Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

દરિયા કિનારાના ખારા પાણીને મીઠું કરવા ૧૦ પ્રોજેકટ : વિજયભાઇ

બોટાદના ખોપાળા ગામમાં તળાવ ઉંડુ કરવાનો પ્રારંભ : મોરબીના બગથળામાં જળસંચયના કામોનું નિરીક્ષણ : વિકાસકાર્યોનું લોકાર્પણ

પ્રથમ તસ્વીરમાં બોટાદ જિલ્લાના ખોપાળા ગામમાં જળસંચય કાર્યક્રમ અને મોરબી જિલ્લાના બગથળામાં જળ અભિયાન અંતર્ગત કામોનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છે.

બોટાદ - મોરબી તા. ૨૫ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતનું સુજલામ સુફલામ જળસંચય અભિયાન જન અભિયાન બન્યું છે ૫૨૭ જેસીબીથી શરૂ કરાયેલ જળ અભિયાનમાં આજે ૪૬૦૦ જેસીબી કામે લાગ્યા છે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બોટાદ જિલ્લાના ખોપાળા ગામે ચોવીસ વિઘાના તળાવને ઊંડું કરવાનો પ્રારંભ કરાવ્યો  હતો. બોટાદ જિલ્લાનું ખોપળા ગામ જળ સંચય નું પ્રણેતા ગામ છે ત્યારે આ ગામના ખેડૂતો ખૂબ મહેનતુ હોઈ જળસંચયના આ કામોનો વ્યાપક લાભ મળશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.  મુખ્યમંત્રીશ્રીએ બોટાદ જિલ્લામાં ૧૯૦ ગામોમાં ચાલતા ૧૯૪ જળસંચયના કામોની પ્રગતિ માટે જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.

 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રની પાણીની સ્થિતિથી હું ખૂબ વાકેફ છું જળસંચયના આ અભિયાનથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે અને દુષ્કાળ ભૂતકાળ બનશે. જળસંચયના આ અભિયાનથી ખેતીને ખૂબ મોટો ફાયદો થશે એટલું જ નહીં પશુપાલનને પણ તેનો લાભ મળવાનો છે.

  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પશુપાલનને વેગ મળે અને રોજગારી વધે તે માટે  માનનીય નરેન્દ્રભાઇ મોદીએ પશુપાલનને મહત્વ આપ્યું હતું અને દરેક જિલ્લામાં ડેરીઓ ઉભી થાય તે માટે પ્રયાસો કર્યા હતા તેના પરિણામ સ્વરૂપ અગાઉ ગુજરાતમાં ૫૭ મેટ્રિક ટન દૂધ ઉત્પાદન હતું તે આજે ૧૭૦ લાખ મેટ્રિક ટને પહોચ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ પશુપાલનને વેગ આપવા સાત ઢોરથી વધુ પશુઓની સંખ્યા ધરાવતા પશુ ફાર્મ માટે રૂપિયા ત્રણ લાખની સહાય સરકાર આપી રહી છે તેમ જણાવ્યું હતું.

 મુખ્યમંત્રીશ્રીએ જળસંચય અભિયાન માટે વિપક્ષોના રૂ. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું કે બસ્સો કરોડના કામોના આયોજન થયા છે ત્યારે વિપક્ષ ૨૪૦૦ કરોડની વાત કરે છે ઘાસચારાના ભ્રષ્ટાચાર અંગેનો જવાબ આપતા જણાવ્યું કે તેમના નેતા લાલુ પ્રસાદ ઘાસચારા કૌભાંડમાં હાલમાં જેલમાં છે ત્યારે અહિંના નેતાઓ તેમને ટેકો આપી રહ્યા છે.

 મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે ગુજરાતમાં પાણીની સમસ્યા કાયમી રૂપે દૂર કરવા અનેક પ્રયાસોના ભાગરૂપે દરિયાકિનારાના ખારા પાણીને મીઠું કરવા ૧૦ પ્રોજેકટ હાથ પર લેવામાં આવ્યા છે. એટલું જ નહિ પાણીને પુનઃ ઉપયોગ કરવા રીસાયકલ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતનું આ જળ સંચય અભિયાન ભારતનું સૌથી મોટું જળ સંચય અભિયાન છે. આ અભિયાનથી અગિયાર હજાર લાખ ધનફૂટ પાણીની સંગ્રહ શકિત વધશે. વિકાસની પાયાની જરૂરિયાત પાણી છે ત્યારે સરકાર ખેડૂતો અને ગરીબો ઇચ્છે તેવા કામો કરી રહી છે. પાણીના ટીપે ટીપાનો ઉપયોગ થાય તે માટે સરકાર ટપક સિંચાઈનો વ્યાપ વધારી રહી છે અને આ માટે સિત્ત્।ેર ટકા સબસિડી આપી રહી છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

 મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જળ સંચય અભિયાનના ભાગરૂપ ગુજરાતની બત્રીસ નદીઓને પુનજીર્વિત કરવામાં આવી રહી છે એટલું જ નહીં પાંચ હજાર પાંચસો કિલોમીટર કેનાલોની સાફ સફાઇ પણ કરાઇ રહી છે .

 ઉર્જા મંત્રી અને બોટાદ જિલ્લા પ્રભારી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાણીની સતત ચિંતા કરી છે .તેમણે ખેડૂતોને પાણીના દરેક ટીપાનો ઉપયોગ કરવાની અપીલ કરતાં જણાવ્યું કે ગેમાં ડેમમાંથી રૂપિયા સત્ત્।ર કરોડના ખર્ચે બે હજાર હેકટર વિસ્તારમાં ટપક સિંચાઈનો લાભ મળે તે માટે પાયલોટ પ્રોજેકટ હાથ ધર્યો છે .ત્યારે દરેક ખેડૂતોને ટપક સિંચાઇ અપનાવવા અપીલ કરી હતી. ઉર્જા મંત્રીશ્રીએ કહ્યું કે સરકાર ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સતત ચિંતા કરી રહી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લામાં સૌના સાથ સહકારથી ૧૯૦ ગામોમાંથી ૯૭ ગામોમાં જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે એટલું જ નહીં જિલ્લાના ૧૭૯ કામોના લક્ષ્યાંક સામે ૧૯૪ કામો પ્રગતિમાં છે એટલે કે લક્ષ્યાંક કરતા વધુ કામો કરી ૧૨૦% સિધ્ધિ હાંસલ કરી છે.આ અભિયાનથી બોટાદ જિલ્લામાં અઢાર હજાર શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.

પદ્મશ્રી અને જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઇ સવાણીએ પ્રાસંગીક ઉદબોધનમાં મુખ્યમંત્રી શ્રીને જળ સંચય અભિયાન માટે ખાસ અભિનંદન પાઠવ્યા હતા .શ્રી સવાણીએ જણાવ્યું કે જળ સંચય માટે સરકાર સતત ચિંતા કરી રહી છે ત્યારે આપણે સૌએ પાણીનો કરકસર પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ ખોપાળામાં જળ સંચય માટે ટપક પધ્ધતિનો શ્રેષ્ઠ ઉપયોગ રાજયને પ્રેરણારૂપ બની રહેશે.

આ પ્રસંગે બોટાદ તથા ગઢડા તાલુકાના સરપંચશ્રીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યુ હતુ તેમજ બોટાદ દૂધ ઉત્પાદન સંઘે રૂપિયા દસ લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે અર્પણ કર્યો હતો.

આ પ્રસંગે સાંસદ શ્રીમતીભારતીબેન શિયાળ, પૂર્વ મંત્રી શ્રી આત્મારામભાઇ પરમાર, નાનુભાઇ વાનાણી, જિલ્લા ભાજપા પ્રમુખ સુરેશભાઇ ગોધાણી, જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં જનશકિતનો અભૂતપૂર્વ સહયોગ મળ્યો છે. જ્ઞાતિ-જાતિ, ધર્મનો ભેદ ભૂલી જનશકિત જળાશયોની સંગ્રહશકિત વધારવા માટે આકરા ઉનાળામાં પરસેવો પાડી રહી છે. આગામી ચોમાસા દરમિયાન આ પરસેવો પારસમણી બની જળસ્વરૂપે એકત્ર થશે. આ પારસમણીથી સૌરાષ્ટ્રમાં દુષ્કાળ ભૂતકાળ બની જશે. જળ અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. મોરબી જિલ્લાના બગથળા ગામ ખાતે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં શ્રમદાન કર્યાબાદ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રીશ્રીએ લોકોને સંબોધતા ઉપર મુજબ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ભૂતકાળના દુષ્કાળના કારમા દિવસો યાદ છે. મહિલાઓને બે બેડા માટે બે ગાંઉ સુધી ભટકવું પડતું હતું. પણ, આ સરકારે પાણીની બાબતને અગ્રતા આપીને વિવિધ પ્રકારના કામો કર્યા છે.

તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાના પાણી છેક કચ્છ સુધી પહોંચાડ્યા છે. હવે, સૌની યોજનાથી સૌરાષ્ટ્રની ધરતી નંદનવન બનશે અને ૧૧૫ ડેમો મા નર્મદાના નિરથી ભરવામાં આવશે. રૂ. ૧૧ હજાર કરોડના કામો ચાલી રહ્યા છે. ત્યારે, ભવિષ્યની પેઢીને જળનો સમૃદ્ઘ વારસો મળશે અને દુષ્કાળને દેશવટો મળશે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજયમાં તા.૧ મેના રોજ જયારે સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો પ્રારંભ થયો ત્યારે ૫૨૭ સામે અત્યારે ૪૫૦૦ વધુ જેસીબી, ૨૦૦૦ સામે અત્યારે ૧૪૦૦૦ ટ્રેકટર ડમ્પર, ૫૨૫ સંસ્થાઓ સામે હાલે ૨૬૦૦ અને ૨૭૦૦૦ શ્રમિકો સામે અત્યારે સવા ત્રણલાખ શ્રમિકો કામ કરે છે. આ ધરતી આપણી માતા છે અને નદી લોકમાતા છે. આપણે સૌ આ ધરતી અને નદીના સંતાનો છીએ. ત્યારે, આ ધરતીને પાણીથી તૃપ્ત કરવાની જવાબદારી સૌ કોઇની છે. તે જવાબદેહી ગુજરાતની જનતાએ સુપેરે ઉઠાવી છે. નદીઓના ઓવારા સાફ કરવામાં આવી રહ્યા છે અને શુદ્ઘિકરણ કરવામાં આવી રહ્યું છે. આ જળ અભિયાનથી ૧૧ હજાર લાખ ઘન ફૂટ સંગ્રહ શકિત વધશે. જળાશયો આસપાસના વિસ્તારોમાં ભૂતળમાં મીઠા પાણી આવશે, જળતળ વધશે. જેનાથી જીવમાત્રનું કલ્યાણ થશે.

શ્રી રૂપાણીએ એમ પણ જણાવ્યું કે સુજલામ્ સુફલામ્ જળ અભિયાને મળેલા વ્યાપકપ્રતિસાદને પગલે રાજય સરકારે નિર્ણય કર્યો છે કે આગામી ત્રણ વર્ષ સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. તેમણે દરિયા કિનારે ડિસેલીનેશન પ્લાન્ટ અને વોટર રિસાયકિલંગ પોલીસીની વિગતો પણ જણાવી હતી. શ્રી રૂપાણીએ વિરોધીઓને સાફસાફ સંભાળી દીધું હતું કે રાજય સરકાર લોકહિતને લક્ષ્યમાં રાખી કામ કરી રહી છે અને અમારી કાર્યસંસ્કૃતિમાં જનહિત છે. એટલે, અમે વ્યાપક અભિયાન ચલાવ્યા છે. એવો આક્ષેપ કરવામાં આવે છે કે આ જળ અભિયાનમાં ૨૪૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે પણ, એવું કહેનારા સાંભળી લે કે મૂળ બજેટ રૂ. ૨૦૦ કરોડની છે તો ૨૪૦૦ કરોડનું કૌભાંડ કેવી રીતે થઇ શકે ? કેટલાક લોકો એવું કહેતા ફરે છે કે ઘાસ ખરીદીમાં ગોટાળા થયા છે. તો આ લોકો એ વાત જાણી લે કે રાજય સરકાર દ્વારા ત્રણ વર્ષથી ઘાસની ખરીદી જ કરાઇ નથી. વિરોધી લોકો ખોટી વાતો અને ભ્રમ ફેલાવે છે, તેનાથી સાવચેત રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે રાજય સરકારે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. તેથી જ અત્યારે ગુજરાતમાં પ્રતિદિન એસીબીની રેડ પડે છે. ભ્રષ્ટાચારીઓને છોડવામાં નથી આવતા. સરકારનું શાસન પારદર્શક બને એ માટે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રભારી મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે દેશને આઝાદી મળી એ બાદ રાજયમાં ચલાવવામાં આવેલું આ સૌથી મોટુ જળ અભિયાન છે. તેનાથી સૌ કોઇને ફાયદો થશે. આ પાણી પર ભવિષ્યની પેઢીનો પણ અધિકાર હોવાથી તેનો સદ્દઉપયોગ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.

કલેકટર શ્રી આર. જે. માંકડિયાએ શાબ્દિક સ્વાગત કરી જળ અભિયાનની મોરબી જિલ્લાની સ્થિતિની વિગતો આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તદ્દઉપરાંત પુર સંરક્ષણદિવાલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. જયારે, રૂ. ૧૧.૨૫ કરોડની પાણી પુરવઠા યોજના, બે રોડના ખર્ચથી બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ૭.૬૮ કરોડના ખર્ચથી બનેલા ૬૬ કેવી બગથળા વીજ સબ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

સાંસદ શ્રી મોહનભાઇ કુંડારિયા અને પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઇ અમૃતિયાએ પ્રત્યેકના રૂ. ૧.૫૧ લાખ તથા શ્રી રાઘવજીભાઇ ગડારાએ રૂ. ૧.૨૧ લાખ જળ અભિયાનમાં અનુદાન પેટે આપ્યા હતા. આ ઉપરાંત સિરામિક એસોસીએશન દ્વારા રૂ.૧૧,૧૧,૧૧૧નો ચેક કન્યા કેળવણી નિધિમાં અર્પણ કર્યો હતો. અન્ય સંસ્થાઓએ પણ આ પ્રકારનો સહયોગ આપ્યો હતો. મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૪ સનદનું વિતરણ તથા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ માંકડિયા, ચેરમેન શ્રી રાજુભાઇ ધ્રુવ, સરપંચ શ્રી હરિશભાઇ કાંઝિયા, અગ્રણી શ્રી મેઘજીભાઇ કણઝારિયા, શ્રી જયોતિસિંહ જાડેજા, શ્રી હિરેન પારેખ, શ્રી બિપીનભાઇ દવે, શ્રી પ્રવીણભાઇ પટેલ, નકલંગ મંદિરના મહંતશ્રી દામજી ભગત, પ્રભારીસચિવ શ્રીમતી મોના ખંધાર, રેન્જ આઇજી શ્રી ડી. એન. પટેલ, ડીડીઓ શ્રી એસ. એમ. ખટાણા, એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(2:36 pm IST)