ભુજ તા. ૨૫ : મોરબી-કચ્છ લોકસભા બેઠકની વર્તમાન ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો માટે આમ તો ખરાખરીના જંગ સમાન છે. પરિણામોને હજી એક મહિનાની વાર છે. પણ, શરૂઆતના તબક્કામાં ભાજપ માટે આસાન લાગતી આ ચૂંટણી એકાએક સંઘર્ષ જેવી બની ગઈ હતી. જોકે, એ રાજકીય વિશ્લેષણ આ સમાચારમાં અપાયું છે. કોંગ્રેસ માટે સારી સ્થિતિ સર્જાવા છતાંયે તે સ્થિતિનો રાજકીય લાભ લેવામાં કોંગ્રેસ નબળી સાબિત થઈ હોય એવું લાગી રહ્યું છે. પરિણામે છેલ્લા ૬ ટર્મ થઈ ભાજપ ના કબ્જામાં રહેલી મોરબી કચ્છ લોકસભાની બેઠક જીતવામાં કોંગ્રેસની નબળાઈ ભાજપ માટે તેનો ગઢ જાળવી રાખવામાં મદદરૂપ બનશે એવું લાગી રહ્યું છે.
કોંગ્રેસમાં સંકલન, તાલમેલનો અભાવ
મતદાનની પેટર્ન કેવી રહી તે કળવી આ વખતે સહેજ મુશ્કેલ છે. પણ, વખતે કોંગ્રેસ અને ભાજપ બન્ને રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ વધુ રહી હતી. લોકસભાના આ ચૂંટણી જંગ દરમ્યાન કચ્છ કોંગ્રેસમાં વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો અને મુસ્લિમ આગેવાનોમાં રહેલી નારાજગી દૂર કરવા કોઈ નક્કર પ્રયાસો કરાયા નહોતા. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાપરમાં મરહુમ આગેવાન ઇભલા શેઠ માટે કરેલ અભદ્ર શબ્દ પ્રયોગ સંદર્ભે પણ કોંગ્રેસના ઉમેદવાર, હોદ્દેદારોએ કે રાપરના કોંગ્રેસી ધારાસભ્યએ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું હતું. મુસ્લિમ આગેવાન તરીકે જુમા રાયમાની પ્રતિક્રિયાથી જ કોંગ્રેસે સંતોષ માન્યો હતો. સંકલનનો અભાવ, કોંગ્રેસી આગેવાનોની ઉપેક્ષા અંગે 'અકિલા' સમક્ષ અનેક આગેવાનોએ પોતાની નારાજગી વ્યકત કરી હતી. જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા હોય કે ઉમેદવાર નરેશ મહેશ્વરી અને ત્રણ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો સંતોકબેન પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, બ્રિજેશ મેરજા જેવા કોંગ્રેસી આગેવાનો ભાજપના નેતાના ગાજતા થયેલા પ્રકરણ સંદર્ભે કે વાયરલ થયેલા પ્રકરણ સંદર્ભે પણ મૌન રહ્યા હતા. અરે, કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ તેમ જ જીજ્ઞેશ મેવાણીની જાહેરસભાઓ દરમ્યાન પણ કોંગ્રેસે પ્રચાર પ્રસાર માટે મીડીયા મનેજમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તો, કોંગ્રેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સભામાં પણ મીડીયા કર્મીઓ માટે અપૂરતી વ્યવસ્થાએ નારાજગી સર્જી હતી.
જો, કોંગ્રેસના આગેવાનોની આંતરિક ગુસપુસની વાત કરીએ તો ઉમેદવાર નરેશ મહેશ્વરી માત્ર ત્રણ કોંગ્રેસી આગેવાનો નવલસિંહ જાડેજા, ભચુ આરેઠીયા અને અરજણ ભુડિયાથી જ ઘેરાયેલા રહ્યા હતા. છેક છેલ્લે છેલ્લે કોંગ્રેસે મીડીયા સંકલન કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ, તે સમયે ઉમેદવારના કાર્યાલયમાં બુથ મેનેજમેન્ટ સંદર્ભે કાર્યકરોની નારાજગીઙ્ગ જોવા મળી હતી.ઙ્ગ જોકે, ઉમેદવાર નરેશ મહેશ્વરી કોંગ્રેસ વતી નરેશ મહેશ્વરીએ 'અકિલા' સાથે વાત કરતા પોતાની જીતનો દાવો કર્યો હતો. પણ, ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો કોંગ્રેસનો પ્રયાસ કયાંક લોકોની સ્વયંભૂ નારાજગી ના કારણે તો કયાંક ભાજપની આંતરિક ખટપટ અને સંગઠનના મુખ્ય નેતાઓની ઉદાસીનતાને કારણે વતે ઓછે અંશે સફળ થશે.
પણ, સ્થાનિક ઉમેદવાર મેદાનમાં હોવા છતાંયે નરેશ મહેશ્વરી માટે તેમના જિલ્લા પ્રમુખ તરીકેના કાર્યકાળમાં કરાયેલી કામગિરી સામેનો અસંતોષ પણ આ ચૂંટણીમાં ઘણી જગ્યાએ વર્તાયો હતો. ભુજના મુસ્લિમ વિસ્તારોમાં અને ખાવડા, બન્ની, પચ્છમ સહિત કોંગ્રેસના અનેક પોકેટ મત વિસ્તારોમાં આગેવાનોના નિરૂત્સાહના કારણે ઓછા મતદાનને પરિણામે કાગળ ઉપર મતદારોના દેખાતા જાતિઓ ના મજબૂત સમીકરણ પછીયે કોંગ્રેસનો જીતનો દાવો તો હજી 'દિલ્હી દૂર જેવો' જ લાગે છે.ઙ્ગ
કચ્છ ભાજપમાં પણ વરતાઈ જુથબંધીની અસર...
નારાજગીની વાત કરીએ તો, ભાજપના અનેક 'મોટા માથા'ઓનો ધૂંધવાટ પ્રચાર પ્રસાર દરમ્યાન દેખાયો હતો. તેમાંયે ચૂંટણી દરમ્યાન જ નલિયા કાંડ અને સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ અભદ્ર ઓડિયો કલીપ પ્રકરણમાં ખુદ ભાજપનાં જ આગેવાનો પડદા પાછળ હોવાની ચર્ચાએ કચ્છ ભાજપના આંતરિક રાજકીય માહોલને ગરમ બનાવ્યો હતો. અલબત્ત આ અંગે કોઈએ કંઈ પણ જાહેર પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું તો કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ પણ થઈ નથી.
જોકે, ભાજપના જિલ્લા મહામંત્રી અનિરૂદ્ઘ દવેએ સોશ્યલ મીડિયામાં તેમને બદનામ કરવાના કરાયેલ પ્રયાસ સામે હિંમત દાખવીને પોલીસ ફરિયાદ કરી હતી. હા, ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર પ્રસાર દરમ્યાન નેતાઓની અંદરની ખેંચતાણ, જુથવાદ સંદર્ભે પ્રદેશ ભાજપનું ધ્યાન દોરાયા બાદ ડેમેજ કન્ટ્રોલ માટે ઓમ માથુર તેમ જ ભીખુભાઇ દલસાણીયા ભુજ દોડી આવ્યા હતા. પણ, તેમ છતાંય ભુજમાં મધ્યસ્થ કાર્યાલયના પ્રારંભ દરમ્યાન લોકસભા બેઠકના ઇન્ચાર્જ દિલીપ ત્રિવેદી અને ભાજપના યુવા આગેવાનો વચ્ચેની આંતરિક ખેંચતાણ, આપસી મતભેદ ચર્ચામાં આવ્યા હતા. ભાજપનું કચ્છમાં મજબૂત નેટવર્ક હોવા છતાંયે રાહુલ ગાંધીની કોંગ્રેસની વિશાળ જાહેર સભાનો રાજકીય પ્રતિ જવાબ આપવામાં કચ્છ ભાજપ નિષ્ફળ રહ્યું.
ભુજમાં ઉમેદવારી પત્ર ભરવાના CM વિજય રૂપાણીના એક માત્ર જાહેર કાર્યક્રમ સિવાય એક પણ મોટા નેતાઓની જાહેરસભા યોજાઈ નહોતી. અલબત્ત દર વખતે ભુજમાં મોટા ગજાના નેતાઓની જાહેરસભાનું ભાજપ દ્વારા આયોજન થતું રહ્યું છે. ગાંધીધામમાં રાજનાથસિંહની સભા ખાનગી હોલમાં મર્યાદિત આગેવાનો કાર્યકરોની હાજરીમાં યોજાઈ હતી. જોકે, કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાનો તારાચંદભાઈ છેડા, પુષ્પદાન ગઢવી અને વાસણભાઇ આહીરે વિનોદ ચાવડા વતી મોરચો બરાબર સંભાળી લીધો હતો. જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ પક્ષના જિલ્લાના સેનાપતિ તરીકે કયાંયે આગળ ન દેખાયા, હા સભાઓમાં હાજર રહ્યા હશે અને પડદા પાછળ કામ કર્યું હશે. પણ, પક્ષની આંતરિક જૂથબંધી સામે પગલાં ભરવામાં કે શિસ્તનું પાલન કરાવવામાં તેઓ નિષ્ક્રીય દેખાયા. કદાચ પ્રથમ વખત જ આ ચૂંટણીમાં એવું દેખાયું કે ભાજપ પક્ષને બદલે ઉમેદવાર એકલા હાથે ચૂંટણી લડે છે.
જોકે, મીડિયાના પ્રચાર પ્રસારમાં વિનોદ ચાવડાના દરેક પત્રકારો અને માધ્યમો સાથેના અંગત સંબધોની તેમને સહાનુભૂતિ મળી. તો, આ ચૂંટણીમાં ભાજપના યુવાનોએ તેમના માટે પ્રચાર,પ્રસાર અને મેનેજમેન્ટની બાગડોર સંભાળી. પરિણામે કચ્છ ભાજપના મોટા નેતાઓનો પક્ષ સામેનો આંતરિક વિદ્રોહ તેમ જ વિનોદ ચાવડા સામે અમુક ચોક્કસ નેતાઓ અને જૂથની નારાજગી વત્તા-ઓછા અંશે હળવી થઈ. જોકે, સ્પષ્ટ વાત કરીએ તો, ખુદ ભાજપના આગેવાનોએ 'અકિલા' સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ માની રહ્યા છે કે, ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મહત્વની હોવા છતાંયે કચ્છની સરળ ગણાતી બેઠકની લડાઈ અમુક નેતાઓના અહમ અને પક્ષ વિરોધી પ્રવૃત્ત્િ।ના કારણે મુશ્કેલ બની ગઈ. જોકે, ભાજપ કદાચ કચ્છની બેઠક જાળવી રાખવામાં સફળ તો થશે પણ લીડ ગત ચૂંટણી જેવી માતબર નહીં હોય. જોકે, ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ 'અકિલા' સાથે વાત કરતા જીતનું શાનદાર પુનરાવર્તન થશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.ઙ્ગ જોકે, દાવાઓ અને પ્રતિદાવાઓ વચ્ચે કોણ વિજયી બનશે છે તે તો મત ગણતરીના દિવસે ૨૩ મી મે એ ખબર પડશે. પણ, એટલુયે નક્કી છે કે, ચૂંટણીના પરિણામોની અસર કચ્છના ભાજપ તેમ જ કોંગ્રેસના સંગઠનમાં આંતરિક નવાજુની સર્જશે એ નક્કી છે.