Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ચુડાના જુની મોરવાડના ગૂમ થયેલા લેઉવા પટેલ યુવાનની કેનાલમાંથી લાશ મળીઃ હત્યાની શંકા

સુરેશભાઇ સાપોલીયા (ઉ.૪૧) ૨૨મીએ બપોરે ગૂમ થયા બાદ ગત સાંજે ચુડા-વત્સડી વચ્ચે કેનાલમાંથી લાશ મળીઃ પરિવારે હત્યાની શંકા દર્શાવતાં રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૫: ચુડાના જુની મોરવાડ ગામે રહેતો લેઉવા પટેલ યુવાન સુરેશભાઇ અંબારામભાઇ સાપોલીયા (ઉ.૪૧) તા. ૨૨/૪ના સવારે અગિયારેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગાયબ થયા પછી ગઇકાલે સાંજે તેની લાશ ચુડા-વસ્તડી વચ્ચેની કેનાલમાંથી મળી આવતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પરિવારજનોએ હત્યાની શંકા દર્શાવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃત્યુ પામનાર સુરેશભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ સુરેશભાઇને આત્મહત્યા કરવી પડે તેવું કોઇ કારણ નહોતું. ઘરેથી ૨૨મીએ બહાર ગયા બાદ પરત જ ન આવતાં ઠેર ઠેર શોધખોળ કર્યા બાદ ચુડા પોલીસ મથકમાં ગૂમ થયાની નોંધ કરાવી હતી. દરમિયાન ગત સાંજે કેનાલમાંથી લાશ મળ્યાની જાણ થતાં તપાસ કરવા જતાં આ લાશ સુરેશભાઇની હોવાની ખબર પડી હતી. શરીર પર ઇજાના નિશાન દેખાતા હોઇ હત્યા થયાની શંકા ઉપજતાં પરિવારજનોએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરતાં ચુડા પોલીસે મૃતદેહ રાજકોટ ખસેડ્યો છે.

બનાવથી લેઉવા પટેલ પરિવારમાં અને જુની મોરવાડ ગામમાં ચકચાર મચી ગઇ છે. મોતનું ચોક્કસ કારણ બહાર આવ્યા બાદ પોલીસ આગળ તપાસ કરશે.

(12:00 pm IST)