Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મહામારી વચ્ચે મોરબી અને કચ્છમાંથી શ્રમજીવીઓ મધ્યપ્રદેશ - રાજસ્થાન - દાહોદ તરફ પગપાળા રવાના

હળવદની આશાપુરા હોટેલના સંચાલકોએ દરેકને ભરપેટ જમાડયા : માનવતા મહેકાવી

 હળવદ તા. ૨૬ : હાલ કોરોનાની મહામારી વચ્ચે કોઈ કારણોસર મોરબી અને કચ્છમાંથી ઘણી મોટી સંખ્યામાં શ્રમજીવીઓ માદરે વતન મધ્યપ્રદેશ - રાજસ્થાન - દાહોદ તરફ જવા પગપાળા રવાના થયા છે. શ્રમજીવીઓ સાથે નાના નાના બાળકો અને મહિલાઓ અને વડીલો પણ સાથે છે ત્યારે તેઓ બુધવારે રાત્રી ના સમયે હળવદ થી પસાર થઈ રહ્યા હતા. લગભગ શ્રમજીવીઓ સવારથી જ ચાલતા નીકળી ગયા હોય અને નાસ્તો કરીને જ ચલાવી લીધું હતું ત્યારે આશાપુરા હોટલના સંચાલકો એ સર્વે શ્રમિકોને શુદ્ઘ અને સાત્વિક ભોજન ભરપેટ જમાડયું હતું અને સર્વેની યોગ્ય સેવા પણ કરી હતી.

આવી મહામારી વચ્ચે તંત્ર પણ આ શ્રમજીવીઓની વ્હારે આવે અને તેમના માદરે વતન પહોંચાડવા ની વ્યવસ્થા કરે તે જરૂરી છે ત્યારે આશાપુરા હોટલ ના સંચાલકો એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કેઙ્ગઆ લોકડાઉનની પરિસ્થિતિ માં સુરક્ષકર્મીઓ - આરોગ્યની સેવા આપતા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓને વિનામૂલ્યે પાર્સલ સુવિધા આશાપુરા હોટલ દ્વારા પુરી પાડવામાં આવશે રાત્રીના સમયે હોટલ પાસેથી પસાર થતા આશરે ૨૫૦ થી ૩૦૦ શ્રમજીવીઓ ની જઠરાગ્નિ ઠારી હતી અને સેવા કાર્ય માં નિમિત બન્યા હતા.

આ કાર્યમાં હરખાભાઈ દલવાડી, હિતેશભાઈ દલવાડી, વિરૂભાઈ, ઘનશ્યામભાઇ, લક્ષમણભાઈ સહિત ૨૦થી વધુ સેવાભાવીઓ એ ખડેપગે રહી નિઃસ્વાર્થ સેવા કાર્ય કરી અને માનવતાની મહેક પ્રસરાવી હતી.

(11:42 am IST)