Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ગુજરાતમાં ડિસે.૨૦૨૨ સુધીમાં ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડી નલ સે જલ યોજના સાર્થક કરાશે : રાજ્યમાં 85% ઘરે ઘરે નળ કનેકશન: દર મહિને એક લાખ નવા નળ કનેકશન અપાય છે : અમારી સરકાર ખેડૂતો અને માછીમારોને તમામ પ્રકારની મદદ કરવા કટિબદ્ધ; પ્રથમ વખત માછીમારો માટે રૂ. ૧૦૫ કરોડનું પેકેજ સરકારે આપ્યું છે : માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહીં સંવાદ એ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે : સરકાર અને પ્રશાસનની રાત-દિવસની મહેનત અને લોક સહયોગથી ગુજરાતમાં કોરોનાની બીજી લહેર કાબૂમાં આવી છે, પણ હજુ સાવચેતીની જરૂર : વિજયભાઈ રૂપાણી

ગીર સોમનાથના વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં રુ.૧૬ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ગીર સોમનાથતા.૨૬ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથના વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારના રુ. ૧૬ કરોડના વિકાસ કામોનું ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરી જણાવ્યું હતું કે ગુજરાતમાં 85% ઘરે ઘરે પીવાના પાણી માટે નળ કનેકશન આપી સરકારે જનસુખાકારી ની ઉત્તમ કામગીરી કરી હવે ઉત્તમ થી સર્વોત્તમ તરફ પ્રયાણ કરી ૧૦૦ ટકા નળ કનેક્શન ની સુવિધા  આપીને  નલ સે જલ યોજનાને સાર્થક કરાશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌને શુદ્ધ પાણી આપવાના નિર્ધાર ને સાકાર કરી ગુજરાતમાં ડિસેમ્બર 2022 પહેલા આ સિદ્ધિ હાંસલ કરાશે અને તે માટે દર મહિને એક લાખ નવા નળ કનેક્શન પીવાના પાણીની બહુ આયામી યોજનાઓ થકી અપાય છે.

    ગુજરાત સરકારે કોરોના સંક્રમણને કાબુમાં લેવા બીજી લહેરમાં રાતદિવસ કામગીરી કરી છે. સરકાર અને  પ્રશાસનના પરિશ્રમ થકી ૪૧૦૦૦ ઓક્સિજન યુક્તબેડ માંથી ૯૦,૦૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવી હતી. પહેલી લહેરમાં ૩૦૦ ટન ઓક્સિજન ની જરૂરિયાત સામે બીજી લહેર માં ૧૧૦૦ ટનથી વધુ ઓક્સિજન ની વ્યવસ્થા કરીને ગુજરાતમાં એક પણ માણસનું મૃત્યુ માત્ર ઓક્સિજનના અભાવે થયું  નથી. મુખ્યમંત્રીશ્રીએ કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને  શ્રદ્ધા સુમન વ્યક્ત કરી કરી સ્વજનો ગુમાવનાર પરિવારોને ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.        

      મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર ન આવે તે માટે ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રાર્થના કરવા આવ્યો છું.

 ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અને પછી તુરંત  તાઉતે વાવાઝોડુ આવ્યું પરંતુ સરકારે પૂરતું પૂર્વ આયોજન કર્યું અને આગચેતીને લીધે જાનહાનિ નહીવત થઈ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ બીજા દિવસે ગુજરાત આવીને રૂપિયા એક હજાર કરોડની મદદ કરી છે.  તાઉતે વાવાઝોડાની નુકસાનીમાં રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે રાહત-બચાવ પુનઃસ્થાપન કામગીરી કરી છે .માછીમારો ખેડૂતો ની સાથે સરકાર ઉભી છે તેમ જણાવીને ગુજરાતના માછીમારોને પ્રથમ વખત ૧૦પ  કરોડનુ પેકેજ આપવામાં આવ્યું છે તેમ પણ જણાવ્યું હતું. માછીમારોનો વ્યવસાય ફરી શરૂ થાય તે માટે વ્યાજમાં રાહત સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ  જ્યાં માનવી ત્યાં સુવિધા અને વિવાદ નહીં પણ સંવાદ એ રાજ્ય સરકારનો વિકાસ મંત્ર છે તેમ જણાવીને શહેરોમાં તમામ માળખાગત સુવિધા માટે નગરપાલિકાઓને પૂરતું ફંડ ફાળવવામાં આવ્યું છે તેમ પણ કહ્યું હતું. ગામડાઓમાં પણ  સુવિધા શહેરની અને આત્મા ગામડાંનો  એવો નિર્ધાર કરીને વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે.

   વેરાવળ ખાતે મુખ્યમંત્રીશ્રીએ વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે રૂપિયા  પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ની ૫૩ એમ.એલ.ડી  કેપેસીટીના વોટર  ટ્રીટમેન્ટ પ્લાન્ટન નું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત રુ.૧૦.૨૬કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ સ્ટ્રોમ  વોટર ડ્રેઈન  અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ  સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સાથે ના પ્રોજેકટનુ ખાતમુહુત મળી એકંદરે કુલ રૂપિયા ૧૬ કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહુર્ત કર્યું હતું. પાણીના પ્રોજેક્ટમા વેરાવળની બે લાખની વસ્તીને લાભ મળશે અને ૨૫ વર્ષ ની વસ્તી નું આયોજન કરીને આ યોજના નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી છે.     

       મુખ્યમંત્રીશ્રીએ વેરાવળમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં રુ. ૩૧.૯૭  લાખના ખર્ચે બનેલ નવનિર્મિત ડીવાયએસપી કચેરી નું પણ લોકાર્પણ કર્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા વેરાવળમાં અદ્યતન કચેરી બનતા પોલીસ મથકે સુવિધામાં વધારો થશે.

સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરી વેરાવળ નગરપાલિકાનાં પ્રમુખ શ્રી પિયુષભાઈ ફોફંડીએ  વેરાવળમાં રાજ્ય સરકારની સહાયથી ચાલી રહેલા અંદાજે રૂપિયા ૫૦ કરોડના કામોની રૂપરેખા આપી હતી. અને આભારવિધિ સંચાલન ચીફ ઓફિસર શ્રી જતીનભાઈ મહેતાએ કર્યું હતું.

    આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ  ચુડાસમા ,પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરી ભાઈ ઠકરાર,  જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિંહભાઈ પરમાર,જૂનાગઢના રેન્જ આઇ.જી મનીન્દર સિંઘ પવાર, ઇન્ચાર્જ કલેકટર ડી.ડી. ઓ શ્રી રવીન્દ્ર ખતાલે, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજસીભાઇ જોટવા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:15 pm IST)