Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

કચ્છના માતાના મઢ મધ્યે હવનવિધિ સાથે પરંપરાગત પતરીવિધિ સંપન્ન : તેરા ઠાકોર મયુરધ્વજસિંહજીએ પતરીની પૂજાવિધિ સાથે મેળવ્યા 'મા આશાપુરા'ના આર્શિવાદ, રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં બીડું હોમાયું

વિનોદ ગાલા, ભુજ) અશ્વિન નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે માતાના મઢનું મા આશાપુરાનું મંદિર આ વર્ષે કોરોનાના કારણે બંધ રહ્યું. પણ, તંત્ર દ્વારા પરંપરાગત પૂજાવિધિની છુટછાટ વચ્ચે રાજાશાહીથી યોજાતી ૪૭૦ વર્ષ જુની  ચામરયાત્રા અને પતરીવિધિ સંદર્ભે ટ્રસ્ટ અને રાજવી પરિવાર વચ્ચે જાહેરનામાને લઈને વિવાદ સર્જાયા બાદ અંતે મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા આ અંગે દરમ્યાનગીરી કરાઈ હતી. આ સંદર્ભે રાજવી પરિવારે પરંપરાગત ધાર્મિકવિધિની મંજુરી બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે. માતાના મઢ મધ્યે આજે ૮ ના દિવસે પરંપરાગત ચામરયાત્રા સાથે તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા 'મા આશાપુરા' ના મંદિરે પહોંચ્યા હતા અને મા ના ચરણોમાં આરતી સાથે શીશ ઝુકાવી પતરીના આર્શિવાદ મેળવ્યા હતા. કચ્છના રાજવીઓ આ પરંપરા અનુસાર મા આશાપુરા પાસે કચ્છી પ્રજાની સુખાકારી માટે પ્રાર્થના કરે છે. પતરી વિધિ પુર્વે સાતમની રાત્રે માતાના મઢ મધ્યે હવનવિધિ સંપન્ન થઈ હતી. રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમા બીડું હોમાયું હતું. કોરોના ગાઇડલાઇન પ્રમાણે આ પરંપરાગત વિધિઓ યોજાઈ હતી. (તસ્વીર સૌજન્ય- અરવિંદ રવિલાલ શાહ, માતાના મઢ)

(10:57 am IST)