Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

પ્રાણવાયુ માટે ગોંડલ કેન્દ્ર બિંદુ બન્યું

રોજિંદા ૫૦ હજારથી પણ વધુનો ખર્ચ ભોગવી લોકોને નિઃશુલ્ક સિલિન્ડર ભરી આપે છે : રેગ્યુલેટર બ્લાસ્ટ થઇ એક સેવાભાવીના મોઢામાં વાગતા બે ફ્રેકચર થયા છતાં પણ અવિરત સેવા આપે છે

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૨૬ : ગોંડલના ૨૦ યુવાન વ્યાપારીઓ સમાજના આગેવાનો છેલ્લા ૨૦ દિવસથી રાત દિવસ એક કરી કોરોના થી પીડાતા ઓકસીજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે પ્રાણવાયુ પુરો પાડી રહ્યા છે. જામનગર, તાલાળાગીર, મોરબી, વાંકાનેર, અમરેલી સહિતના ગામમાંથી ઓકિસજનના સિલિન્ડર રિફીલિંગ કરાવવા આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શ્રી મચ્છુ કઠીયા લુહાર જ્ઞાતિ મંડળ સમગ્ર લુહાર સમાજ મંગલમૂર્તિ મશીનરી, રાજુભાઈ પિત્રોડા, વિમલભાઈ પિત્રોડા, પાલિકા સદસ્ય ઓમદેવસિંહ જાડેજા, કાંતિભાઈ પિત્રોડા, શૈલેષભાઈ રોકડ પાલિકા સદસ્ય, રાજુભાઈ ઉમરાણીયા, પંકજભાઈ રાયચુરા, અર્જુનભાઈ ખાનપરા તેમજ હસમુખભાઈ પટેલ સહિતના યુવાનો દ્વારા છેલ્લા ૨૦ દિવસથી દિવસ રાત એક કરી પ્રાણવાયુની નિરંતર સેવા આપવામાં આવી રહી છે, રોજિંદા ભાવનગર બે ગાડીઓ મોકલી ૧૨૫ થી પણ વધુ સિલિન્ડર ભરી લાવવામાં આવી રહ્યા છે ગોંડલ ખાતે સૌરાષ્ટ્ર ભરમાંથી આવતા દર્દીઓના સગા વ્હાલાઓને ૬૫૦ જેટલા નાના સિલિન્ડર નિશુલ્ક રિફીલિંગ કરી આપવામાં આવી રહ્યા છે રોજિંદા ૫૦ હજારથી પણ વધુ રકમનો ખર્ચ આવી રહ્યો છે. બે દિવસ પહેલાં કોઈ દર્દીના સગા ઇમરજન્સી કેસ લઈને આવ્યા હતા ઓકિસજન રેગ્યુલેટર ફીટ કરતા ન આવડતું હોય ગ્રુપના સદસ્ય હસમુખભાઈ પરસાણા રેગ્યુલરનું સેટિંગ કરી રહ્યા હતા ત્યાં જ અચાનક બ્લાસ્ટ થતા ડાબી આંખની નીચે અને નાકની બાજુમાં બે ફેકચર થવાની સાથે મોઢા ઉપર છ ટાંકા લેવા પડ્યા હતા પરંતુ આવી દુર્ઘટનાથી ગભરાઈ ન જઈ આજે પણ અવિરત સેવા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે દર્દીઓને ઓકિસજન પૂરું પાડવું એ જ મારો આરામ છે.

(11:34 am IST)