Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

માતાના મઢ રૂટ પર ટ્રાફિક નિયમન માટે ભારે/અતિભારે વાહનોની અવરજવર પર જાહેરનામાં દ્વારા પ્રતિબંધ

ભારે/અતિભારે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો

ભુજ ;આસો નવરાત્રી પર્વ તા. ૨૬/૦૯/૨૦૨૨ થી તા. ૦૪ /૧૦/૨૦૨૨ તથા તા. ૦૫/ ૧૦/૨૦૨૨ ના રોજ દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે . આ તહેવારો દરમિયાન જિલ્લાના તથા જિલ્લા બહારથી શ્રદ્ધાળુઓ પગે ચાલીને માતાનામઢ ખાતે દર્શનાર્થે જાય છે જેથી માતાના મઢમાં આશાપુરા માતાજીના મંદિર તથા રસ્તા પર શ્રધ્ધાળુ લોકોની ઘણી ભીડ થવાની સંભાવના રહેલી છે તેમજ પદયાત્રીઓના માર્ગમાં કોઇ અડચણ કે મુશ્કેલીઓ ઉભી ન થાય તે આશયથી અને માર્ગમાં ટ્રાફિક નિયંત્રણ જળવાઇ રહે તે માટે ટ્રાફિક નિયમન કરવું જરૂરી બને છે

આથી મિતેશ પંડયા, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ -ભુજએ  તેમને મળેલ અધિકારની રૂએ  કચેરીના પ્રાથમિક જાહેરનામા તા.૨૧/૦૪/૨૦૨૨ માં જણાવેલ ભારે / અતિભારે માલ વાહક વાહનોએ વૈકલ્પિક રૂટ નંબર ૨ ધોરડો- ભીટારા- હાજીપીર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) – દેશલપર - નખત્રાણા – ભુજ ( રાજય ધોરીમાર્ગ) ૨સ્તાનો તા. ૨૪/૦૯/૨૦૨૨ થી તા. ૦૫/૧૦/૨૦૨૨ સુધી પરિવહન માટે ઉપયોગ કરવા મનાઈ ફરમાવેલ છે.  તેમજ આ ભારે / અતિભારે માલ વાહક વાહનોને નીચે અનુસૂચિમાં જણાવેલ ૨સ્તા ઉપર ડાયવર્ટ કરી વાહન વ્યવહાર માટે વાહનો લઇ જવા - લાવવા માટે નક્કી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

પ્રતિબંધિત કરવા પાત્ર રસ્તો પ્રતિબંધ થતાં અન્ય વૈકલ્પિક રસ્તા તરીકે  ભારે અતિભારે માલ વાહક વાહનોએ ભીટારા - હાજીપીર - ધોરડો- લુડીયાથી ભીરંડીયારા લોરીયા - ભુજ (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) રસ્તાનો પરિવહન માટે ઉપયોગ કરવાનો રહેશે. 

જાહેરનામામાંથી સરકારી વાહનો, સરકારી કામે રોકવામાં આવેલ વાહનો, પોલીસ અધિક્ષકશ્રી કે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રીના આદેશાનુસાર સક્ષમ અધિકારીશ્રી દ્વારા અધિકૃત વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

(3:40 pm IST)