Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ભાવનગરમાં ક્ષત્રિય યુવક યોગીરાજસિંહ ગોહિલની હત્યા

સાસુ સાથે ઝઘડો કરવાની ના પાડતા આશિષ જગદીશ મકવાણાએ છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો

ભાવનગરમાં ક્ષત્રિય યુવાનને છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો તે યુવકનો મૃતદેહ અને ફાઇલ ફોટો (તસ્વીર- વિપુલ હિરાણી-ભાવનગર)(૮.૮)

 ભાવનગર, તા. રપ : ભાવનગરમાં સાસુ સાથે ઝઘડો કરી રહેલા શખસને ઝઘડો ન કરવાનું કહેતા આ શખસે ક્ષત્રિય યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે. મરનાર યુવાનના આઠ માસ પહેલા જ લગ્ન થયા હતાં.

ખૂનના આ બનાવની વિગતો એવી છે કે, ભાવનગરના ઘોઘા તાલુકાના ભીકડા ગામે રહેતા યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ ઉ.વ.ર૦ એ આઠ માસ પહેલા ભાવનગરના સીદસર રોડ રપ વારીયામાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.

દરમ્યાન યોગીરાજસિંહ ગોહિલની સાસુ જે ભાવનગરમાં રહે છે તેની સાથે આજ વિસ્તારમાં રહેતો આશિષ જગદીશભાઇ મકવાણા નામનો શખ્સ ઝઘડો કરી રહ્યો હોય સાસુએ તેના જમાઇને ફોન કરી બોલાવતા જમાઇ યોગીરાજસિંહ આવ્યા હતાં અને ઝઘડો કરી રહેલા આશિષ મકવાણાને ઝઘડો ન કરવા જણાવતા આ શખ્સે યોગીરાજસિંહની છાતીના ભાગે છરીના ઘા ઝીંકી તેની હત્યા કરી નાસી છૂટયો હતો.

આ બનાવની જાણ થતાં જ વરતેજ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ચુડાસમા તથા સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

હત્યાના આ બનાવ અંગે મૃતક યોગીરાજસિંહના પિતા રાજેન્દ્રસિંહ બાલુભા ગોહિલએ વરતેજ પોલીસ સ્ટેશનમાં આશિષ જગદીશભાઇ મકવાણા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.(૮.૮)

(11:38 am IST)