Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ગણતંત્ર દિવસ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ : કલેક્ટર ગૌરાંગ મકવાણા

અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપન્ન :કલેક્ટર સહિતના સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયા : પટાંગણમાં જિલ્લાના સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

dir="auto">(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, ૨૬  , અમરેલી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ૭૩મા પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપવામાં આવી હતી.
 
ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું  હતુ કે, ગણતંત્ર દિવસએ સંવિધાનને ગૌરવભેર યાદ કરવાનો દિવસ છે. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦માં ભારતીય બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. દેશના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતાની તક અને હક મળ્યા છે. લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરીમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે.
 
કોરોનાની આજની પરિસ્થિતિ વિશે વાત કરતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે જિલ્લામાં કોરોનાના કેસો તો આવી રહ્યા છે પરંતુ સારા વેક્સિનેશનને કારણે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. તેઓએ હજુ પણ જે લોકોએ વેક્સીન ન લીધી હોય કે ફક્ત એક જ ડોઝ લીધો હોય તેવા લોકોને વેક્સીન લઇ લેવા ફરી અપીલ કરી હતી. વેક્સિનેશનની સાથે સાથે દરેક નાગરિક રાજ્ય સરકારની કોરોનાની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરે અને માસ્ક, સેનિટાઇઝેશન જેવી બાબતોની કાળજી લે તે અત્યંત જરૂરી છે.
વધુમાં ઉમેર્યું હતું કે જિલ્લાના સર્વાંગી વિકાસની સાથે જિલ્લાના નાગરિકોને આરોગ્યલક્ષી તેમજ અન્ય સુવિધાઓ પૂરી પાડવા જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા સંનિષ્ઠ કાર્ય અને પ્રયત્નો કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતુ. 
 
જિલ્લા કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવશ્રીઓએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારનું સુતરની આંટી પહેરાવી તથા શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. આ તકે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર આરોગ્યકર્મીઓને તેમજ વન વિભાગના કર્મીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રી સહિતના સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સને પ્રિકોશન ડોઝ અપાયા હતા. ત્યારબાદ જિલ્લાના સર્વે ઉચ્ચ અધિકારીશ્રીઓએ પોલીસ પરેડ ગ્રાઉન્ડના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
 
કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી વિશાલ સક્સેના, પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. પટેલ તેમજ જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રી-કર્મચારીગણ અને અમરેલીના નગરજનો કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરી ઉપસ્થિત રહ્યા હતા.
 
નોંધનીય છે કે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાના હસ્તે ધ્વજવંદન થનાર હતું પરંતુ ગઈકાલે મંત્રીશ્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી.
(3:35 pm IST)