Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

માતાના મઢે જતા પદયાત્રીઓને વાહને હડફેટે લેતા એકનું મોત

રોડ ઉપર ટ્રાફિક વધ્‍યો, ધાણેટી ગામ પાસે પદયાત્રીએ જીવ ગુમાવ્‍યો : રતનાલ ગામ પાસે મહિલાને ઇજા

ભુજ,તા. ૨૬ : કચ્‍છમાં નવરાત્રિ દરમ્‍યાન શ્રદ્ધાળુ માઈ ભક્‍તોનો પ્રવાહ પગપાળા માતાના મઢ તરફ વહી રહ્યો છે. તે વચ્‍ચે માર્ગ અકસ્‍માતના બનાવ પણ વધ્‍યા છે. ગાંધીધામ નજીક ટ્રક અને છકડા વચ્‍ચેના માર્ગ અકસ્‍માતમાં મોરબીના એક જ પરિવારના ચાર સભ્‍યોએ જીવ ગુમાવ્‍યા નો બનાવ હજી તાજો જ છે. ત્‍યાં પદયાત્રીઓને અકસ્‍માત નડ્‍યો હોવાના સમાચાર છે. બે અલગ અલગ જગ્‍યાએ બનેલા અકસ્‍માતના બનાવમાં ભચાઉ ભુજ રોડ ઉપર ધાણેટી ગામ પાસે અજાણ્‍યા વાહન ચાલકે પદયાત્રી જીતેન્‍દ્રસિંગ રણવીરસિંગ તોમર (ઉ.૩૦)ને હડફેટે લેતાં સ્‍થળ પર જ મોત નિપજયું હતું. મૃતક મૂળ બિહારનો વતની હતો અને ભચાઉ ના મનફરા ગામે ટાઈલ્‍સ ફિટિંગનું કામ કરતો હતો અને મિત્રો સાથે પગપાળા મા આશાપુરા ના દર્શને જવા નીકળ્‍યો હતો. જયારે ગાંધીધામ ભુજ હાઈવે ઉપર બનેલા અકસ્‍માતના બીજા બનાવમાં રતનાલ ગામ પાસે અજાણ્‍યા વાહને હડફેટે લેતાં આદિપુરના પદયાત્રી પ્રેમિલાબેન વેલજી વિઝોડા (ઉ.૩૯) ને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્‍ત મહિલાને ભુજની સરકારી હોસ્‍પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.

(11:05 am IST)