Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમદાવાદના ટ્રાન્‍સપોર્ટર સુરેશ શાહની અંધાધુધ ગોળીબાર કરી હત્‍યા કરવાના કેસમાં રાજુ શેખવાની જામીન અરજી નામંજુર

હાલ ગોંડલની જેલમાં રહેલા રાજુ શેખવા અમરેલી જેલમાં હતો ત્‍યારે સુરેશ શાહની હત્‍યાનો પ્‍લાન ઘડાયો હતો

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ તા. ૨૬: અમદાવાદનાં વાસણા વિસ્‍તારની લાવણ્‍ય સોસાયટીમાં ૧૦ માર્ચ ૨૦૧૮ ના વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં જાણીતા ટ્રાન્‍સપોર્ટર સુરેશ શાહની અંધાધુંધ ગોળીબાર કરી કરાયેલી કરપીણ હત્‍યાનાં માસ્‍ટર માઇન્‍ડ અને અપહરણ મારામારી મર્ડર જેવા ગુન્‍હાઓમાં સંડોવાયેલા અને હાલ ગોંડલ સબ જેલમા રહેલા કુખ્‍યાત રાજુ શેખવા એ હાઇકોર્ટમાં કરેલી કાયમી જામીન અરજીના મંજુર કરાઇ છે.

ચકચારી બનેલા મર્ડર કેસની સનસનીખેજ વિગતો મુજબ રાજુ શેખવા એ અમરેલી સબ જેલમાં સુરેશ શાહની હત્‍યાનો પ્‍લાન ઘડ્‍યો હતો.અમદાવાદના એફસીઆઇના મેનેજર બાબુલાલ જાદવ મર્ડર કેસ માં રાજુ શેખવા અમરેલી જેલમા સજા ભોગવી રહ્યો હતો.ત્‍યારે રાજકોટના પરેશગીરી ગૌસ્‍વામી મર્ડર કેસ મા આજીવન સજા ભોગવી રહેલા ઘનશ્‍યામ કણક સાથે રાજુ શેખવાને મિત્રતા બંધાઈ હોય સુરેશ શાહનુ મર્ડર કરવા રાજુ શેખવાએ ઘનશ્‍યામ કણકને પેરોલ પર બહાર કાઢી સુરેશ શાહનુ મર્ડર કરાવી ચુપચાપ અમરેલી જેલ મા ફરી પરત હાજર કરાવી દીધો હતો.

અમદાવાદ ખાતે સતત એક મહીના સુધી સુરેશ શાહના મકાન તથા ધંધાના સ્‍થળે રાજુ શેખવાના શુટરોએ રેકી કરી હત્‍યાને અંજામ આપ્‍યો હતો.

હત્‍યા કેસની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસ કરી અમદાવાદથી એલમ ખાન અને રફીક નામના બે શાર્પ શુટરોને દબોચી લેવાયા હતા.બાદમાં અન્‍ય આરોપીઓ પણ પોલીસની ગીરહબાનમા આવી ગયા હતા.

અમદાવાદના પ્રદિપ ડોન તથા ખાડીયાના ગૌતમ દાઢી મર્ડર કેસમાં સુરેશ શાહની સંડોવણી બહાર આવી હતી.વર્ષ ૨૦૦૯માં સુરેશ શાહે પાલડીમા રાજુ શેખવા પર ફાયરિંગ કરાવ્‍યા હોય બદલો લેવા રાજુ શેખવા એ ૫૦ લાખની સોપારી આપી શુટરો દ્વારા તેનુ મર્ડર કરાવ્‍યુ હતુ.

ગોંડલ સબ જેલમાં આઇજીની સ્‍કવોર્ડ દ્વારા રાત્રી વેળા કરાયેલ જડતી મા રાજુ શેખવા પાસે થી બે મોબાઇલ મળી આવતા તત્‍કાલીન તેને વડોદરા સેન્‍ટ્રલ જેલ ખાતે ધકેલી દેવાયો હતો.પરંતુ ઉચ્‍ચ રાજકીય વગ ધરાવતો રાજુ શેખવા ટુંક સમયમા જ વડોદરાથી ફરી ગોંડલ સબ જેલમાં પરત આવી ગયો છે.

(10:37 am IST)