Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ઓડિશા સરકાર સાથે સમજૂતી કરાર રિન્યુ થવાથી સત્ય સાઇ હાર્ટ હોસ્પિટલને બાળકોની સેવા કરવાની તક મળશે : મનોજભાઇ ભીમાણી

અત્યાર સુધીમાં ૧૦૧૯ બાળકોની નિઃશુલ્ક સફળ સર્જરી : મુખ્યમંત્રી નવીન પટનાયક, ન્યાયમૂર્તિ વિનીત સરન, મોહમ્મદ રફિક, નિવૃત્ત ન્યાયમૂર્તિ કલ્પેશ ઝવેરી સહિતની ઉપસ્થિતિમાં ઓનલાઇન કાર્યક્રમ

તસ્વીરમાં ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો તે નજરે પડે છે.

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : વર્ષ ૨૦૨૦ના ૨૦મી નવેમ્બર એક મહત્વનો દિવસ ત્યારે રહ્યો જયારે સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ અને ઓડિશા રાજય સરકાર વચ્ચે સમજૂતી કરાર આવનારા બે વર્ષ માટે લંબાવવામાં આવ્યો જે બે વર્ષ અગાઉ એટલે કે ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ પહેલીવાર થયો હતો. શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ઓડિશા રાજયને તેના આર્થિક રીતે પછાત વર્ગના અને જરૂરિયાતમંદ બાળકોના હૃદયની ખામી દૂર કરતી કાર્ડિયાક સર્જરી તદ્દન નિઃશુલ્ક રીતે કરાવવાની તક મળશે.

સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી ઓડિશા રાજયના ૧૦૧૯ બાળકોની નિઃશુલ્ક સફળ સર્જરી થઈ ચૂકી છે અને હવે ભવિષ્યમાં વધુ પરિવારો તેમના બાળકોના ખિલખિલાટ ચહેરા જોઈ શકશે.

આ પ્રસંગે ઓડિશાના મુખ્યમંત્રી શ્રી નવીન પટનાયક, ન્યાયમૂર્તિ શ્રી વિનીત સરન (સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ),  ન્યાયમૂર્તિ શ્રી મોહમ્મદ રફિક (ઓડિશા હાઇકોર્ટના  ન્યાયમૂર્તિ), માનનીય ન્યાયમૂર્તિ (નિવૃત્ત્।) શ્રી કલ્પેશ ઝવેરી, અધિક મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય વિભાગ, ઓડિશા સરકાર) અને એમડી (એનએચએમ) તથા અન્ય સરકારી અધિકારીઓ ઉપસ્થિત હતા.

ઓડિશા સરકારે ૧૮ નવેમ્બર ૨૦૧૮ના રોજ રાજયના બાળકોના હૃદયમાં રહેલી ખામીને દૂર કરવા માટે એક ડગલું આગળ વધવાનો નિર્ણય કર્યો હતો. સમજૂતી કરાર મુજબ ઓડિશા સરકાર જરૂરિયાતમંદ બાળકોને શોધીને તેમના પરિવહનનો ખર્ચ ભોગવશે. એક ઉમદા માનવ સેવાને અનુસરીને તેને આગળ વધારતાં શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલે આ બાળકોની સર્જરી તદ્દન નિઃશુલ્ક અને તે પણ પ્રેમ, નિઃસ્વાર્થ સમર્પણ અને ૧૦૦ ટકા તબીબી સંભાળ સાથે કરી આપવાનો નિર્ણય કર્યો હતો.

કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન પણ હોસ્પિટલ દૈવી કૃપા સાથે કામ કરી રહી હતી. હવે ધીરેધીરે ફરી એકવાર ઓડિશાથી બાળકો આવવાના શરૂ થશે.

શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજ ભીમાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, 'હૃદયની બીમારીઓથી મુકત સમાજનું સર્જન કરવા માટે અમારી હોસ્પિટલે નાના બાળકોના હૃદયની ખામી દૂર કરવાનું એક અભિયાન છેડ્યું છે.'

ઓડિશા રાજય સ્વામીજી અને સાંઈ હોસ્પિટલના હૃદયની અત્યંત નજીક હતું અને ઓડિશાના બાળકો પણ ખુબ જ ખાસ છે. ઓડિશા રાજય સાથે હોસ્પિટલે સૌથી પહેલી સમજૂતી કરી હતી અને એ પછી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સરકાર સાથે પણ આ પ્રકારની સર્જરી કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઓડિશા સરકાર સાથે સમજૂતી કરાર રિન્યૂ થવાથી હોસ્પિટલને રાજયના બાળકોની સેવા કરવાની વધુ એક તક મળશે અને તેનાથી નાનકડા ફૂલ સમાન હસતાં ચહેરાઓ નવી જિંદગી શરૂ કરી શકે.

જયારે ન્યાયમૂર્તિ શ્રી વિનીત સરને ઓડિશા રાજયને તેમનું બીજું નિવાસસ્થાન ગણાવ્યું હતું. શ્રી વિનીત સરને જ ઓડિશા સરકારને પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનનો પરિચય કરાવ્યો હતો.

ન્યાયમૂર્તિ શ્રી મોહમ્મદ રફિકજીએ જણાવ્યું હતું કે, માનવતાની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે અને સાંઈ હાર્ટ હોસ્પિટલ આ નિઃસ્વાર્થ સેવાનું સર્વોત્તમ ઉદાહરણ છે. આ દિશામાં અથાગ પ્રયાસો કરવા બદલ તેમણે હોસ્પિટલ તથા ઓડિશા સરકારના મક્કમ નિર્ધારના વખાણ કર્યા હતા.

આ ઉમદા કાર્ય સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા ન્યાયમૂર્તિ (નિવૃત્ત) શ્રી કલ્પેશ ઝવેરીએ અદ્દભૂત રાજય ઓડિશાના સ્વાસ્થ્ય અને સમૃદ્ઘિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, સાંઈ હાર્ટ હોસ્પિટલ કોઈપણ પ્રકારની અપેક્ષા વગર બાળકોના હૃદયની ખામીઓ દૂર કરવા માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે.

સર્જરી અને સર્જરી થાય એ પહેલા તથા એ પછીની સારસંભાળ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે. જયારે બાળક અને તેમની સાથે પ્રશાંતિ મેડિકલ સર્વિસિઝ એન્ડ રિસર્ચ એન્ડ ફાઉન્ડેશન સુધી આવનારા તેમના સ્વજનનો પરિવહનનો ખર્ચ ઉઠાવી ઓડિશા સરકાર મહત્વની મદદ પૂરી પાડે છે.

સમજૂતી કરાર રિન્યૂ થવાથી માનવતાની સર્વોત્તમ સેવા કરવાના લક્ષ્ય તરફ વધુ એક પગલું સમીપ જશે.

(12:57 pm IST)