Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વાંકાનેરના ભલગામમાં કોળી દંપતિને સાપે ખંડિત કર્યુઃ પત્નિનું મોત, પતિ સારવારમાં

મુળ જામરાવલના સામતભાઇ પરમાર (ઉ.૪૯) અને પત્નિ કડવીબેન (ઉ.૪૫) દસેક દિવસથી ભલગામના ભરડીયે કામ કરવા આવ્યા'તાઃ રાત્રે સાપે દંશ માર્યાઃ કડવીબેનનું રાજકોટની હોસ્પિટલમાં મોતઃ પત્નિને પગમાં સાપ કરડ્યા બાદ પતિએ ૧૦૮ બોલાવીઃ ત્યાં તેને પણ હાથમાં દંશ મારી દીધોઃ સાપને ડબ્બામાં પુર્યો

રાજકોટ તા. ૨૪: વાંકાનેરના ભલગામમાં આવેલા ભરડીયામાં દસેક દિવસ પહેલા જ દેવભુમિ દ્વારકાના જામરાવલથી મજૂરી કરવા આવેલા કોળી પતિ-પત્નિને રાત્રે સાપે દંશ મારી દેતાં બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્નિનું મોત નિપજતાં દંપતિ ખંડિત થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ભલગામમાં મયુરભાઇના ભરડીયે મજુરી કરતાં અને ત્યાં જ રહેતાંજામરવાલ હનુમાનઘાટના વતની સામતભાઇ ચનાભાઇ પરમાર (કોળી) (ઉ.૪૯) અને તેના પત્નિ કડવીબેન સામતભાઇ પરમાર (ઉ.૪૫)ને રાત્રે દોઢેક વાગ્યે સાપે દંશ મારતાં બંનેને ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં.  પરંતુ અહિ પત્નિએ દમ તોડી દીધો હતો.

સામતભાઇના કહેવા મુજબ રાત્રે પહેલા પત્નિને પગમાં સાપે દંશ દીધો હતો. તેણીએ પોતાને ઉઠાડતાં તેણે ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ આવી ત્યાં પોતાને પણ હાથમાં દંશ મારી દીધો હતો. સાપને પકડીને એક ડબ્બામાં પુરી દીધો હતો. પતિ-પત્નિને ચોટીલાથી વધુ સારવાર માટે રાજકોટ લાવવામાં આવ્યા હતાં. પણ અહિ પત્નિનું મોત નિપજ્યું હતું.

બનાવથી સામતભાઇ શોકમાં ગરક થઇ ગયા હતાં. તેને સંતાનમાં ત્રણ પુત્રી છે જે સાસરે છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇએ બામણબોર પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

(11:44 am IST)