મોઢા, ઇન્ટેન્સિવિસ્ટ ડો ચિરાગ માત્રાવડીયા, સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાની, આઈ.સી.યુ. રજિસ્ટ્રાર ડો વિવેક જીવાણી, ડો. મીત ઉનડકટ, ડો ઉપેન્દ્ર પરમાર, ડો સાગર ભંડેરી ની ટીમ દ્વારા બ્રેઈનડેડ જાહેર કર્યા.

અલકેશભાઈ એક શિક્ષિત અને જાગૃત નાગરિક હોવાથી આવી દુઃખની ઘડીમાં પણ તેઓએ એમનાં પત્નીના અંગદાન કરવાનો નિર્ણય લીધો. સાથે મોનાલીસાબેનના ૧૯ વર્ષનાં દીકરી અનુપમાબેન, બહેન મધુલિકાબેન તથા સંબંધીઓ નુકુલભાઈ, મનવેન્દ્રભાઇ, મિતેન્દ્રભાઈ એ આ નિર્ણય લેવામાં સહયોગ આપ્યો.માનવતાની મહેક ઉભરાવવા હાર્ટ સહિત બધા અંગો માટે સહમતી આપી. અંગદાનનો નિર્ણય લેવાની સાથે જ હમેશા અંગદાન માટે સેવા કરવા હંમેશા તૈયાર રહેતા નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશયન ડો દિવ્યેશ વિરોજાએ સમગ્ર પ્રક્રિયામાં સતત ૩૬ કલાકની મહેનત કરી રાજકોટનું ૮૯ મું અંગદાનનું ઓપરેશન અમદાવાદની ખ્યાતનામ કિડની હોસ્પિટલની ટ્રાન્સપ્લાન્ટ ટીમ સાથે સંકલન કરી સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.

ટ્રાન્સપ્લાન્ટ કોર્ડીનેટર ડો વિશાલ ભાલોડીએ સરકારના અંગદાન વિભાગ SOTTO ની સાથે સંકલન કર્યું હતું. એમનાં લિવર, બંને કિડની ટ્રાન્સપ્લાન્ટ થી ત્રણ વ્યકિતઓને જીવનદાન મળ્યું છે અને ચક્ષુદાનથી બે વ્યકિતને દ્રષ્ટિ મળશે. બંગાળી સમાજના અલ્કેશભાઈઙ્ગ એ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સમાજસેવક ભાવનાબેન મંડલી તથા મિતલભાઈ ખેતાણી સાથે વાત કરતા દુઃખ સાથે કહ્યું કે હવે હું મારી ઓળખ મોનાલીસાના પતિ તરીકે આપીશ.સમાજ પ્રત્યે ખુબજ લાગણી ધરાવતા મોનાલીસાબેન મોરબીની નાલંદા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના શિક્ષક હતા.સમાજમાં લોકો ખૂબ આદર કરતા. લોકો માટે સેવાની લાગણી ધરાવતા મોનાલીસાબેનના અંગદાન કરી અલકેશભાઈએ જીવન સાર્થક કર્યું. માનવ સેવાનો આ નિર્ણય લઈ બંગાળી સમાજનું નામ રોશન કર્યું છે.માહોતા પરિવાર ને કોટી કોટી વંદન.

(10:38 am IST)