Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

બે જીગરજાન યુવા મિત્રોએ પણ જીવ દઇ દીધો

અમરેલી-ધારીના મોણવેલમાં થોડા સમય પૂર્વે બે યુવતીઓએ પ્રેમ સંબંધ સબબ આત્મહત્યા કરી હતીઃ હવે આ બન્ને રત્નકલાકાર યુવાનો જયસુખ સાપરીયા-ભાવેશ ડેડાણીયાએ ધારીના મોણવેલ નજીકની હોથલીયા બીડ વિસ્તારમાં ગળાફાંસો ખાધો

તસ્વીરમાં બંન્ને મિત્રોના મૃતદેહો નજરે પડે છે.(તસ્વીરઃ મિલાપ રૂપારેલ, અમરેલી)

(મિલાપ રૂપારેલ દ્વારા) જૂનાગઢ તા.૨૬: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં દુધાળા ગામે રહેતાં બે રત્નકલાકાર યુવકોએ અગાઉ બે અલગ અલગ યુવતિઓ સાથે પ્રેમસંબંધ બંધાયેલ હોય, પરંતુ કોઇ કારણોસર આ બન્ને યુવતીઓ થોડા સમય પહેલાં જ કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં આ બન્ને રત્ન કલાકાર મિત્રોને પણ લાગી આવતાં ગઇકાલે રાત્રીના સમયે અમરેલી જિલ્લાનાં ધારી તાલુકાના મોણવેલ ગામ નજીક આવેલ હોથલીયા બીડ વિસ્તારમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં આ બનાવનાં પગલે અમરેલી પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ વિસાવદર તાલુકાનાં દુધાળા ગામે રહેતાં અને હીરા ઘસવાનું કામ કરતાં જયસુખ ભનુભાઇ સાપરીયા (ઉ.વ.રર) તથા તેમની સાથે જ કામ કરતાં જીગરજાન મિત્ર ભાવેશ ભરતભાઇ ડેડાણીયા નામનાં બન્ને યુવકને અગાઉ કોઇ યુવતી સાથે પ્રેમસંબંધ હતો.

અને આ બન્ને યુવતીઓએ કોઇ અગમ્ય કારણોસર અગાઉ આપઘાત કરી લીધો હતો. જેથી આ બન્ને રત્ન કલાકાર મિત્રોને લાગી આવતા ગઇકાલે મોડી રાત્રીના સમયે ધારી તાલુકાનાં મોણવેલ ગામ નજીક આવેલ હોથલીયા બીડ વિસ્તારમાં એક ઝાડ સાથે આપઘાત કરી લીધાનું પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું હતું.

આ બન્ને મૃતદેહો સવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ધારી પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને બન્ને યુવકોનાં મૃતદેહને ધારી સરકારી દવાખાને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી અને યુવકનાં સગા સંબંધીઓ અંગે વિગતો મેળવી રહ્યાં છે. અને આ બનાવનું સાચું કારણ જાણવા માટે પણ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)