રાજકોટ,તા. ૨૪: નવરાત્રી પૂર્ણ થઇ છે. અને કાલે દશેરા પર્વ ઉજવાશે જો કે શસ્ત્રપૂજન સાદગીપૂર્વક કરવામાં આવશે. અને રાવણદહન કાર્યક્રમો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં રદ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીના કારણે તહેવારનો ઉજવણી ઘરે બેઠા જ કરવામાં આવી રહી છે. કાલે મિઠાઇ ખાઇને વિજયદશમી પર્વ ઉજવાશે.
કોરોના મહામારીના કારણે આ વખતે રાવણ દહન કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે અને શસ્ત્રપૂજન સહિતના કાર્યક્રમો સાદગીપૂર્વક મનાવાશે.
તા. ૨૫ને રિવવારના રોજ દશેરા મહાપર્વની ઉજવણી કરવામાં આવશે આ દિવસે દૂર્ગાની પ્રતિમાનું પણ વિસર્જન કરવામાં આવે છે. આ દિવસ વિજયાદશમી તરીકે પણ ઉજવાય છે. દશેરાના પાવન પર્વે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. જૂનાગઢ જિલ્લાના વૈષ્ણવ અને સ્વામીનારાયણ સંપ્રદાયના જયોતિષી દિનેશકુમાર એ.ભટ્ટે દશેરા તેમજ શરદપૂજનના શુભ મુહૂતો આપ્યા છે.
સવંત ૨૦૭૬ આસો સુદી નોમ રવિવાર તા. ૨૫/૧૦/૨૦૨૦ના રોજ દશેરા (વિજયાદશમી) મનાવવામાં આવશે.વેપારી વર્ગ દેવમંદિર તેમજ ક્ષત્રિયોએ આ દિવસે સમીપુજન કરવું દશેરા (વિજયાદશમી)ના ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહૂતો સવારે ૮:૧૫ કલાકથી બપોરે ૧૨:૩૦ મીનીટ સુધી ચલ, લાભ તેમજ ચોઘડીયા તેમજ બપોરે ૧:૫૫ મીનીટથી બપોરે ૩:૨૦ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ સાંજે સુર્યાસ્ત પછી ૬:૧૨ મીનીટથી રાત્રે ૧૦:૫૭મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયા.
કાલે રવિવારે આસો શારદીય નવરાત્રિ સમાપ્ત થશે. નવરાત્રિનાં પારણા થશે. કાલે બુધ્ધ જયંતિ છે. દશેરા -વિજયાદશમી પર્વે શસ્ત્ર પૂજન થશે. શસ્ત્ર-અસ્ત્ર-વાહનનું પૂજન થશે. રાવણ દહન થશે. સવારે ૯ ક. ૪૦ મી. થી ૧૨ ક. ૨૦ મી. બપોરે ૧ ક. ૫૦ મી. થી બપોરના ૩ ક. ૧૦ મી. સાંજના ૬ ક. ૫૦ મી. થી રાત્રે ૯ ક. ૫૦ મી. શ્રેષ્ટ સમય છે.
નવા વર્ષ માટેના ચોપડા -કોમ્પ્યુટર કાગળ સ્ટેશનરી તેમજ સોનું -ચાંદી આભુષણના ઓર્ડર આપવા કે ખરીદવા માટે તા. ૨૫/૧૦/૨૦૨૦ રવિવાર દશેરા વિજયાદશમી ઉત્તોમત્તમ શ્રેષ્ઠ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : સિહોર તાલુકાના અગિયાળી ગામે આવેલ સુપ્રિધ્ધ નાના બહુચરાજી ધામમાં દુર્ગાષ્ટમીના રોજ ૧૦૧ પ્રકારની વાનગી અને ફ્રુટનો અન્નકૂટ ધરવામાં આવશે. સાંજે ૨૧૬ દીપની દીપમાળા પ્રગટાવી અન્નકૂટની અને માતાજીની આરતી કરવામાં આવશે. રાત્રે ૯:૩૦ કલાકે મહિષાસૂર મર્દિનીમાં ચામુડાનું પ્રાગટ્ય અને મહિષાસુર વધનું નાટક ભજવાશે. ત્યારબાદ માંને બે ડબા ચોખ્ખા ઘીનો પ્રસાદ મહેન્દ્રભાઇ પટેલ બલોલવાળા હાલ અમદાવાદ તરફથી ધરવામાં આવશે.
પરંપરા મુજબ દશેરાની સવારે ૬ વાગ્યે મહાકાળી માંનુ ખપ્પર સોમવારે નીકળશે અને ૯:૩૦ કલાકે દશેરાની યજ્ઞ કરી પૂર્ણાહુતી કરવામાં આવશે.
બોટાદ
બોટાદ : બોટાદ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિયોની પરમપરા મુજબ દરર્વષની જેમ આર્વષે પણ સુર્યઅનેશસ્ત્ર પૂજનો ધાર્મિક કાર્યક્રમ કાલે સવારે ૧૦,કલાકને ૧૫,મિનિટ થી ૧૧,કલાકને ૧૫,મિનિટ (સવાદશ થી સવા અગિયાર) વાગ્યા સુધી કુળગોર દ્વારા સાશસ્ત્રોક વિધિ થી શ્રીસુર્ય અને શસ્ત્રપૂજન નુ ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે સામતભાઈ જેબલીયાએ જણાવ્યું છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જિલ્લાનાતળાજા ના પુરાતત્વ વિભાગ ની સીધી દેખરેખ હેઠળ ડુંગરપરની ગુફામાં સ્વંયભુ ખોડીયારમાતા ના મંદિરે દશેરા પર્વને લઈ યોજાતો પરંપરાગત માતાજીનો હવન યોજાશે.
સવારે ૯ વાગે યજ્ઞનો પ્રારંભ આચાર્ય વિપુલભાઈ દેસાઈ કરાવશે. સાંજે પાંચ કલાકે શ્રીફળ હોમ કરવામાં આવશે. ત્યારબાદ ભાવિક દર્શનાર્થીઓ ને લાપસી પ્રસાદ પીરસવામાં આવશે. મંદીર ના પૂજારી હરગોવિંદદાસ અગ્રાવત દ્વારા માતાજીના ભકતોને દશેરા અવસરે માતાજી,યજ્ઞ દર્શન અને પ્રસાદ નો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજીઃ જામકંડોરણાના રોઘેલ ગામ ખાતે આવેલ માં આશાપુરા માતાજીના મઢ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી નિમિત્ત્।ે મા આશાપુરા માતાજી ના મઢ ખાતે અનુષ્ઠાન વિધિ રાબેતા મુજબ ચાલુ છે
મા આશાપુરા મઢ ના ભુવા પ્રવિણસિંહ નાથુભા જાડેજા ના સાનિધ્યમાં નવરાત્રી અનુષ્ઠાન ચાલી રહ્યું છે અને તારીખ ૨૫ ને રવિવારના રોજ માતાજીનો હવન મહાયજ્ઞ વૈદિક પરંપરા મુજબ યોજાશે.
ગોંડલ
(જીતેન્દ્ર આચાર્ય ) ગોંડલ : શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા વિજયાદશમી નિમિત્ત્।ે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાષ્ટ્રભાવના અને સ્વાભિમાન માટે આ તહેવાર ચાલુ વર્ષે ઉજવી શકાય તેવી સ્થિતિ નથી. કોવિડ ૧૯ ની મહામારીને નિયંત્રણ કરવા ભારત સરકાર દ્રારા કેટલીક આચારસંહિતા અમલમાં મુકેલ છે તેમજ આપણા સહુના આરોગ્યની સુરક્ષા ઉમદા હેતુથી વિજયાદશમીના તહેવારની જાહેર ઉજવણી રદ કરેલ છે.
વિજયાદશમીના દિવસે શુકન પૂરતા શસ્ત્ર પૂજનની વિધિ સાદગી પૂર્વક સંસ્થાકીય હોદ્દેદારોશ્રી, સામાજિક આગેવાનોશ્રી તથા સમિતિના સભ્યોશ્રીની મર્યાદિત સંખ્યામાં આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરી સામાજિક અંતર, સેનિટાઈઝેશન અને માસ્કધારણ કરવા ફરજીયાત સાથે તારીખ ૨૫.૧૦.૨૦૨૦ રવિવાર ના રોજ સવારે ૯.૦૦ કલાકે રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે રાખવામાં આવશે.
તેમજ છોટુભાઇ બી. જાડેજા પ્રમુખ ગોંડલ રાજપૂત સમાજ, ભીખુભા બી. જાડેજા પ્રમુખ મહારાજા ભોજરાજજી ટ્રસ્ટ ભવન, દિગ્વિજયસિંહ જાડેજા પ્રમુખ રાજપૂત યુવક મંડળ, ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રમુખ ક્ષત્રિય યુવા સંગઠન બ્રિજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા મંત્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.